Get The App

શેરબજાર માટે મહત્વનાં સ્ટોક એક્સચેન્જ ચીભડા ગળી રહી છે

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
શેરબજાર માટે મહત્વનાં સ્ટોક એક્સચેન્જ ચીભડા ગળી રહી છે 1 - image


- એનએસઈ પછી કેશ માર્કેટમાં ઘટી રહેલો હિસ્સો બચાવવા બીએસઈ પણ ભેદભાવ કરતા શીખ્યું

- રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે એ સમગ્ર વ્યવસ્થા તંત્ર, તેના નિયમો અને તેની પારદશતા ઉપર મોટા સવાલ ઉઠે છે. ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ કૌભાંડમાં શેરબજારમાં રોકાણ કરતા અગણિત લોકોએ પરસેવાની કમાણીથી નાહી નાખ્યું છે. બજારમાં પ્રથમ તબક્કે નિયમન કરવાની જેની જવાબદારી છે તે બીએસઈ અને એનએસઈ બન્ને સ્ટોક એક્સચેન્જ પૈસા - વગ ધરાવતા લોકો અને સામાન્ય રોકાણકાર વચ્ચે ભેદભાવ કરી રહ્યાની ઘટનાઓ બની છે. સેબીએ તાજેતરમાં આ માટે બીએસઈને દંડ કર્યો છે અને એનએસઈનું કો-લોકેશન કૌભાંડ તો છેલ્લા એક દાયકાથી ગાજી રહ્યું છે. આ સ્થિતિમાં દેશના સ્ટોક માર્કેટની વિશ્વસનીયતા દાવ ઉપર લાગેલી છે.

શેરબજારમાં એક તરફ તેજીનો વંટોળ ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બજાર દરેક જોખમ, યુદ્ધ અને તર્કને અવગણી સતત વધી રહ્યા છે. આ તેજીમાં પ્રમોટર અને વિદેશી ફંડ્સ વેચી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતની જેમ સ્થાનિક સંસ્થાઓ અને રિટેલ રોકાણકાર ખરીદી રહ્યા છે. આ બધાની વચ્ચે બજારની પારદર્શિતા સામે સવાલ થાય એવા પડકાર ઉપર પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. શેરની ખરીદી અને વેચાણ કરવાની બહુ જરૂરી સવલત આપતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની કામગીરી, ભાગલા પડવાની નીતિ અને પારદર્શિતા ઉપર મોટા સવાલ ઉભા થયા છે. બજાર નિયમનકાર પગલાં લઇ રહી છે પણ તેનાથી સિસ્ટમ સુધરી હોવાના પુરાવા હજી મળી રહ્યા નથી. કારણ કે એ પગલાં માત્ર નામ પૂરતા જ હોય છે. 

વોલ્યુમ અને ટર્નઓવરની દ્રષ્ટિએ એનએસઈ વિશ્વમાં સૌથી મોટા એક્સચેન્જમાંથી એક છે જ્યારે બીએસઈ એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે. વોલ્યુમ અને ટર્નઓવરમાં એનએસઈ બીએસઈ કરતા અનેકગણું મોટું છે. 

બીએસઈ માસે કેશ સેગમેન્ટમાં માત્ર ચાર - પાંચ ટકા હિસ્સો છે, ફ્યુચર એન્ડ ઓપ્શન કે ડેરિવેટિવ્ઝ ટ્રેડીંગમાં એનએસઈની મોનોપોલી છે. આ સ્થિતિમાં એનએસઈ એક પારદર્શક એક્સચેન્જ તરીકે કામગીરી કરે એ જરૂરી છે. પરંતુ, વાસ્તવિકતા એવી નથી. બીએસઈની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે. બન્ને એક્સચેન્જ માર્કેટ નિયમનકાર સેબીની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. સરળ ભાષામાં જે એકમ (એક્સચેન્જ)નું કામ રોકાણકારોને પારદર્શક ટ્રેડીંગની સવલત આપવાનું છે એ જ નિયમનું પાલન કરતા નથી અને રોકાણકારોને નુકસાન કરી રહ્યા છે! આનાથી મોટું જોખમ કેવું હોય?

