સાઈપ્રસની દોસ્તી થકી ભારત તુર્કીનું નાક દબાવશે
- છેલ્લાં પાંચ દાયકાથી દુશ્મન રહેલા તુર્કી અને સાઈપ્રસના નવા વૈશ્વિક સમિકરણો દૂરોગામી અસરો લાવશે
- એક તરફ તુર્કી ઈસ્લામિક દેશોમાં મજબૂત બનવા અને ઈસ્લામિક સંગઠન મજબૂત કરવા મથી રહ્યું છે ત્યાં સાઈપ્રસ આવતા વર્ષે યુરોપિય સંઘનું પ્રમુખસ્થાન મેળવવાનું છે : સાઈપ્રસમાં 1960માં આઝાદી બાદથી 80 ટકા ખ્રિસ્તીઓ અને 18 ટકા મુસ્લિમો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલ્યા જ કરે છે તેના કારણે જ ૧૯૭૪માં યુદ્ધ થયું અને સાઈપ્રસના બે ભાગ થતાં તુર્કી અને સાઈપ્રસ વચ્ચે દુશ્મનીનું ઝેર વધારે પ્રબળ બન્યું : તુર્કીને પાકિસ્તાન, ચીન જેવા દેશોનો સધિયારો છે જ્યારે ભારત પાસે અમેરિકા,રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને યુરોપના તમામ દેશોનું સમર્થન છે જે આતંકવાદ મુદ્દે યુએનમાં સ્થિતિ પલટી શકે છે
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી૭ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા તેની પહેલાં સાઈપ્રસની મુલાકાતે ગયા હતા. સાઈપ્રસના પ્રવાસ દરમિયાન ત્યાંના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ દ્વારા તેમના ઉષ્માભેર આવકારવામાં આવ્યા અને ત્યાંના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મોદીને આપવામાં આવ્યું. મહત્ત્વની વાત એવી છે કે, ૨૩ વર્ષ બાદ કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા સાઈપ્રસની મુલાકાત લેવામાં આવી હતી. ભારતીય વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલી સાઈપ્રસની મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની બની જાય છે કે, તેના કારણે નવા વૈશ્વિક સમિકરણોને વેગ મળશે. સાઈપ્રસ અને તુર્કી વચ્ચે દાયકાઓથી દુશ્મની છે. તેમાંય તાજેતરમાં ભારતમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ર્તુર્કીએ પાકિસ્તાનની તરફેણ કરીને ભારત વિરોધી ઝેર ઓક્યું હતું. તેના કારણે ભારત સાથેના પણ તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ બદલાયેલી સ્થિતિમાં ભારત જેવા મજબૂત દેશના વડા પ્રધાન સાઈપ્રસના પ્રવાસે ગયા હતા તે તુર્કી માટે મોટા સંદેશ સમાન છે.
તુર્કી અને સાઈપ્રસ વચ્ચે વિવાદના મૂળ તો ઐતિહાસિક છે. સાંસ્કૃતિક અને ભૂરાજકીય કારણોના લીધે બંને દેશો વચ્ચે છેલ્લાં પાંચ દાયકાથી વિવાદ ચાલી રહ્યો છે. ૧૯૭૪માં સાઈપ્રસ યુદ્ધની શરૂઆત થઈ અને તુર્કી તથા સાઈપ્રસ વચ્ચે વિરોધ અને વિવાદની રેખાઓ ખેંચાઈ. આ યુદ્ધના કારણે ભૂમધ્યસાગર ઉપર આવેલા આ નાનકડા દ્વીપ દેશના બે ભાગ કરી નાખ્યા. સાઈપ્રસ ગ્રીક અને તુર્કી એમ બે સમુદાયના લોકોની સંયુક્ત વસતી ધરાવતો દેશ છે. ૧૯૬૦માં બ્રિટિશરાજથી આઝાદી બાદ ત્યાં સાંપ્રદાયિક હિંસા અને તણાવ સતત ચાલ્યા કરતા હતા.
