Get The App

ચૂંટણી પ્રચારમાં વાસ્તવિક મુદ્દાઓને બદલે ગાળાગાળીને પ્રાધાન્ય

- ચૂંટણી પ્રચાર દરમિયાન શબ્દાડંબર નિમ્ન સ્તરે પહોંચી ગયો છે

Updated: May 10th, 2019

GS TEAM

Google News
Google News
ચૂંટણી પ્રચારમાં વાસ્તવિક મુદ્દાઓને બદલે ગાળાગાળીને પ્રાધાન્ય 1 - image


- બેરોજગારી, મોંઘવારી કે ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને કોરાણે મૂકીને સનસનાટી ફેલાવતા આક્ષેપો કરવાનો દોર

- નેતાઓ ભલે પ્રજાને મૂરખ સમજે પરંતુ આ જ પ્રજાએ ભૂતકાળમાં અનેક મગરૂર નેતાઓને બહારનો રસ્તો દેખાડયો છે અને દેશનો જાગૃત મતદાર આગામી સમયમાં પણ આવી જ કોઇ ઉથલપાથલ કરી શકે છે 

પાંચ તબક્કા પૂરા કરી ચૂકેલી લોકસભાની ચૂંટણી હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે ચૂંટણી પ્રચારનું સ્તર જે હદે પહોંચ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે જાણે રાજકારણમાં રાષ્ટ્રીય સમસ્યાઓનું કોઇ મહત્ત્વ જ નથી રહ્યું. જેમ જેમ ચૂંટણી અંતની નજીક પહોંચી રહી છે તેમ તેમ પ્રચાર વધારે ને વધારે કડવાશ પકડી રહ્યો છે અને રાજકીય નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનો પણ જાણે કે રાફડો ફાટયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન શબ્દાડંબર નિમ્ન સ્તરે પહોંચી ગયો છે અને લોકસભાની ચૂંટણી આઝાદી બાદની સૌથી કટુતાભરી ચૂંટણી બનવા જઇ રહી છે.

આમ તો આપણા દેશમાં રાજકીય નેતાઓના બગડેલા બોલ કોઇ નવી વાત નથી. રોજેરોજ દેશના જુદાં જુદાં ખૂણાંમાંથી એવા સમાચાર આવતા જ રહેતા હોય છે કે અમુક નેતાએ આપત્તિજનક વાત કહી, તમુક નેતા બોલવામાં મર્યાદા ભૂલ્યા. જોકે ચૂંટણી નજીક આવતા નેતાઓની જીભ જરા વધારે પડતી લપસવા લાગે છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન તો કેટલાક નેતાઓ જાણે માનમર્યાદા બધું ભૂલી જતા હોય છે. લગભગ દરેક પક્ષમાં એવા નેતાઓ છે જેમણે જાણે કે આચાર સંહિતાનો ભંગ કરવાનું બીડું ઝડપ્યું હોય.

લોકસભાની ચૂંટણી જાણે કે ચૂંટણી મટીને સડક પર ચાલતી લડાઇ બની ગઇ હોય અને એ રીતે રાજકીય મુદ્દાઓ રજૂ કરવાના બદલે નેતાઓ એકબીજા માટે અપશબ્દો બોલવા પર આવી ગયાં છે. દેશ આજે લોકશાહીનું એવું વરવું રૂપ જોઇ રહ્યો છે જેમાં કોઇ નિયમ કે વિવેક નથી. એમાંયે સત્તાધારી પક્ષ જે રીતે રાષ્ટ્રીય સમસ્યાઓને કોરાણે મૂકીને નિતનવા મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે એનાથી તો દેશનો મતદાતા તાજ્જુબમાં છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અચાનક ૧૯૯૧માં આતંકવાદના શિકાર બનીને શહીદ થયેલા રાજીવ ગાંધી મુદ્દો ક્યાંથી બની ગયા?

લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શું કર્યું એ કહેવા માટે કોઇ મુદ્દો જ ન હોવાના કારણે નહેરુ-ગાંધી પરિવારના સભ્યોને એક પછી એક નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધી જે કોઇ પણ સિદ્ધિ મળી એનો શ્રેય લેવા તથા જે પણ ખામી રહી ગઇ એ માટે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને દોષ આપવાની જાણે કે પરંપરા બની ગઇ હતી. હવે એમાં રાજીવ ગાંધીનું નામ ઉમેરાયું છે. આતંકવાદીઓના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શહીદ થનારા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનનો ઉલ્લેખ જે નિમ્ન રીતે કરવામાં આવ્યો એ આઘાતજનક હતો.

