જળબંબાકાર : પૂર નિયંત્રણની યોજનાઓ માત્ર કાગળ પર
- ઉત્તર અને ઉત્તરપૂર્વના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકો બેહાલ
- છેલ્લા થોડા સમયથી પર્યાવરણના સમીકરણો બદલાઇ રહ્યાં છે અને ક્યાંક અચાનક જ ભારે વરસાદ વરસી જાય છે તો અનેક વિસ્તારો કોરાધાકોર રહી જાય છે વળી, આફત આવી પડે ત્યારે જ જાગવાની આપણી નીતિ વધારે વિનાશ નોતરે છે
ચોમાસુ આવતાની સાથે દેશભરમાં પૂર અને જળબંબાકાર સર્જાવો જાણે કે ક્રમ બની ગયો છે. છેલ્લા થોડા દિવસથી દેશના ઉત્તર અને ઉત્તરપૂર્વના રાજ્યોને વરસાદ ઘમરોળી રહ્યો છે. હજુ તો વરસાદનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે ત્યાં દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે કફોડી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના કારણે સર્જાયેલી હોનારતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.
વરસાદ અને પૂરની અસર પહેલા પણ થતી હતી, ખાસ કરીને ગામડાઓમાં અને ખેડૂતો ઉપર પરંતુ હવે ભારે વરસાદના કારણે શહેરોથી સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે. મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને પટના જેવા શહેરોમાં વરસાદના કારણે દર વર્ષે તબાહી આવે છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. દર વર્ષે પૂર અને જળબંબાકારના કારણોની સમીક્ષા કરવામાં આવે છે અને જળનિકાલની ખામીઓ દૂર કરવા માટે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ ચોમાસું વીતી જતાં તમામ યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે અને બીજા વર્ષે ફરી પાછું એ જ ચિત્ર જોવા મળે છે.
હકીકતમાં જળપ્રલયનું વધી રહેલું પ્રમાણ આપણા માટે એક ચેતવણીસમાન છે. છેલ્લા થોડા સમયથી પર્યાવરણના સમીકરણો બદલાઇ રહ્યાં છે. ક્યાંક અચાનક જ ભારે વરસાદ વરસી જાય છે તો અનેક વિસ્તારો કોરાધાકોર રહી જાય છે. પર્યાવરણના આ બદલાઇ રહેલા મિજાજને પહોંચી વળવા આપણી પાસે પર્યાપ્ત સાધનો નથી. આફત આવી પડે ત્યારે જ જાગવાની આપણી નીતિ વધારે વિનાશ નોતરે છે. અચાનક આવી પડતી કુદરતી આફતોને પહોંચી વળવા માટે આપણું તંત્ર અગાઉથી તૈયાર જ હોતું નથી.
ક્લાઇમેટ ચેન્જના આ દોરમાં આપણે હવે એ તૈયારી રાખવી પડશે કે મોસમનો કેર કોઇ પણ સ્વરૂપે આવી શકે છે. આ માટે આપણે સાવધ અને સાવચેત રહેવું પડશે. આ માટે સામાજિક અને આર્થિક સ્તરે અનેક ફેરફાર પણ કરવા પડશે. વિકાસના નામે જે અંધાધૂધ બાંધકામો કરી દેવામાં આવ્યાં છે તેના કારણે પાણીના નિકાલના માર્ગો રૂંધાઇ ગયાં છે.
આડેધડ થયેલા બાંધકામોના કારણે વરસાદી પાણીને શોષી લેતી જમીન પણ સાવ ઘટી ગઇ છે. ઉપરાંત વરસાદી પાણીને વહાવી જતાં નાના નાળા અને ઝરણાં અને તળાવો પણ પૂરાઇ ગયાં છે. પાણીના વહી જવા માટેના એ માર્ગો ફરી વખત મોકળા કરવા પડશે. ઉપરાંત સડક અને મકાનના નિર્માણ કાર્યો માટે નવા નિયમો પણ બનાવવા પડશે.
છેલ્લા થોડા વર્ષોથી દેશમાં જે રીતે પુરપ્રકોપ વધી રહ્યો છે એ જોતાં છે હવે પર્યાવરણને લઇને માત્ર ચર્ચાઓ સુધી જ સીમિત રહ્યાં વગર ખરા અર્થમાં પર્યાવરણનું સંતુલન બનાવવાના ઉપાયો પ્રયોજવા પડશે. જે દેશના મહાનગરોમાં મામૂલી વરસાદના પરિણામે પાણી ભરાઇ જવાની સ્થિતિ બની જતી હોય, દુષ્કાળ અને પૂર વારાફરતી પોતાનો રંગ દેખાડતા હોય ત્યાં પૂર્વતૈયારી કરવી મહત્ત્વનો સવાલ છે.