સાઈપ્રસને સમજીએ તો ત્યાં ગ્રીક સાઈપ્રિયટ્સ એટલે કે ખ્રિસ્તી સમુદાયની વસતી લગભગ ૮૦ ટકા છે જ્યારે તુર્કી સાઈપ્રિયટ્સ એટલે કે મુસ્લિમ સમુદાયની વસતી ૧૮ ટકા જેવી છે. આ બંને સમુદાયો વચ્ચે દાયકાઓથી કોમી વિખવાદ ચાલ્યા જ કરે છે. ૧૯૬૦માં આઝાદી પછી સાઈપ્રસના બંધારણ દ્વારા બંને સમુદાયો વચ્ચે સત્તાની વહેંચણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ છતાં બહુમતી ધરાવતા ગ્રીક સાઈપ્રિયટ્સ અને લધુમતી તુર્કી સાઈપ્રિયટ્સ વચ્ચે વારંવાર હિંસા ફેલાતી હતી. ગ્રીક સાઈપ્રિયટ્સની માગણી હતી કે, સાઈપ્રસને ગ્રીસ સાથે જોડી દેવામાં આવે જેથી કામકાજ સરળ થઈ જાય. બીજી તરફ તુર્કી સાઈપ્રિટ્સ તો આ દ્વીપના જ બે ભાગ કરવાની માગણી કરતા હતા જેથી સત્તાના કેન્દ્રો જુદા થઈ જાય અને લોકોની વસતી પણ જુદી થઈ જાય.
આઝાદી પછીના આ વિખવાદ વચ્ચે ૧૯૭૪માં સ્થિતિ ત્યારે વણસી જ્યારે ગ્રીસમાં સૈન્ય સરમુખત્યાશાહી (જુન્ટા)ના સમર્થનમાં ગ્રીક સાઈપ્રિટ્સ નેશનલ ગાર્ડે સાઈપ્રસમાં તખતાપલટ કરી નાખ્યો. આ તખતાપલટનો આશય સાઈપ્રસના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ આર્કબિશપ મકારિયોસ ત્રીજાને દૂર કરીને ગ્રીસ સાથે સાઈપ્રસના જોડાણને વેગ આપવો. તુર્કીએ આ પ્રયાસને મુસ્લિમો માટે જોખમ જણાવ્યું. તેના કારણે તુર્કી સાઈપ્રિટ્સની સુરક્ષા માટે ૨૦ જુલાઈ ૧૯૭૪ના રોજ સાઈપ્રસ ઉપર સૈન્ય આક્રમણ કરી દીધું. તુર્કી દ્વારા તેને ઓપરેશન પીસ ઈન સાઈપ્રસ નામ આપવામાં આવ્યું હતું.
તુર્કીની સેના દ્વારા સાઈપ્રસના ઉત્તરી ભાગ ઉપર કબજો કરી લેવાયો હતો. તેમાં સાઈપ્રસનું જાણીતું શહેર વરોશા પણ આવી ગયું હતું. આ શહેર એટલું સુંદર હતું કે, તેને પર્લ ઓફ મેડિટેરાનિયન કહેવામાં આવતું હતું. તુર્કીએ તેના ઉપર કબજો કરીને તેને સાવ ઉજ્જડ કરી નાખ્યું. આ ઉપરાંત યુદ્ધ એટલું ભીષણ કર્યું હતું કે, ઘણું બધું નષ્ટ કરી દીધું હહતું. તુર્કીએ યુદ્ધના નામે ઉત્તરી ભાગમાં ૩૫,૦૦૦ સૈનિકો ઉતારી દીધા હતા. આ યુદ્ધના નવ વર્ષ બાદ તુર્કીએ ઉત્તરી સાઈપ્રસ ઉપર પોતાનો કબજો જાહેર કર્યો હતો. ૧૯૮૩માં તેણે ઉત્તરી સાઈપ્રસને પોતાનું ગણાવીને ઉત્તરી સાઈપ્રસ તુર્કી રિપબ્લિક નામ આપ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, તુર્કી દ્વારા જાહેર કરાયેલા આ પ્રદેશના આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈના દ્વારા માન્યતા આપવામાં આવી નહોતી. વિશ્વના દેશો તો ગ્રીક સાઈપ્રિટ્સની વસતી ધરાવતા સાઈપ્રસ રિપબ્લિકને જ માન્ય રાષ્ટ્ર માનતા હતા અને આજે પણ માને છે. તેના કારણે તુર્કી અને સાઈપ્રસ વચ્ચે વિવાદ ચાલે છે.