રાજકીય પક્ષો જે પ્રકારના પ્રચારમાં લાગ્યાં છે એ જોતાં સવાલ થાય કે ચૂંટણી દેશના ભવિષ્ય માટે થઇ રહી છે કે ભૂતકાળમાં રહેલા શાસનના પોસ્ટમોર્ટમ માટે? દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ માટે મહત્ત્વના મુદ્દા એ છે કે આપણું ભવિષ્ય કેવું હશે કે યુવાન ભારતના સપના કેવા હશે. એવું લાગે છે કે જાણે મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરવાથી જ રાજકીય પક્ષો ગભરાઇ રહ્યાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો હતો અને દેશની જનતાએ એ મુદ્દા પર પોતાનો ફેંસલો પણ સુણાવી દીધો હતો. એટલા માટે હવે રાજકીય પક્ષોએ ભૂતકાળની સરકારના ભ્રષ્ટાચારના મુદ્દાઓને મૂકીને આગામી સમયમાં ભ્રષ્ટાચારમુક્ત સમાજ ઘડવા માટેની યોજનાઓ વિશે માહિતી આપવી જોઇએ. આતંકવાદના નામે રાજકારણ કરવાના બદલે તેને જડમૂળમાંથી ખતમ કરવાની શી યોજના છે એ વિશે વાત કરવી જોઇએ.

ચૂંટણી પહેલા જોરશોરથી ચૂંટણી ઢંઢેરા રજૂ કરનાર રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં તેમનો ઉલ્લેખ કરતા પણ જાણે કે ગભરાય છે. આ વલણથી જ ખ્યાલ આવે છે કે રાષ્ટ્રીય વિકાસને કોરાણે મૂકી દેવામાં આવ્યો છે. દેશમાં આજે મોટો યુવાવર્ગ છે પરંતુ તેમની રોજગારી કે વિકાસના મુદ્દાને અવગણીને તેમના દિમાગમાં નફરત અને વિનાશના બીજ રોપવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા જ થતી નથી. ચૂંટણીનો મુદ્દો જાણે કે બોફોર્સ વિરુદ્ધ રાફેલ જ બની ગયો છે. દેશની પ્રજાને સીધી અસર કરનારા નોટબંધી કે પછી જીએસટી જેવા આર્થિક મુદ્દે કોઇ ચર્ચા થતી નથી. 

કોંગ્રેસ પણ ચોકીદાર ચોર છેનો નારો પકડીને બેસી ગઇ છે. હકીકતમાં વિપક્ષ પાસે સરકારની નિષ્ફળતાઓ ગણાવવા માટે ઘણાં મુદ્દા છે પરંતુ તે મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. લાખો નોકરીઓ જવી કે મોંઘવારી કે પછી ખેડૂતોની સમસ્યાઓ અંગે કોઇ વાત જ નથી થઇ રહી. વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવાના વાયદા તો દૂર, બેંકોને ચૂનો લગાડીને ભાગી ગયેલાં કૌભાંડીઓને પાછા લાવવાના મુદ્દે પણ ચૂંટણી પ્રચારમાં કોઇ વાત નથી નથી. 

કડવાશભર્યા ચૂંટણી પ્રચારે દેશના રાજકીય માહોલને અત્યંત દૂષિત બનાવી દીધો છે. અને કમનસીબે શક્તિશાળી ગણાતું ચૂંટણી પંચ પણ પ્રભાવહીન સાબિત થયું છે. ખાસ કરીને ચૂંટણી પંચે એક પછી એક અનેક મામલે વડાપ્રધાન નરેેન્દ્ર મોદીને આચારસંહિતા ભંગના મામલે ક્લીનચીટ આપી એ જોઇને તો સૌ મોઢાંમાં આંગળા નાખી ગયાં. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની મજબૂરી વ્યક્ત કરી કે તેની શક્તિ સીમિત હોવાના કારણે તે હેટસ્પીચ પર લગામ નથી લગાવી શકતું. હકીકતમાં ચૂંટણી પ્રચાર જોતા ખ્યાલ આવે કે આપણા રાજકીય નેતાઓની વિચારસરણી કેટલી નિમ્ન કક્ષાની છે. નેતાઓની બદજુબાની નવીન બાબત છે એવું તો હરગીઝ નથી પરંતુ છેલ્લા થોડા સમયથી જે રીતે રાજનીતિ અને સાર્વજનિક જીવનના ચારિત્ર્યનું પતન થયું છે તેના કારણે આવા નિવેદનોમાં ભારે વૃદ્ધિ થવા પામી છે. 