સૌથી પહેલા સ્ટોક એક્સચેન્જની કામગીરી સમજવી જરૂરી છે. એક્સચેન્જ એક બજાર છે અને તેમાં શેરની ખરીદી અને વેચાણ કરવા માટે ખરીદનાર અને વેચનાર આવે છે, પોતાની જરૂરીયાત, સમજ અને અન્ય પરિબળોના આધારે ખરીદી અને વેચાણ કરે છે. 

આ પ્લેટફોર્મ ઉપર ખરીદી અને વેચાણ કરતી વખતે પારદર્શિતા જરૂરી છે અને તે નિશ્ચિત કરવાની જવાબદારી એક્સચેન્જની છે. 

એક્સચેન્જ ઉપર માર્કેટ રેગ્યુલેટર તરીકે ભારતમાં સેબી કામ કરે છે. આ રેગ્યુલેશન કે નિયમોને આધીન કામ થવું જોઈએ જેમાં ખરીદનાર અને વેચનાર - પ્રમોટર હોય કે ફંડ, વિદેશી હોય કે ભારતીય - બધા સમાન છે. દરેકને સમાન હક્ક અને નિયમોનું પાલન કરવનું હોય છે. જોકે, ભારતમાં આવું થતું નથી એ કમનસીબી છે. છતાં એક્સચેન્જ કાર્યરત છે, ભારતીય બજાર સલામત છે અને તેજી વણથંભી ચાલી રહી છે.

શેરમાં રોકાણને જુગાર સાથે સરખાવવામાં આવે છે. પરંતુ, બન્ને વચ્ચે બહુ મોટો ભેદ છે. જુગાર નસીબ કે તક આધારિત પૈસાની રમત છે. બીજી તરફ, સ્થિતિ સમજી, કંપની કે અર્થતંત્ર ઉપર અભ્યાસ કરી, જોખમ અને લિકવીડીટી અંગે ગણતરી સાથે લાંબાગાળે વળતર મેળવવાની પ્રવૃત્તિને રોકાણ (શેર, કોમોડિટી કે અન્ય) કહેવાય. રોકાણમાં વ્યક્તિ પોતે ખરીદેલા શેર (વળતર માટે લીધેલું જોખમ) વેચાણ કરતે ત્યારે બીજાને ટ્રાન્સફર કરી શકે છે. જુગારમાં એવી કોઈ તક નથી. જોકે, એક્સચેન્જની ઉણપ, ક્ષતિ કે કામગીરી કરવાની ખોટી પદ્ધતિથી રોકાણ ક્યારે જુગાર થઇ જાય છે એ ખબર પડતી નથી અને તે ચિંતાનો વિષય છે.

નિયમોનું પાલન નહીં કરવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જને સેબીએ તા.૨૫ જૂને રૂ.૨૫ લાખનો દંડ કર્યો છે. 

એનએસઈ સામે આવી કાર્યવાહી ૨૦૧૬ અને ૨૦૧૯થી ચાલી રહી છે. એનએસઈ સામેના આક્ષેપ વધારે મોટા છે એટલે સેબી અને એક્સચેન્જ તે કેવી રીતે સુલટાવવા તેના માટે લડી રહ્યા છે. આ લડાઈ વચ્ચે પણ જોકે, એક્સચેન્જની રોજીંદી કાર્યવાહી ઉપર કોઈ રોક-બાધ નથી, કોઈ દેખરેખ નથી. એક્સચેન્જ સતત વિસ્તરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે.