યુએન દ્વારા આ યુદ્ધ અને વિભાજન રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ નિષ્ફળ ગયા હતા. ૧૯૭૪ના યુદ્ધમાં સાઈપ્રસ કાયમી ધોરણે બે ભાગમાં વહેંચાઈ ગયું જેમાં સાઉથ સાઈપ્રસ એટલે કે ગ્રીક સાઈપ્રિટ્સનું શાસન ધરાવતું સાઈપ્રસ રિપબ્લિક અને ઉત્તરમાં તુર્કીઓની બહુમતી ધરાવતું અને તેમનો કાબુ ધરાવતું નોર્થ સાઈપ્રસ. કરુણતા એ હતી કે, આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો લોકો વિસ્થાપિત થયા હતા. યુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે લાખો ગ્રીક સાઈપ્રિટ્સ અન તુર્કી સાઈપ્રિટ્સને પોતાનું સર્વસ્વ છોડીને બીજે જવું પડયું હતું. વરોશા જેવું શહેર જે પર્યટકોથી ધમધમતું હતું તે સ્મશાનવત થઈ ગયું. તેના કારણે સાઈપ્રસની જાહોજલાલી પણ વિલાઈ જવા લાગી. પાંચ દાયકા પહેલાં બનેલી આ ઘટનાને ગ્રીક સાઈપ્રિયટ્સ અને તેમના સમર્થકો કાયમ તુર્કીને ઈસ્લામિક વિસ્તારવાદી માનસિકતાનું જ પરિણામ ગણાવે છે. તુર્કીના તત્કાલિન નેતૃત્વ દ્વારા આ કામગીરીને સાચી ગણાવવામાં આવી હતી. તેઓ માનતા હતા કે, તુર્કી સાઈપ્રિટ્સની સુરક્ષા અને તેમના અધિકારોના રક્ષણ માટે તુર્કી દ્વારા યોગ્ય પગલું ભરવામાં આવ્યું હતું. તે સમયે બાકીના લોકોનું માનવું હતું કે, તુર્કી દ્વારા ખોટું પગલું ભરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે પણ તેના થકી ખોટો સંદેશ ગયો હતો. વૈશ્વિક બાબતોના જાણકારો દ્વારા આ કામગીરીને તુર્કીના વિસ્તારવાદની અને પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાનો ભાગ ગણાવવામાં આવ્યો હતો. હવે સ્થિતિ એ થઈ છે કે, તુર્કીના પ્રમુખ રજબ તૈયબ એર્દોગાન દ્વારા વર્તમાન સમયમાં આ વિવાદને નવેસરથી ઉગ્ર બનાવવામાં આવ્યો છે. તેમણે થોડા સમય પહેલાં પણ જણાવ્યું હતું કે, સાઈપ્રસમાં એ ક રીતે શાંતિ સ્થાપી શકાય તેમ છે. તેમણે જણાવ્યું કે, સાઈપ્રસને બે અલગ અલગ પ્રદેશ જાહેર કરી દેવામાં આવે તો તેની સમસ્યાનો ઉકેલ ઝડપથી આવી જાય તેમ છે. યૂરોપિય યૂનિયન તો સાઈપ્રસને ભેગું કરવામાં અને બંને પ્રદેશોને જોડીને એક જ રાષ્ટ્ર બનાવવાના મતની જ તરફેણ કરે છે. યુરોપના આ બદલાતા રહેતા સમીકરણો વચ્ચે સાઈપ્રસના ભારત સાથેના સંબંધો ઘણા સારા રહ્યા હતા અને હાલમાં પણ સારા છે. આ સંબંધો ઘણા દાયકાઓથી એકબીજાની સાથે જોડાયેલા રહેવાના જ રહ્યા છે. ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને સાઈપ્રસના પહેલા પ્રમુખ આર્ચબિશપ મકારિયોસ ત્રીજાએ આ સંબંધોની શરૂઆત કરી હતી અને તેને મજબૂત રીતે ટકાવી રાખ્યા હતા. સાઈપ્રસ આઝાદ થયો અને ત્યાં જ ભારત અને ચીનનું ૧૯૬૨નું યુદ્ધ થયું હતું. તે દરમિયાન પણ મકારિયોસ દ્વારા ભારતનું સમર્થન કરવામાં આવ્યું હતું. સાઈપ્રસ ઉપર જ્યારે ૧૯૭૪માં તુર્કી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેનાનું કમાન ભારતીય સેના પાસે જ હતું. તેની આગેવાની ભારતીય લેફ્ટનન્ટ જનરલ દીવાન પ્રેમચંદ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતે પણ કાયમ આંતરરાષ્ટ્રીય સ્તરે સાઈપ્રસની સમસ્યાના ઉકેલ માટે કાયદાકીય રસ્તાની તરફેણ કરી છે.
