Get The App

આઈસિસનો ખાત્મો:આતંકના વૈશ્વિક માહોલમાં આશાનું કિરણ

- ટ્રમ્પે ગાલ ફૂલાવીને હરખાતા હરખાતા આ જાહેરાત કરી છે

Updated: Mar 23rd, 2019

GS TEAM

Google News
Google News
આઈસિસનો ખાત્મો:આતંકના વૈશ્વિક માહોલમાં આશાનું કિરણ 1 - image


- આતંકી સંગઠન આઈસિસનું મુખ્ય ગ્રાઉન્ડ સિરિયા હતું, છેલ્લા અહેવાલ પ્રમાણે સિરિયાને સંપૂર્ણપણે આઈસિસિ મૂક્ત કરી દેવાયું છે

- 21 દેશોમાં 90થી વધુ એટેક કરીને આઈસિસે સાબિત કર્યું હતુ કે એ ખરા અર્થમાં વૈશ્વિક આતંકી સંગઠન છે. તેનો ખાત્મો થાય એ આખા જગત માટે અચ્છે દિન જ કહી શકાય

છેલ્લા બેએક વર્ષથી આઈસિસ નામના આતંકી સંગઠનની તાકાત નબળી પડવા લાગી છે. પરંતુ ૨૦૧૫થી ૨૦૧૬ સુધીનો સમય એવો હતો જ્યારે આઈસીસે મહત્તમ આતંક મચાવ્યો હતો. મધ્ય એશિયાઈ દેશ સિરિયાથી આઈસિસના આતંકની શરૂઆત થઈ હતી. ઈતિહાસમાં અનેરું મહત્ત્વ ધરાવતા દેશ સિરિયા તરફ અચાનક જગતનું ધ્યાન પડયુ હતુ. ત્યારથી આજ સુધી સિરિયા સળગી રહ્યું છે. પરંતુ એ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે સિરિયાના બેગુઝ વિસ્તારમાં આઈસિસનો જમાવડો બાકી રહ્યો હતો. એ વિસ્તારને પણ હવે આઈસિસિ મુક્ત કરી દેવાયો છે. ટ્રમ્પે ગાલ ફૂલાવીને હરખાતા હરખાતા આ જાહેરાત કરી છે. હરખાવુ પણ જોઈએ કેમ કે એક રીતે આતંક સામે વિજય મળ્યો છે.

સિરિયા પર જગતનું ધ્યાન પડવાની શરૂઆત થઈ એ વર્ષ ૨૦૧૧નું હતું. બાકી તો આ રણભૂમિમાં પથરાયેલા દેશમાં ઐતિહાસિક ખંડેરો સિવાય ખાસ આકર્ષણ નથી. પરંતુ સિરિયામાં પ્રમુખ બશર અલ અસદ સામે ૨૦૧૦થી વિરોધ શરૂ થયો. અસદ તો ૨૦૦૦થી સત્તા પર હતા અને શરૂઆતમાં પ્રજાના હિરો હતા. પરંતુ સત્તાનો નશો ચડતો ગયો એમ અસદની દાદાગીરી વધી અને છેવટે પ્રજા માટે એ ઝીરો બની ગયા. તેમને સત્તા પરથી ઉતારી મુકવા પ્રજા આંદોલન શરૂ કર્યુ. તેમાં વળી કેટલાક વિદ્રોહી તત્વોએ તોડફોડ કરી મુકતા અસદે પ્રજા પર સેનાનેે છૂટ્ટી મુકી દીધી. એ લડાઇમાં અમેરિકા અને રશિયાએ પણ ઝંપલાવ્યું. એટલે લડાઈ ટૂંક સમયમાં અમેરિકા વિરૂદ્ધ રશિયાની બની ગઈ. પ્રજા ત્રસ્ત થઈને સિરિયા છોડવા લાગી.

દેશની આ અશાંતિનો લાભ લઈને એક આતંકી સંગઠન ઉભું થયું. ૨૦૦૬માં સંગઠન સ્થપાયું હતુ ત્યારે તેનું નામ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક (આઈએસઆઈ) હતું. ૨૦૧૦માં અબુ બકર અલ બગદાદી તેનો વડો જાહેર થયો. ત્યાં સુધી એ સંગઠનનો ખાસ આતંક જોવા મળ્યો ન હતો. પરંતુ ચૂપચાપ બકરે પોતાની આતંકી સેના તૈયાર કરી લીધી હતી. મધ્ય-પૂર્વના દેશોમાં બેકાર રહેલા યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરી હાથમાં હથિયારો પકડાવી દેવાયા હતા. એ પછી તકની રાહ જોવાઈ રહી હતી. 