કંપનીઓની નફાશક્તિ વધે, વેચાણ વધે અને ભવિષ્ય ઉજ્જવળ થાય, કોઈ મોટા રોકાણકાર રોકાણ કરે, કંપની કોઈ ભાગીદારી કે જોડાણ કરે ત્યારે શેરના ભાવ વધે છે. દંડ, કાયદામાં ફેરફાર કે અન્ય કારણોસર નફો કે વેચાણ ઘટે એવી સ્થિતિમાં ભાવ ઘટે છે. દરેક કંપનીએ આ પ્રકારના મટીરીયલ ફેરફાર અંગે સ્ટોક એક્સચેન્જને જાણ કરવી ફરજીયાત છે. આ જાણકારીમાં બીએસઈ ભેદભાવ રાખી રહ્યું હતું. 

જાહેર જનતાને જાણ થાય એ પહેલા કંપનીના ફાઈલિંગ લીસ્ટીંગ સેન્ટ્રલ મોડયુલમાં આવે અને પછી તે જાહેરાત થાય. આ મોડયુલ જોવાની સત્તા બીએસઈના કર્મચારીઓ અને કેટલાક સબસ્ક્રીપશન ભરતા બીએસઈના ગ્રાહકોને આપવામાં આવી હોવાનો સેબીનો આરોપ છે. જાહેર જનતા કરતા જાણકારી વહેલી મળવાથી શેરના ભાવમાં સંભવિત વધઘટનો લાભ આ લોકો મેળવી શકે અને આ એક ભેદભાવ હોવાનું સેબીની તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, કેટલાક બ્રોકેર તેમના ક્લાયન્ટના યુનિક કોડ વારંવાર બદલી નાખતા હોવાથી બજાર ઉપર નજર રાખવી મુશ્કેલ બની હતી અને આ કોડ બદલવા માટે બીએસઈ કોઈ પગલાં લેતું નહીં એમ પણ સેબીની તપાસમાં બહાર આવ્યું છે. 

એનએસઈ સામે ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે સેબીએ તપાસ કરી છે. કો-લોકેશન સર્વર કૌભાંડ નામના કેસમાં કેટલાક બ્રોકરને એનએસઈના સર્વરનો અન્ય લોકો કરતા વધારે ઝડપથી એક્સેસ મળે એવો આક્ષેપ છે. 

આ કેસમાં કેટલાક ખાસ બ્રોકરને અલગ કેબલ કે લાઈનથી સ્ટોક એક્સચેન્જના સર્વર ઉપર સોદા કરવાની છૂટ મળી હતી. સેકન્ડના ત્રીજા ભાગમાં જ્યાં સોદા થતા હોય ત્યાં થોડા પહેલા સોદા કરવાની છૂટ મળે તો બ્રોકર તેમાંથી જંગી કમાણી કરી શકે એવો આક્ષેપ હતો. આ કેસમાં એક્સચેન્જના પૂર્વ મેનેજીંગ ડીરેક્ટર રવિ નારાયણની હવાલા મની લોન્ડરિંગ કેસમાં અને એમના અનુગામી ચિત્રા સુબ્રમણ્યમની સીબીઆઈ દ્વારા ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. 

આ કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને પ્રોફેસર અજય શાહના નામ પણ ઉછળ્યા હતા. હજરો કરોડનું આ કૌભાંડ હોવાનો વ્હીસલ બ્લોઅરે આક્ષેપ કર્યો હતો. આ કેસની તપાસમાં સેબી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ પણ જોડાયા હતા. જોકે, પછી સેબીએ પોતે જ આ કેસમાં પુરાવા નહીં હોવાના નામે બન્ને સામે તપાસ પડતી મૂકી હતી.

દરમિયાન, એનએસઈ ભારતની બેંકો, નાણા સંસ્થાઓ સહિતના રોકાણકારો છે. ૧૯૯૨થી કંપની કાર્યરત છે પણ હવે શેરના ભાવ અને એક્સચેન્જનું મૂલ્ય આસમાને પહોચ્યું છે. 