તેવી જ રીતે સાઈપ્રસે પણ ભારતના ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણ અને યુએનની સુરક્ષા પરિષદમાં ભારતની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું.
પૂર્વી ભુમધ્યસાગરમાં ભારતની રણનીતિક પહોંચ મજબૂત થશે
જાણકારોના મતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાઈપ્રસ યાત્રા ઘણા નવા સમીકરણોને જન્મ આપનારી સાબિત થવાની છે. સૌથી પહેલાં તો છેલ્લાં બે દાયકા બાદ કોઈ ભારતીય વડા પ્રધાન સાઈપ્રસની મુલાકાતે આવ્યા છે. બીજી તરફ તુર્કી અને પાકિસ્તાનની જે ઈસ્લામિક કટ્ટરતાની કૂટનીતિ છે તેની સામે ભારતની મુલાકાત મજબૂત સંદેશ આપી રહી છે.
હાલમાં તુર્કી અને પાકિસ્તાન જે રીતે એકબીજાની પડખે છે અને ખાસ કરીને કાશ્મીર અને ઓપરેશન સિંદૂર મુદ્દે તુર્કીએ જે ઝેર ઓક્યું હતું તેની સામે મોદીની આ મુલાકાત લાલ બત્તી સમાન બની રહેશે.
તુર્કીએ આ ઉપરાંત પાકિસ્તાનને ડ્રોન અને મિસાઈલ્સ પણ આપ્યા હતા જેના કારણે ભારત સાથેના તેના સંબંધો તો તણાવમાં આવી જ ગયા છે. તેમાંય સાઈપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલાઈડ્સના નિમંત્રણને માન આપીને મોદી ત્યાં ગયા છે તેથી સ્થિતિ ભારત તરફી વધારે મજબૂત બને તેમ છે. સાઈપ્રસ ૨૦૨૬માં યુરોપીય સંઘની અધ્યક્ષતા કરવાનું છે ત્યારે ભારત સાથેના વધુ મજબૂત સંબંધો તેને મદદરૂપ સાબિત થશે.
ભારત માટે ભૂમધ્ય સાગર અને તેના પૂર્વી ભાગમાં પ્રવેશ માટે અને પોતાની પહોંચ વધારવા માટે આ મોટું રણનીતિક પગલું ગણવામાં આવી રહ્યું છે. તુર્કીને દબાવવા અને આ વિસ્તારમાં સોફ્ટ એન્ટ્રી માટે ભારતને વ્યાપક મદદ મળી રહેશે. બીજી વાત એવી છે કે, સાઈપ્રસે હાલમાં જ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી અને યૂરોપીય સંઘમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદના મુદ્દાને ઉઠાવવાની જે વાત કરી તે ભારત માટે ફાયદાકારક જ છે. તુર્કીએ યુએનમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપ્યો છે ત્યારે યૂરોપીય સંઘમાં સાઈપ્રસ દ્વારા ભારતને સમર્થન આપવામાં આવે તો તેની અસર મોટી પડશે તેવું દેખાઈ રહ્યું છે. આ સિવાય મોદીના પ્રવાસ દરમિયાન વેપાર, સંરક્ષણ, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં વાતચીત અને કરાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જે ભવિષ્યમાં પણ ભારત અને સાઈપ્રસના સંબંધોને વધારે ગાઢ બનાવશે.