આર્થિક ગુના રોકવા હવે ઈન્ટરપોલની સિલ્વર કોર્નર નોટિસ
- ભારત અને ઈન્ટરપોલનું સંયુક્ત સાહસ, ગુનેગારોની સંપત્તી, બેન્ક ખાતા અને અન્ય આર્થિક વ્યવહારો ઉપર સકંજો
- ઈન્ટરપોલે ૫૧ દેશો સાથે જોડાણ કરીને આર્થિક ગુના રોકવા માટે સિલ્વર કોર્નર નોટિસ જારી કરવાનો પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો : નવેમ્બર સુધીમાં દુનિયાભરના આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને શોધવા માટે આ નોટિસ હેઠળ કામગીરી કરાશે ઃ સિલ્વર કોર્નર નોટિસ હેઠળ દેશ છેતરપિંડી, ભ્રષ્ટાચાર, નશાકારક દવાઓ, તસ્કરી, પર્યાવરણને ગંભીર નુકસાન જેવા ગંભીર ગુનાઓ કરનારા ગુનેગારોની સંપત્તીઓની માહિતી મેળવી શકશે
ભારત અને દુનિયાભરના દેશો દ્વારા ગુનેગારો સામે ઈન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ઈન્ટરપોલ દ્વારા આ અપરાધીઓ સામે અને દેશ છોડીને ફરાર થયેલા ગુનેગારો સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે. દાયકાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારોને પકડવા માટે આવી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં ભારત અને ઈન્ટરપોલ નવા જ પ્રકારની નોટિસ જારી કરવા માટે ચર્ચામાં આવ્યું છે. ભારતના કહેવા પ્રમાણે ઈન્ટરપોલ દ્વારા કેટલાક ગુનેગારો સામે સિલ્વર કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારત દ્વારા પહેલી વખત આર્થિક ગુનેગારો સામે આવી નોટિસ જારી કરાવવામાં આવી છે. આ નોટિસની મદદથી આર્થિક ગુના કરીને ભાગી જનારા ગુનેગારોની સંપત્તી, બેન્ક ખાતા અને અન્ય બાબતો ટ્રેકકરવામાં અને તા ઉપર સકંજો કસવામાં મદદ મળશે. સીબીઆઈ અને ઈન્ટરપોલ દ્વારા સંયુક્ત રીતે પહેલી વખત સિલ્વર નોટિસ જારી કરીને આર્થિક ગુના ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિલ્વર નોટિર ઈન્ટરપોલની પણ એક પહેલ છે. તેના દ્વારા ૫૧ દેશો સાથે જોડાણ કરીને પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં આ પ્રકારની નોટિસ જારી કરીને મોટા આર્થિક ગુનેગારોને પકડવાનો નવતર પ્રયોગ કરવામાં આવશે.
સિલ્વર કોર્નર નોટિસ હેઠળ દેશ છેતરપિંડી, ભ્રષ્ટાચાર, નાશાકારક દવાઓ, તસ્કરી, પર્યાવરણને ગંભીર નુકસાન જેવા ગંભીર ગુનાઓ કરનારા ગુનેગારોની સંપત્તીઓની માહિતી મેળવી શકશે. દરેક દેશ આ પ્રોજેક્ટ હેઠળ ૯ સિલ્વર કોર્નર નોટિસ જારી કરી શકશે. ભારતે સીબીઆઈ, ઈડી અને એનસીબીની તપાસ સાથે સંકળાયેલા વિવિધ કેસનું એનાલિસિસ કરીને કેટલાક કેસમાં સિલ્વર નોટિસ રજૂ કરવાની અપિલ ઈન્ટરપોલને કરી હતી. સિલ્વર નોટિસ જારી થવાથી આ લોકોની વૈશ્વિક સંપત્તીઓને જપ્ત કરવામાં અને લેણાની રકમની વસુલી કરવામાં મદદ મળશે. ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ગુના અને ભાગેડુ ગુનેગારોને નાથવામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ખાસ વાત એવી છે કે, ૨૩ મે ૨૦૨૫ના રોજ સીબીઆઈ દ્વારા શુભમ શોકીન નામની વ્યક્તિ સામે સિલ્વર કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. શુભમ દિલ્હીના એક વિદેશી દૂતાવાસમાં વીઝા અને લોકલ લિગલ ઓફિસર તરીકે કામ કરતો હતો. શુભમે સપ્ટેમ્બર ૨૦૧૯થી મે ૨૦૨૨ દરમિયાન ઘણા ગુનેગારો સાથે જોડાણ કરીને વીઝાનું કૌભાંડ કર્યું હતું. તેણે દરેક અરજદાર પાસેથી ૧૫થી માંડીને ૪૫ લાખ રૂપિયા સુધીની વસુલાત કરીને દરેકને શેંગેન વીઝા જારી કરાવી આપ્યા હતા. આ કૌભાંડ થકી તેણે જે રકમ ભેગી કરી હતી તેમાંથી દુબઈ અને યુએઈમાં અંદાજે ૭૭.૬૦ લાખ દિરહામ એટલે કે અંદાજે ૧૬ કરોડ રૂપિયાના છ અચલ સંપત્તીની ખરીદી કરી હતી. નવાઈની વાત એ છે કે, શુભમની આ સંપત્તીઓ અને અન્ય વિગતો મેળવવા માટે સીબીઆઈ દ્વારા ઈન્ટરપોલની મદદથી બ્લૂ કોર્નર નોટિસ જારી કરાવવામાં આવી હતી. હવે શુભમની સંપત્તી અને અન્ય આર્થિક વ્યવહારો ટાંચમાં લેવા માટે સિલ્વર કોર્નર નોટિસ જારી કરાવી છે.