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની ઋતુમાં પૂરની પરિસ્થિતિ પેદાં થવી સામાન્ય છે તેમ છતાં આપણે એના ઉપાયો યોજી શક્યાં નથી. જાણે કે દુષ્કાળ અને પૂરની પરિસ્થિતિ આવે ત્યારે કાગારોળ મચાવ્યા સિવાય આપણી પાસે કોઇ ઉપાય જ બચ્યો નથી. દેશની મોટી વસતી આવી કુદરતી હોનારતોનો ભોગ બને ત્યારે તંત્ર સાવ લાચાર જણાય છે. દુષ્કાળ અને પૂરના મામલે રાજકારણ તો બહુ થાય છે પરંતુ પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારો સામે સજ્જ થવાનું કોઇને સૂઝતું નથી.
દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ એ છે કે દેશના કેટલાય વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે તો અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસ્યા જ કરે છે. વિકાસની વિવિધ પરિયોજનાઓ અંતર્ગત જે રીતે જંગલોનો સફાયો કરવામાં આવ્યો અને વૃક્ષો કાપવામાં આવ્યાં એના કારણે પરિસ્થિતિ ભયાવહ બની ગઇ છે. કુદરતના આ અસંતુલનના કારણે ચોમાસાને તો અસર પહોંચી, સાથે સાથે જમીનના ધોવાણ અને નદીઓ દ્વારા ભૂક્ષરણની પ્રવૃત્તિ પણ વધી. પૂર અને દુષ્કાળ પ્રાચીન સમયથી માનવજીવન માટે સમસ્યા સર્જતા આવ્યાં છે.
એક રીતે જોતાં પૂર કે દુષ્કાળ માત્ર કુદરતી આફત જ નથી, પરંતુ પ્રકૃતિ તરફથી આપણને મળતી ચેતવણી પણ છે. સવાલ એ છે કે આજે માનવી ભણેલો ગણેલો તો બની ગયો છે પરંતુ તે કુદરતના સંકેતો સમજવા જેટલો હોંશિયાર રહ્યો છે ખરો? કઠણાઇ એ છે કે આજે આપણે વધારે શિક્ષિત તો બન્યાં છીએ પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનું ભૂલી ગયાં છીએ. હવામાનની આગાહીના વિકસિત તંત્ર છતાં પૂર કે દુષ્કાળનું સચોટ પૂર્વાનુમાન થઇ શકતું નથી.
ખરેખર તો કુદરત સાથે આપણે જે પારકો વ્યવહાર કર્યો છે એના જવાબમાં કુદરત પણ આપણી સાથે સાવકો વ્યવહાર કરી રહી છે. આજે ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો એટલા પ્રચલિત બની ગયાં છે કે લોકોને ક્યારેક વિજ્ઞાાનીઓની ચેતવણીઓ જ ખોટી લાગે છે. ક્લાયમેટ ચેન્જની વાતો તો થાય છે પરંતુ એ માટે જરૂરી પગલાં લેવામાં આવતા નથી. હકીકતમાં કુદરત સાથે ચેડાં કરવાના પરિણામ ક્લાયમેટ ચેન્જના કયા સ્વરૂપમાં આપણી સામે આવશે એ કહી શકાય એમ નથી. એ જ કારણ છે કે હવામાન વિભાગ પણ પૂર કે દુષ્કાળની પરિસ્થિતિની આગાહી કરવામાં નિષ્ફળ નીવડે છે.
