ઈરાનમાં ભારતનું અબજો રૂપિયાનું રોકાણ અટવાયું
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ભારતના અબજોના પ્રોજેક્ટ્સને ગંભીર અસર, વૈશ્વિક વ્યાપારને પણ મોટા નુકસાનની ભીતિ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં હવે અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર બોમ્બમારો કરીને તેને ભારે નુકસાન પહોંચાડતા વૈશ્વિક સ્તરે ઘણી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને દુનિયામાં ક્રૂડ અને ડ્રાય ફ્રૂટ ઉપરાંત કેટલીક વસ્તુઓની અછત સર્જાવાની શક્યતાઓ છે. આ યુદ્ધના કારણે વિશ્વમાં મંદીની અસર પણ વધારે ગંભીર બને તેવું જોવાઈ રહ્યું છે. બીજી તરફ આ યુદ્ધના કારણે ભારતને ઘણું સહન કરવું પડે તેમ છે. ભારતના ઈરાન સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક, રણનીતિક અને વ્યાપારિક સંબંધો છે. ભારત માટે ઈરાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ દેશ છે. ભારતના હાલમાં ઈરાન ખાતે ઘણા મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. હાલમાં ઈરાન અને ઈઝરાયેલ જે યુદ્ધ કરી રહ્યા છે તેના કારણે ભારતની તમામ યોજનાઓમાં વિલંબ, ક્રૂડના સપ્લાયમાં વિલંબ, ક્રૂડના ભાવમાં વધારો વગેરે જેવી વ્યાપક આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડે તેમ છે. ઈરાનમાં તો ભારતનું મોટું રોકાણ છે જે પણ સાથે સાથે ઈઝરાયેલમાં પણ ભારતના પ્રોજેક્ટ છે.
પરંતુ ના છૂટકે વર્તમાન પરિસ્થિતિમાં ભારતે ઇઝરાયેલને ટેકો આપવાના સંકેતો આવ્યા છે. કારણ કે પાકિસ્તાન સાથેના ઓપરેશન સિંદૂરની ઘટનામાં ઇરાન ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના પક્ષે રહ્યું હતું. જ્યારે ઇઝરાયેલે આતંકવાદી પાકિસ્તાન માટે ખૂલ્લં ખૂલ્લા વિશ્વ સમક્ષ ભારતની તરફદારી કરી હતી.
આ સ્થિતિમાં ભારતે બંને દેશોના યુદ્ધ અટકાવવવા મહત્ત્વની ભૂમિકા પણ ભજવવી પડે તેમ છે.
ઈરાનમાં ભારત દ્વારા મુખ્યત્વે તો ચાબહાર બંદર અને તેની સાથે જોડાયેલી રેલવે યોજનામાં મોટાપાયે રોકાણ કરેલું છે. આ યુદ્ધ શરૂ થયું તે પહેલાથી આ તમામ પ્રોજેક્ટ મોટાપાયે ચાલી રહ્યા છે.
હાલમાં સર્જાયેલી સંઘર્ષની પરિસ્થિતિથી આ પ્રોજેક્ટને મોટી અસર પડશે. જો સંઘર્ષ વધ્યો તો નકારાત્મક અસરો સર્જાશે અને કદાચ કામગીરી બંધ કરવાની આવે અથવા તો યુદ્ધના કારણે નુકસાન પણ ભોગવવાનું આવી શકે તેમ છે. ઈરાનમાં યુદ્ધના કારણે પ્રોજેક્ટ્સમાં જે વિલંબ થશે અને નુકસાન થશે તેના કારણે ભારતીય અર્થતંત્રને પણ વ્યાપક નુકસાન થવાના એંધાણ છે. હાલમાં ઈરાન અને ઈઝરાયેલનું યુદ્ધ ભારતના આર્થિક રોકાણ, વ્યાપારિક કામગીરીઓ અને હવે વિદેશ નીતિ પણ સમસ્યાની એરણે આવી ગઈ છે.