ચૂંટણીટાણે આવતા થોકબંધ વિવાદાસ્પદ નિવેદનો જોતાં સવાલ થાય કે નેતાઓના બગડેલા બોલ પાછળ કારણ શું છે? અનેક વખત તો એવું પણ બને છે કે આવા વિવાદાસ્પદ નિવેદનો લાગણીમાં વહી જઇને નહીં પરંતુ ચોક્કસ રણનીતિ અંતર્ગત જ આપવામાં આવે છે. લોકોનું ધ્યાન ભટકાવવા કે ધૂ્રવીકરણ કરવા માટે તો ક્યારેક સરકારના ખરાબ પ્રદર્શન પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે વિવાદાસ્પદ ભાષણો કરવામાં આવે છે. ઘણાં નેતાઓ માટે વિકાસ કે સ્થાનિક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાના સ્થાને હેટસ્પીચનો સહારો લેવો સત્તાના શોર્ટકટ સમાન હોય છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ભડકાઉ ભાષણો કે નિવેદનો આપતા નેતાને પાર્ટીના સ્ટાર પ્રચારકથી લઇને મંત્રી સુધ્ધાં બનાવી દેવામાં આવે છે. નેતાઓના નફરત ફેલાવતા ભાષણો બાદ વિવાદ વધે ત્યારે તેમના નિવદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું કે તેમનો હેતુ કોઇની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો જેવા કામચલાઉ બચાવ રજૂ કરી દેવામાં આવે છે. 

સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના આ દોરમાં દરેક ઉપર વૉચ રહેતી હોય છે. દરેક જાહેર સભા, બેઠક કે વાતચીત ક્યાંક તો રેકોર્ડ થતી જ હોય છે. હવે કોઇ પણ નેતા ગમે તેમ બફાટ કરીને બચી શકતો નથી. ગણતરીના સમયમાં પૂરો દેશ જાણી જાય છે કે તેમના માનીતા નેતાઓના મુખમાંથી કેવી વાણી ઝરી રહી છે. સોશિયલ મીડિયાના આ યુગમાં નેતાઓએ જે સાવધાની દાખવવાની જરૂર હતી એ તેમણે દાખવી નથી. ખરું પૂછો તો તેમને આવી સાવધાની દાખવવામાં રસ પણ નથી. ઉલટું, જાણે કે વિવાદ ઊભો કરવા માટે જ આવા નિવેદનો આપવામાં આવે છે. આ કોઇ એક પાર્ટી કે કોઇ એક નેતા કે એકાદ પ્રદેશ પૂરતું સીમિત નથી રહ્યું. એવું લાગે છે કે જાણે આખા દેશની રાજનીતિનું આ ચરિત્ર બની ગયું છે.

જોકે મુદ્દો નેતાઓ કે રાજનીતિના નીચે ઉતરી રહેલા સ્તરનો નથી પરંતુ સમસ્યા એથીયે વધારે ગહન છે. આપણે રાજકારણના એ દોરમાં પહોંચી ચૂક્યાં છીએ કે જ્યાં ચૂંટણીના વાયદા, ચૂંટણી ઢંઢેરા અને નીતિઓ ઔપચારિક રહી ગયા છે. વોટ માંગતી વખતે હવે આ પાયાના મુદ્દા અસરકારક નથી નીવડતા. નેતાઓ અને પાર્ટીઓ પણ જાણી ગયાં છે કે પ્રજા તેમના ખોખલા વાયદાઓથી ભરમાય એમ નથી. એટલા માટે મત મેળવવા માટે બીજા નુસખાઓ અજમાવવામાં આવે છે. ક્યાંક જાતિ કે ધર્મના આધારે સમીકરણ બેસાડવામાં આવે છે તો ક્યાંક મતદારોને લોભાવવા માટે પાણીની જેમ પૈસા વહેવડાવવામાં આવે છે. બાકી રહેલી કસર પૂરી કરવા માટે પ્રતિસ્પર્ધી ઉમેદવાર કે વિરોધી પાર્ટીને નીચું દેખાડવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે દેશના નેતાઓની સભાઓ તેમના ભાષણો માટે યાદ કરવામાં આવતી હતી જ્યારે આજે મંચ પરથી બીજા નેતાઓ પર કાદવઉછાળ સિવાય કશું જોવા મળતું નથી.

મોટા મોટા વાયદા કરનારા રાજકીય પક્ષો દેશની અર્થવ્યવસ્થા માટે ધન ઉપાર્જિત કેવી રીતે કરશે કે પછી વિકાસની પરિયોજનાઓને કેવી રીતે મૂર્તિમંત સ્વરૂપ આપશે એ વિશે વાત કરતા નથી. જોકે દેશનો મતદાર અંધ નથી. તે તમામ બાબતે સાવચેત અને જાગૃત છે. ખરું જોતાં તો ચૂંટણી જ એ સમય છે જ્યારે લોકો જાણી શકે છીએ કે તેઓ જેને કીંમતી મત આપીને જનપ્રતિનિધિ બનાવે છે તેમનું સ્તર કેવું છે. નેતાઓ ભલે પ્રજાને મૂરખ સમજે પરંતુ આ જ પ્રજાએ એક સમયે ૪૧૪ બેઠકો મેળવનારી કોંગ્રેસને ૪૪ના આંકડે લાવી દીધી હતી. તો ભાજપને બે બેઠકોથી ૨૮૨ બેઠકે પહોંચાડી દીધો હતો. આવી જ ઉથલપાથલ દેશનો જાગૃત મતદાર આગામી સમયમાં પણ કરી શકે છે. 

Tags :