સિરિયામાં સરકાર-પ્રજા વચ્ચે ગૃહયુદ્ધ શરૂ થયું તેનો લાભ આઈએસઆઈએ ઉઠાવ્યો, કેટલાક પ્રદેશ પર કબજો જમાવી લીધો. કેમ કે એ વખતે સિરિયાની હાલત રેઢા પટ જેવી હતી. સરકારની પહોંચ ન હોય એવો ઘણો વિસ્તાર હતો. બીજી તરફ દેશની વસતી ૨૦૧૧માં અઢી કરોડ હતી એ પાંચ વર્ષમાં ઘટીને પોણા બે કરોડ થઈ ગઈ. લાખો લોકો દેશ છોડીને જતા રહ્યા હતા. એ બધો ખાલી, સત્તાવિહિન અને સરકારની પહોંચ બહારના વિસ્તાર પર આઈએસઆઈએ પોતાનો કાળો વાવટો ફરકાવ્યો. એ પછી સંગઠનનું નામ બદલીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ-આઈસિસ) કરી દીધું. 

સિરિયા અને ઈરાક બન્ને પડોશી દેશો છે. એટલે આઈસિસને પોતાનો પથારો ફેલાવામાં ભારે સફળતા મળી. આતંકવાદીઓએ પૈસા મેળવાવ માટે પણ નેટવર્ક ઉભું કરી લીધું હતુ. એટલે જ તો આઈસિસે પોતાને માત્ર સંગઠન નહીં એક દેશ તરીને ઓળખ આપી દીધી હતી. સિરિયાનો ઘણો પ્રદેશ કબજે કર્યો અને ત્યાં પોતાની હકુમત સ્થાપી દીધી. મધ્ય એશિયાઈ દેશોની ધરતી ભલે કોરી કટ હોય, પણ પેટાળમાં તો પેટ્રોલિયમ છે જ. આઈસિસે ઈરાક-સિરિયામાંથી પોતાના કબજાના વિસ્તારમાંથી નીકળતા પેટ્રોલિયમ દ્વારા આવક મેળવવાની શરૂઆત કરી. એમાં ઓછપ જણઆઈ ત્યારે કૃષિ પર કર નાખવાની શરૂઆત કરી દીધી. 

એમ્સ્ટર્ડેમથી પ્રગટ થતા કૃષિ જર્નલ ફૂડ પોલીસી લખ્યું કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન આઈસિસના આતંકીઓએ ઘઉં અને જવના પાક પર ટેક્સ નાખીને અંદાજે ૫.૬ કરોડ ડોલરની આવક કરી લીધી છે. આઈસિસના કબજાનો જે વિસ્તાર હતો એ પૈકીનો ઘણો ખરો વિસ્તાર ફળદ્રૂપ હતો. વધુમાં ઈરાક અને સિરિયા બન્ને દેશોના મહત્ત્વના જળ-સ્ત્રોત્રો આઈસિસના વિસ્તારમાં આવી ગયા હતા. એટલે કૃષિની આવક જેવી તેવી ન હતી. સાથે સાથે એ વાત પણ સાબિત થતી હતી કે આઈસિસ નામક આ સંગઠન બરાબર આયોજન સાથે આગળ ચાલે છે.

આતંક ઉભો કરવામાં અમેરિકા-બ્રિટન જેવા દેશોનો ફાળો પણ મોટો છે, માટે તેમણે આતંક નષ્ટ કરવો જ પડે. ૨૦૧૬માં બ્રિટિશ સરકારના પૂર્વ અધિકારી અને પ્રિવી કાઉન્સિલના સભ્ય સર જોન ચિલકોટ પાસે બ્રિટિશ સરકારે એક અહેવાલ તૈયાર કરાવડાવ્યો હતો. એ અહેવાલ ઈરાક યુદ્ધ અનિવાર્ય હતું કે નહીં એ અંગેનો હતો. અહેવાલમાં સ્પષ્ટ લખ્યું હતુ કેે ઈરાક યુદ્ધ ટાળી શકાયુ હોત પરંતુ બુશ (અમેરિકા) અને બ્લેર (બ્રિટન)ની મહાત્વાકાંક્ષાએ ઈરાકને યુદ્ધમાં હોમી દીધું. એ રિપોર્ટમાં આઈસિસ જેવા આતંકી સંગઠનો કેમ પેદા થયા તેની પણ સ્પષ્ટતા હતી.