ભારતના અબજો રૂપિયાનું રોકાણ ઈરાનમાં થયેલું છે અને તેવી જ રીતે ઈઝરાયેલમાં પણ રોકાણ થયેલા છે. હવે યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં આવે તો ભારતના રોકાણ સામે મોટું જોખમ ઊભું થશે.
જાણકારોના મતે ચાબહાર ખાતે ભારત અને ઈરાનનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ભારતે ચાબહાર બંદરના વિકાસમાં ૭.૫ અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. રોકાણ અને કામગીરીના મુદ્દે આ બંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ જગ્યા છે. આ બંદર ઉપર કામગીરી ચલાવવા માટે પણ ભારત દ્વારા મિશનરી અને નાના-મોટા સંસાધનો આપેલા છે. ચાબહાર બંદર ભારત માટે એક રણનીતિક પ્રવેશદ્વાર જેવું છે. આ જગ્યા દ્વારા ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયામાં વ્યાપારી વ્યવહારો કરવાની સાનુકુળતા મળે છે. આ જગ્યા ભારત માટે ખરેખર ખૂબ જ મહત્ત્વની છે. આ પોર્ટ હકિકતે તો ચીનના ગ્વાદર પોર્ટને ટક્કર આપવા માટે મહત્ત્વની કડી સમાન છે.
ભારત અને ઈરાન ચાબહાર પોર્ટને જોડવા માટે ચાબહાર-જાહેદાન રેલવે યોજના ઉપર પણ ભારત કામ કરી રહ્યું છે. બંને દેશઓ આ યોજનાને ઝડપથી પૂરી કરવા માગે છે. આ ૭૦૦ કિ.મી. લાંબી રેલવે લાઈન હશે માલસામાનને લાવવા અને લઈ જવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ સિવાયના રોકાણની વાત કરીએ તો ઈન્ટરનેશનલ ઉત્તર-દક્ષિણ કોરિડોર કે જે ૭,૨૦૦ કિ.મી. લાંબો મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર બનવાનો છે. તે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈઝાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલ સામાનના સપ્લાય અને વેપાર માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ચાબહાર બંદર પણ આ કોરિડોરની સાથે જ સંકળાયેલો એક ભાગ છે. આ યોજના ભારતના અર્થતંત્રને મજબૂતી આપશે અને તેના પ્રાદેશિક પ્રભાવને ખૂબ જ વધારશે. હાલમાં કેટલાક ભાગનું નિર્માણ થઈ ગયું છે અને કેટલાકનું નિર્માણ ચાલું છે અને કેટલાકનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. આ તમામમાં ભારતે વ્યાપક રોકાણ કરેલું છે.
ભારત અને ઈરાનના જોડાણની વાત કરીએ તો ઐતિહાસિક રીતે ભારતની ક્ડની જરૂરિયાતો માટે ઈરાન મહત્ત્વનો દેશ છે. ભારતની ક્રૂડની કુલ જરૂરિયાતમાંથી ૧૨ ટકા ક્ડ ઈરાન દ્વારા ૨૦૧૯ સુધી આપવામાં આવતું હતું.
ત્યારબાદ અમેરિકા સાથેના જોડાણ અને અમેરિકાના ઈરાન ઉપરના પ્રતિબંધોના કારણે ભારતને ક્રૂડનો સપ્લાય થોડો ઓછો થયો છે. તેમ છતાં પાવર સેક્ટરમાં ભારત અને ઈરાનનું જોડાણ સારું છે.
એકબીજાને સાથ આપવાની ભાવના અને કામગીરી અંગે સતત ચર્ચા થતી રહે છે. ભારત તેમાં રસ અને રોકાણ દ્વારા કામ કરાવી રહ્યું છે.