શુભમ ઉપરાંત ભારતે અન્ય એક કેસમાં પણ સિલ્વર કોર્નર નોટિસનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ ૨૬ મેના રોજ સીબીઆઈએ ઈડીની અપિલ બાદ અમિત મદનલાલ લખનપાલ નામની વ્યક્તિ સામે સિલ્વર નોટિસ જારી કરી હતી. ભારતની આ બીજી સિલ્વર કોર્નર નોટિસ હતી. લખનપાલે મની ટ્રેડ કોઈન(એમટીસી) નામની એક ડિજિટલ ક્રિપ્ટો કરન્સી બનાવી હતી.
આ કરન્સીને ભારતમાં મંજૂરી આપવામાં આવી નથી. મદનલાલે રોકાણકારોને લલચાવીને આ ક્રિપ્ટો કરન્સી દ્વારા ૧૧૩.૧૦ કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા. આ માટે તેણે રીઝર્વ બેન્ક કે અન્ય કોઈ સરકારી કચેરીઓનો સંપર્ક પણ સાધ્યો નહોતો અને આટલું મોટું રોકાણ મેળવી લીધું.
તેણે રોકાણકારોને જે વાયદો કર્યો હતો તે પ્રમાણે રિટર્ન આપ્યું નહીં અને પૈસા પણ પડાવી લીધા હતા. લખનપાલે પોતાને નાણા મંત્રાલયનો એક ઉચ્ચ અધિકારી ગણાવીને લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. તેને પકડવા માટે આ પહેલાં રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
જાણકારોના મતે સીબીઆઈ, ઈડી અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા મોટા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને દાઉદ ઈબ્રાહિમ, વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોક્સી અને તેમના જેવા ગુનેગારો જે મોસ્ટ વોન્ટેડની કેટેગરીમાં આવે છે તેમની સામે સિલ્વર નોટિસ જારી કરવામાં આવશે.
આતંકવાદ, મની લોન્ડરિંગ, સાઈબર ક્રાઈમ, છેતરપિંડી, માનવ તસ્કરી, ડ્રગ્સ અને અન્ય પ્રકારના ગંભીર ગુનોઓ આચરીને વિદેશ ભાગી જનારા ઉપર શકંજો કસવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, મોટાભાગના સામે રેડ કોર્નર નોટિસ પહેલેથી જ જારી કરેલી છે અને તેમને ભારત લાવવાના પ્રયાસ પણ જારી છે.
સૂત્રોના મતે સીબીઆઈ દ્વારા જાન્યુઆરીથી જ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સીબીઆઈએ તમામ રાજ્યોની પોલીસ, ઈડી, એએનઆઈ અને અન્ય તપાસ એજન્સીઓની મદદથી ગંભીર ગુના આચરનારા ગુનેગારોની ઓળખ કરીને તેમની કાળી કમાણીથી વિદેશમાં ઊભી કરેલી તમામ સંપત્તીની તપાસ કરીને તેને કબજે લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જરૂર પડયે તમામ મોટા આરોપીઓ સામે સિલ્વર કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવશે. સીબીઆઈની જેમ ઈડી અને એનઆઈએ દ્વારા પણ આવા ગંભીર ગુના કરનારા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
ભારતમાં આર્થિક ગુના કરનારા અને આતંકવાદ ફેલાવનારા ગુનેગારો સમાવેશ થાય છે જે વિદેશ ભાગી ગયા છે. આ ઉપરાંત વિદેશ રહીને ભારતમાં ગુના આચરનારા, આતંક ફેલાવનારા ગુનેગારોની યાદી પણ મોટી છે.
ઈન્ટરપોલ દ્વારા કુલ આઠ પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે
ઈન્ટરપોલ દ્વારા હાલના સમયમાં આઠ પ્રકારના અને કલર કોડ ધરાવતી નોટિસો જારી કરવામાં આવે છે. હવે સિલ્વર કોર્નર નોટિસ જોડાવાથી નોટિસની કુલ સંખ્યા આઠ થઈ ગઈ છે. દુનિયાભરમાં સંતાયેલા ગુનેગારોને શોધવા, તેમની સંપત્તી શોધવા, ગુનેગારોને પકડવા કે માહિતી ભેગી કરવા માટે વિવિધ પ્રકારના કલર કોડ ધરાવતી નોટિસ ઈન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવે છે. ઈન્ટરપોલના સભ્ય દેશોની અરજી અને ગુનાની ગંભીરતાના આધારે ઈન્ટરપોલ નોટિસ જારી કરે છે.