એ રિપોર્ટ પ્રમાણે ઈરાક પર હુમલા વખતે અનેક નિર્દોષ નાગરિકો મરાયા અને જે જીવતા રહ્યા એમની જીંદગી મુશ્કેલ બની. માટે અમેરિકા અને તેને સાથ આપનારા બ્રિટન સહિતના અનેક દેશો પ્રત્યે ઈરાકી નાગરિકોનો રોષ વધ્યો હતો. ઈરાક યુદ્ધ પછી જ અમેરિકી સેના સામે બદલો લેવા માટે અલ-કાયદાની એક બ્રાન્ચ તરીકે નાને પાયે આતંકી પ્રવૃત્તિ શરૂ થઈ. એ પ્રવૃત્તિ આજે આઈસિસના નામે ઓળખાતી થઈ હતી અને તેની ખ્યાતિ અલ-કાયદાથી પણ વધી ગઈ હતી. એ વખતે અબુ મુસાબ અલ ઝકવી નામનો યુવાન મેદાને પડયો અને અમેરિકી સેના પર આતંકી હુમલા શરૂ કર્યા. અબુ તો ૨૦૦૬માં અમેરિકી હુમલામા માર્યો ગયો પરંતુ ત્યાં સુધીમાં તેણે એક સંગઠન સ્થાપી દીધું હતું, આઈએસઆઈએસ. અબુના મૃત્યુ પછી અનેક ઈસ્લામી યુવાનો તૈયાર હતા, જેમને અમેરિકા પ્રત્યે ભારોભાર નફરત હતી. અમેરિકાએ ઉભો કરેલો આતંક છેવટે તેમને નડયો.

અત્યારે અમેરિકાએ જાહેરાત કરી કે આઈસિસની ખિલાફત સામે અમે વિજય મેળવ્યો છે. પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે આઈસિસ સંપૂર્ણ ખતમ થયું નથી. આ વિજય પણ સંપૂર્ણ વિજય નથી! વિજય કે સંપૂર્ણ વિજય કે પરાજય એ નક્કી કરવુું હાલના તબક્કે જરા ઉતવાળુ કહી શકાય. પરંતુ એ વાત નક્કી છે કે આઈસિસિનો ગઢ સિરિયા હતું. એ ગઢના કાંગરા પર હાલ તો અમેરિકી સપોર્ટ ધરાવતી સિરિયન ડેમોક્રેટિક ફોર્સે (એસડીએફ) પોતાનો વિજય ધ્વજ ખોડી દીધો છે. 

આઈસિસે ટૂંકા સમયમાં જગતમાં લોકપ્રિયતા મેળવી હતી. ભારત સહિત ઘણા દેશોના યુવાનો એ આતંકી સંગઠન સાથે જોડાવા સિરિયા રવાના પણ થયા હતા. આઈસિસની સેના વધતી વધતી એક તબક્કે લાખોની સંખ્યામાં પહોંચી હતી. બે ડઝનથી વધુ દેશના આતંકીઓ તેમની સાથે જોડાયા હતા. આઈસિસે વિવિધ ૨૧ દેશમાં ૯૦ હુમલા કરીને ૧૪૦૦થી વધુ લોકોના જીવ લઈ લીધા હતા. એ રીતે એ પહેલુ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાબિત થયું હતુ. 

આતંક વધતો ગયો એમ આઈસિસ દ્વારા અપાતા ત્રાસનો પ્રકાર વધતો જતો હતો. જ્યાં હુમલો કરે ત્યાં મહિલાઓ પર અત્યાચાર શરૂ થયો હતો. સાથે સાથે ગુલામી પ્રથા દાખલ કરી હતી. ૨૦૧૫ના વર્ષમાં આઈસિસના કબજામાં સાડા ત્રણ હજાર કરતા વધારે ગુલામ હતા. આજનું સિરિયા બે હજાર વર્ષ પહેલા રોમન સામ્રાજ્યનો ભાગ હતુ. રોમનોએ તેમની આદત મુજબ કદાવર બાંધકામો, ભવ્ય કમાનો, કિલ્લા, તૈયાર કર્યા હતા. એમાં પણ સિરિયાનું પેલ્માયરા શહેર તો તેના સ્થાપત્યો માટે જગ વિખ્યાત હતું. આઈસિસના અબૂધ આતંકીઓએ એ કળાને પણ શક્ય એટલું નુકસાન પહોંચાડયુ હતુ. 

અમેરિકા સહિતના દેશોએ જ્યારે આઈસિસ પર પ્રહાર શરૂ કર્યા ત્યારે અમેરિકાને સફળતા નહીં મળે એવી ચિંતા હતી. અમેરિકાએ જોકે સાબિત કરી દેખાડયું કે આતંક સામે લડતા તેમને બરાબર આવડે છે. એ પછી લાદેન હોય કે અબુ બકર. અલબત્ત, આતંક સાવ નષ્ટ કરી શકાયો નથી, પરંતુ તેને ધરબી દેવામાં સફળતા તો મળી જ છે.

Tags :