આર્થિક બાબતોના જાણકારોના મતે યુદ્ધના કારણે ભારતે કરેલા રોકાણ ધરાવતી તમામ યોજનાઓની કામગીરીમાં વિલંબ થઈ શકે છે. તેના નિર્માણ અને સંચાલનમાં પણ મોડું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સુરક્ષાની વાત કરીએ તો ભારત માટે તે પણ ચિંતાનો જ વિષય છે. ઈરાનમાં વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા ભારતીય લોકોને યુદ્ધના માહોલમાંથી બહાર કાઢીને સ્વદેશ પરત લાવવા પડે તેવી પણ શક્યતાઓ આવી શકે છે. હાલમાં ઓપરેશન સિંધુ દ્વારા ભારતીયો કર્મચારીઓ, વિદ્યાર્થીઓને ભારત પરત લવાઈ જ રહ્યા છે. કદાચ આગામી સમયમાં તેમાં વેગ લાવવો પડે.
ભારતીય કર્મચારીઓ અને કામદારો મોટી સંખ્યામાં પરત આવે તો ભારતના ઈરાનના પ્રોજેક્ટ્સમાં રોકાણકારોનો વિશ્વાસ ઓછો થાય તેવું બને. તેના કારણે ભવિષ્યની યોજનાઓ અને રોકાણો ઉપર પણ નકારાત્મક અસર થવાને અવગણી શકાય નહીં.
બીજી તરફ એવું પણ દેખાઈ રહ્યું છે કે, આ સંઘર્ષના કારણે રાતા સમુદ્ર અને સુએઝ નહેર થકી થતી આયાત-નિકાસને પણ મોટી અસર પહોંચી શકે તેમ છે. જાણકારો માતે તેના કારણે શિપિંગ કોસ્ટમાં ૪૦-૫૦ ટકાનો વધારો થઈ શકે છે.
આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટાપાયે વધારો થવાની શક્યતાઓ છે. યુદ્ધની સ્થિતિ આગળ વધી તો ક્રૂડના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ જવાનું દેખાઈ રહ્યું છે. તેના પગલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરેના ભાવમાં પણ મોટો વધારો થઈ શકે છે. ઈરાન અને ભારત વચ્ચેના વેપારને પણ મોટું નુકસાન થઈ શકે છે. ડ્રાય ફ્રૂટ્સ, કેમિકલ, સિમેન્ટ, મીઠું, ઈંધણ જેવી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો આવી શકે છે. આ વસ્તુઓના ભાવમાં વધારો થશે તો લોકોનું બજેટ ખોરવાઈ જશે. આંતરરાષ્ટ્રીય બજાર નબળું પડશે અને ભારત ઉપર આર્થિક દબાણ વધશે.
હોરમુઝ ફારસની ખાડી થકી વિશ્વનું 20 ટકા જેટલું ક્રૂડ સપ્લાય થાય છે
સૂત્રોમાં ગણગણાટ છે કે, ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેના કારણે તે હોરમુઝ સમુદ્રમાર્ગ બંધ કરી શકે છે. તેના દ્વારા જો આ ખાડીનો જળમાર્ગ બંધ કરવામાં આવ્યો તો જગતમાં ક્રૂડની ખૂબ જ મોટી તાણ ઊભી થશે. તેના કારણે ક્રૂડના ભાવ જ અધધ વધી જશે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ભડકો થઈ શકે છે.
હોરમુઝનો જળમાર્ગે માત્ર એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે.
આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. ઈરાને હાલ આ રસ્તો બંધ કર્યો નથી પણ કરે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, ૩૩ કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે પણ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે. દુનિયાનું ૨૦ ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ ૨૧ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી ૮૩ ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન, જામાન જેવા એશિયાના દેશઓ સાથે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે.
આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે.
અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ ૩૦ થી ૫૦ જેટલા મોટા જહાજો નીકળે છે જે ક્ડ સપ્લાય કરે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ઈન્ટરનેશનલ બજારમાં ક્ડના ભાવ સરેરાશ ૭૫ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેની અસર ક્રૂડ ઉત્પાદન અને સપ્લાય ઉપર પડી તો ક્ડનો ભાવ પ્રતિ બેરલ ૧૫૦થી ૨૦૦ ડોલર પહોંચી શકે છે. તેના કારણે પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને અન્ય ઈંધણો ઉપર પણ અસર પડી શકે છે.