આ મૂલ્ય વટાવી રોકડી કરવા માટે રોકાણકારો થનગની રહ્યા છે. એનએસઈએ પબ્લિક ઇસ્યુ માટે ૨૦૧૬માં સેબી સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો પણ આક્ષેપ અને કૌભાંડના કારણે મંજૂરી મળી રહી નથી. છેલ્લા વિકલ્પ તરીકે એક્સચેન્જે સેબી સમક્ષ કેસ સેટલ કરવા માટે અરજી કરી છે. આ અરજીમાં એનએસઈ રૂ.૧૪૦૦ કરોડ ભરી વાતનો વીંટલો વળવા માટે તૈયાર રહ્યું છે. 

આ સેટલમેન્ટ ઓફર દર્શાવે છે કે સેબીએ ભલે પુરાવાના આધારે કેસ બંધ કર્યો હોય પણ કૌભાંડ ચોક્કસ થયું હતું. અને જો એક્સચેન્જ પોતે જ પસંદ કરેલા બ્રોકરને વહેલા સોદા કરવાની છૂટ આપે તો પારદર્શિતા ક્યાં રહે? 

સામાન્ય રોકાણકાર ૧૦,૦૦૦ અને ૫૦,૦૦૦ના સોદા કરતો હોય તો સામે કરોડો રૂપિયાનો એક સોદો થાય. રોકાણકાર ખરીદી કરે અને પસંદગીનો બ્રોકર માલ વેચે તો ભાવ વધે કે ઘટે? બજારમાં માંગ અને પુરવઠાના આધારે ભાવમાં વધઘટ થાય એ સામાન્ય નિયમ છે અને પુરવઠો વધારે હોય (ખરીદી માટે કે વેચવા માટે) ત્યારે પુરવઠાના આધારે કોઈ કંપનીના ભાવમાં વધઘટ થવાની જ છે. 

આ સામાન્ય નિયમ છે અને એક્સચેન્જ પોતે જ ગેરરીતિમાં સંડોવાયેલું હોય તો તેનાથી બજારમાં જોખમ વધી જવાનું છે. આ સ્થિતિમાં બજાર જોખમ વધે અને સામાન્ય રોકાણકારને નુકસાન થાય તે નક્કી છે. 

સેબી કરતા નિયમનકાર તરીકે એક્સચેન્જની ભૂમિકા વધારે મહત્વની

શેરબજારમાં એક્સચેન્જની કામગીરી માત્ર ખરીદ-વેચાણના સોદા માટે કોમ્પ્યુટર નેટવર્ક આધારિત પ્લેટફોર્મ પુરતી મર્યાદિત નથી. કંપની અંગે કોઈ સમાચાર આવે અને તેની જાણકારી એક્સચેન્જમાં થઇ ન હોય તો એક્સચેન્જ દરેક કંપનીને તે અંગે સ્પષ્ટતા કરવા નોટીસ આપે છે. 

જોકે, દિગ્ગજ કંપનીઓ પાસે આવી કોઈ પૂછપરછ થતી નથી. એવી જ રીતે કામકાજના સમયમાં કોઈ બ્રોકરના ટર્મિનલ ઉપરથી બજારના ટ્રેન્ડ કરતા વિપરીત, મોટા સોદા થાય તો સર્વેલન્સ વિભાગ તરત જ ફોન કરી તેની સ્પષ્ટતા માંગે છે. પ્રથમ તબક્કે, સ્ટોક એક્સચેન્જ જ બજારનું નિયમન કરે છે. આ નિયમનકાર પોતે જ જ્યારે બજારમાં રોકાણકારો વચ્ચે ભેદ રાખી કોઈને શિરો અને કોઈને ઠેંગો આપે ત્યારે બજારમાં ભેદભાવ થયો કહેવાય. બજારમાં સેબી કરતા એક્સચેન્જની ભૂમિકા વધારે મહત્વની માનવામાં આવે છે અને એટલે જ અહીં પારદર્શિતા વધારે જરૂરી છે. સેબીએ માત્ર દંડ કરી કે કોઈ સાથે સેટલમેન્ટ કરી સંતોષ માનવો જોઈએ નહીં

Tags :