રેટ નોટિસ - કોઈપણ ગુનેગારનું લોકેશન શોધવા અને તેની અટકાયત કરવા માટે કે તેની સામે ગંભીર ગુનાનો કેસ ચલાવવા માટે આ નોટિસ જારી કરવામાં આવે છે.
યલો નોટિસ - આ નોટિસનો ઉપયોગ ખોવાયેલી વ્યક્તિ અથવા એવા લોકો કે જેમની ઓળખ થતી નથી તેમને શોધવા માટે કરવામાં આવે છે.
બ્લ્યૂ નોટિસ - કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે વધારેમાં વધારે માહિતી ભેગી કરવા માટે બ્લ્યૂ નોટિસ જારી કરાય છે.
બ્લેક નોટિસ - અજાણ્યા મૃતદેહોની ઓળખ અને તેની વિસ્તૃત વિગતો મેળવવા માટે આ નોટિસ જારી થાય છે.
ગ્રીન નોટિસ - કોઈ વ્યક્તિ ગુનાખોરીમાં એક્ટિવટે છે કે નહીં અને હોય તો તેના વિશેની વિશેષ ચેતવણી ઉચ્ચારવા માટે ગ્રીન નોટિસ જારી કરાય છે.
ઓરેન્જ નોટિસ - આ નોટિસ દ્વારા કોઈપણ ગંભીર અને ઈમર્જન્સી ધરાવતા ભય વિશે એલર્ટ જારી કરવામાં આવે છે.
પર્પલ નોટિસ - આ નોટિસ દ્વારા ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અને તેમની મોડસ ઓપરેન્ડી વગેરેની માહિતી મેળવવામાં આવે છે.
સિલ્વર નોટિસ - ગંભીર ગુનાઓમાં સંકળાયેલા ગુનેગારોની આર્થિક બાબતો, રોકાણ, સંપત્તી વગેરેની માહિતી ભેગી કરવા આ નોટિસ જારી કરવામાં આવે છે.
સ્પેશિયલ નોટિસ - યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા ચોક્કસ વ્યક્તિ અથવા તો જૂથ કે જેઓ યુએન સિક્યોરિટી કાઉન્સિલની સેન્ક્શન કમિટીને જોખમી લાગતા હોય અને વૈશ્વિક ખતરો હોય તેમની સામે યુએન સિક્યોરિટી કાઉન્સિલની સ્પેશિયલ નોટિસ જારી કરવામાં આવે છે.
મુંબઈવાસીઓનું ૧૩૦ કરોડનું ફુલેકુ ફેરવનારા સામે બ્લૂ કોર્નર નોટિસ
હજારો મુંબઈવાસીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ટોરેસ ગોટાળાના આરોપીઓની પણ તપાસ ચાલી રહી છે. આ આરોપીઓ ફુલેકુ ફેરવીને બલ્ગેરિયામાં સંતાઈ ગયા હોવાના અહેવાલો છે. તેઓ ત્યાંથી પણ ભારતીયો સાથે છેતરપિંડી કરતા હોવાના અહેવાલો બાદ તપાસ એજન્સીઓ વધારે સક્રિય થઈને ઈન્ટરપોલની મદદ લેવા પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોકાણ ઉપર મોટું વળતર આપવાની લાલચ આપીને હજારો લોકો સાથે છેતરપિંડી કરાઈ છે. તેમાંથી અંદાજે ૧૩ હજાર જેટલા લોકોએ તો ફરિયાદ કરી છે અને તેના આધારે જ ૧૩૦ કરોડનો આંકડો બહાર આવ્યો છે. આ કેસમાં મુંબઈની જેમ બેંગ્લુરૂ, સુરત, ચેન્નઈ અને કોલકાતામાં પણ ઓફિસ ખોલીને ઠગાઈ કરવાનો પેંતરો હતો પણ ઈડીએ દરોડા પાડીને બધું ઝડપી પાડયું હતું. પોલીસ અને ઈડીના સૂત્રોના મતે આરોપીઓ હાલમાં બલ્ગેરિયામાં છે અને ઈડીએ ઈન્ટરપોલની મદદ લઈને તેમને ત્યાંથી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.
આ કેસમાં છ લોકોની ધરપકડ કરાઈ છે અને તે સિવાયના આરોપીઓને પકડવા માટે બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ ગુનામાં કોઈપણ વ્યક્તિની ઓળખ અથવા તો જગ્યા અથવા તો તેની એક્ટિવિટી વિશે માહિતી ભેગી કરવા માટે બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. આ નોટિસ થકી ઈન્ટરનેશનલ પોલીસ ગુનેગારોની માહિતી ભેગી કરે છે.
આ માહિતીના આધારે જ મોટા ગુનેગારોને શોધવા અને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.