શહેરી વિસ્તારોમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા સર્જાય છે એ માટે પણ માનવીય પ્રવૃત્તિઓ જ જવાબદાર છે. છેલ્લા થોડા વર્ષોથી શહેરી વિસ્તારોમાં જે આડેધડ વિકાસ થયો છે તેમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા પાછળ ધ્યાન જ આપવામાં આવ્યું નથી. ગટરોની પર્યાપ્ત સફાઇ ન થવાના કારણે પાણી નિકાલની ક્ષમતા ઘટી રહી છે. એ જ કારણ છે કે નજીવા વરસાદમાં પણ અમદાવાદ, વડોદરા, મુંબઇ, લખનૌ, પટના, ભોપાલ, બેંગાલુરુ જેવા મુખ્ય શહેરો સહિત દેશના ઘણાં ખરાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુસાર દેશના આશરે ૩૨.૯ કરોડ હેકટર ભૌગોલિક ક્ષેત્રમાંથી ચાર કરોડ હેકટર જેટલા ક્ષેત્ર પૂર અને પાણી ભરાઇ રહેવાની પરિસ્થિતિમાં રહે છે. દેશમાં હાલ ૨૨૬ જેટલા પૂર નિયંત્રણ કેન્દ્રો છે જેમને ૨૦૨૫ સુધીમાં ૩૨૫ જેટલી સંખ્યાએ પહોંચાડવાની સરકારની નેમ છે. પરંતુ પૂરની પરિસ્થિતિ અને જૂના રેકોર્ડોને જોતા પૂર નિયંત્રણ અને સમગ્ર દેખરેખ તંત્રને બદલવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ૧૯૫૦માં દેશની લગભગ અઢી કરોડ હેકટર જમીન પૂરની અસર હેઠળ આવતી હતી જ્યારે આજે લગભગ સાત કરોડ હેકટર જમીન એવી છે જ્યાં પૂર આવે છે. પૂરના પાણીની નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નિર્માણ પામી નથી.
આપણા દેશમાં માત્ર ચાર મહિના દરમિયાન જ લગભગ ૮૦ ટકા પાણી વરસી જાય છે. પરંતુ વરસાદનું વિતરણ એટલું અસમાન છે કે કેટલાક વિસ્તારોમાં કાયમ પૂર તો કેટલાક વિસ્તારોમાં કાયમ અછતની પરિસ્થિતિ જ રહે છે. આ પ્રકારની ભૌગોલિક અસમાનતા વિશે સત્વરે વિચારવાનો સમય આવી ગયો છે. પાણી સમગ્ર વિશ્વ સાથે આપણા દેશનો પ્રાણ પ્રશ્ન છે. ૨૦૫૦ સુધીમાં દેશની વસતી લગભગ ૧૮૦ કરોડ જેટલી થઇ જશે. એ સ્થિતિમાં પાણીના એકસમાન વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂરિયાત છે. એ સાથે જ પૂરના પાણીનો યોગ્ય ઉપયોગ શી રીતે થઇ શકે એ વિશે પણ વિચારવાની જરૂર છે.
કુદરતી આફતોનો સામનો કરવા માટે અને ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે જરૂરી યોજના બનાવવા અને એ લાગુ કરવા માટે માળખું રચવાની જરૂર છે. તાત્કાલિક રાહત કાર્યો ઉપરાંત ઝડપી પુનર્વાસની યોજના પણ ઘડવાની જરૂર છે. પૂર કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે સૂક્ષ્મ આયોજન કરવાની જરૂર છે. તાત્કાલિક ઉપાયો ઉપરાંત લાંબા ગાળાના ઉપાયો પ્રયોજવા પણ આવશ્યક છે. જંગલો કાપવાની પ્રવૃત્તિ ઘટાડવામાં આવવી જોઇએ. સડક અને મકાન નિર્માણ દરમિયાન પ્રાકૃતિક સંતુલનનું ધ્યાન રાખવું જોઇએ.
શહેરીકરણ અને પર્યાવરણના સંતુલનને સાથે રાખીને ચાલવાની જરૂર છે. ઉદ્યોગો, પાવર હાઉસો, રિફાઇનરીઓ અને કાર્બન ઉત્સર્જિત કરતા અન્ય એકમોને લઇને એક સર્વગ્રાહી નીતિ બનાવવાની જરૂર છે. પર્યાવરણના રક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવી જોઇએ.
વૃક્ષારોપણને એક નારા કે અવસર પૂરતું સીમિત ન રાખતા જીવનનો હિસ્સો બનાવવું જોઇએ. ભૂગર્ભ જળના સંરક્ષણ ઉપરાંત પાણીને વેડફતું રોકવા માટેના ઉપાયો પણ પ્રયોજવા જોઇએ. આપણી બેકાબુ પ્રવૃત્તિઓ દ્વારા આપણે જ કુદરતનો લય બગાડયો છે અને કુદરતના આ બદલાયેલા સ્વરૂપે આપણને બેહાલ કર્યાં છે.