Get The App

તમિલનાડુને સ્વાયત્તતાઃ ડોશી મરી જાય તેનો ડર નથી..

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
તમિલનાડુને સ્વાયત્તતાઃ ડોશી મરી જાય તેનો ડર નથી.. 1 - image


- તમિલનાડુમાં પેરિયારથી માંડીને ઉદયનિધિ સહિતના નેતાઓ તમિળ ગૌરવના નામે લોકોને અલગ કેફ પીવડાવ્યા કરે છે, છેલ્લો સ્વાયત્તતાનો નશો છો

- સ્ટાલિન તમિલનાડુને સ્વાયત્તતાની વાત કરીને દેશમાં ભાગલાવાદી માનસિકતાનાં બી રોપી રહ્યા છે, લાંબા ગાળે દેશ માટે ઘાતક સાબિત થાય એવી રાજકીય રમત રમી રહ્યા છે પણ તેના માટે માત્ર સ્ટાલિનને દોષ આપી શકાય તેમ નથી. મોદી સરકાર, કેન્દ્રની કઠપૂતળી જેવા રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપના નેતા પણ એટલા જ જવાબદાર છે. રવિ સાવ નીચલી કક્ષાએ ઉતરી ગયા તેનો જવાબ સ્ટાલિન પણ એ જ ભાષામાં આપી રહ્યા છે.   

સ્ટાલિનની સરકાર તમિલનાડુના મતદારોએ ચૂંટેલી સરકાર છે. આ  સરકારને લોકોએ વહીવટ ચલાવવાનો અને કાયદા બનાવવાનો અધિકાર આપ્યો છે ત્યારે રાજ્યપાલ રવિ તમિલનાડુના રાજા હોય એ રીતે મનમાની ચલાવી રહ્યા છે, રાજ્યની વિધાનસભાએ પસાર કરેલાં બિલો રોકી રાખે છે. આ તમિલનાડુના જનાદેશનું અપમાન છે અને મોદી સાહેબ દિલ્હીમાં બેઠાં બેઠાં રાજ્યપાલ પાસે આ અપમાન કરાવી રહ્યા છે. 

તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં સ્ટાલિને મોટો ધડાકો કરી નાંખ્યો છે. સ્ટાલિને તમિલનાડુને સ્વાયત્તતા (ર્ચેાર્હસઅ) આપવાની શક્યતા ચકાસવા માટે અને જરૂરી પગલાંની ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ કુરીયન જોસેફના પ્રમુખપદે એક સમિતીની રચના કરી નાંખી. ભૂતપૂર્વ આઈએએસ અધિકારીઓ અશોક શેટ્ટી અને મુ નાગરાજન આ સમિતીના બીજા બે સભ્યો છે. 

આ સમિતીને સ્ટાલિને રાજ્ય સરકારના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા કેન્દ્ર સરકાર સાથે કામ કરવામાં સુમેળભર્યા સંબંધો રહે એ ઉદ્દેશથી રાજ્યને સ્વાયત્તા માટે ક્યાં પગલાં ભરવાં તેની ભલામણ કરવાનું કામ સોંપ્યું છે. આ સિવાય એક સમયે રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળના પણ હવે કેન્દ્ર અને રાજ્ય બંનેના અધિકારક્ષેત્રમાં આવતા 'કોન્કરંટ લિસ્ટ'ના વિષયોને પાછા રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળના વિષયો બનાવવા શું કરવું તેનાં પગલાં પણ આ સમિતી સૂચવશે. 

સ્ટાલિન ભાજપના નેતાઓ કરતાં સ્માર્ટ રાજકારણી છે એટલે ભાજપ દેશદ્રોહનું લેબલ ના લગાડે એટલા માટે પાણી પહેલાં જ પાળ પણ બાંધી દીધી છે. પોતે 'સ્વાયત્તતા'ની માગ કરીને કોઈ દેશવિરોધી પ્રવૃત્તિ નથી કરી રહ્યા એ બતાવવા માટે સ્ટાલિને ભારતની એકતા અને અખંડિતતાને આંચ ના આવે એ રીતે કાયદાઓનું મૂલ્યાંકન કરવાની સૂચના આપી છે. 

સ્ટાલિને 'સ્વાયત્તતા'ના નામે બહુ મોટો રાજકીય દાવ ખેલી નાંખ્યો છે. જસ્ટિસ કુરીયન જોસેફ સમિતી ૨૦૨૬ના જાન્યુઆરીમાં વચગાળાનો રીપોર્ટ આપશે જ્યારે ૨૦૨૮ના અંત સુધીમાં પોતાનો અંતિમ રીપોર્ટ આપશે. તમિલનાડુમાં ૨૦૨૬ના એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી આવે તેના ત્રણેક મહિના પહેલાં 'સ્વાયત્તતા' અંગેનો વચગાળાનો રીપોર્ટ આવી ગયો હશે. ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પણ એપ્રિલ-મેમાં થશે ને તેના ત્રણ-ચાર મહિના પહેલાં અંતિમ રીપોર્ટ આવી ગયો હશે તેથી કમ સે કમ તમિલનાડુમાં તો વિધાનસભા તથા લોકસભા એમ બંને ચૂંટણી માટેનો એજન્ડા અત્યારથી સેટ કરી દીધો છે. 

મોદી સરકાર અને સ્ટાલિન સરકાર વચ્ચે અત્યારે બરાબરનો જંગ ચાલે છે. સ્કૂલોમાં ત્રણ ભાષાના શિક્ષણથી માંડીને મેડિકલમાં એડમિશન માટેની નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (શઈઈ્)માંથી તમિલનાડુને બાકાત રાખવા સહિતના મુદ્દે સ્ટાલિને મોદી સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટાલિન સરકારે મેડિકલ એડમિશનમાં શઈઈ્  નહીં પણ બારમા ધોરણની માર્કશીટને આધારે પ્રવેશ આપવાનો ખરડો બે વાર વિધાનસભામાં પસાર કરાવ્યો પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને વાર ખરડો નકારી કાઢયો એ મુદ્દે પણ ઘર્ષણ છે. સ્ટાલિને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાનું એલાન કર્યું છે.  મોદી સરકારના ઈશારે રાજ્યપાલ દ્વારા રોકી રખાતાં બિલોનો મુદ્દો પણ મોટો છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ તમિલનાડુને સ્વાયત્તતા છે એવું લોકોના મનમાં ઠસાવવા માટે સ્ટાલિને આ દાવ ખેલ્યો છે. ભારતમાં કોઈ રાજ્યને સ્વાયત્તતા આપી શકાય તેમ નથી તેથી હિંદીના વિરોધની જેમ સ્ટાલિન એક કાયમી રાજકીય મુદ્દો ઉભો કરી દેશે. 

સ્ટાલિન તમિલનાડુને સ્વાયત્તતાની વાત કરીને દેશમાં ભાગલાવાદી માનસિકતાનાં બી રોપી રહ્યા છે અને લાંબા ગાળે દેશ માટે ઘાતક સાબિત થાય એવી રાજકીય રમત રમી રહ્યા છે પણ તેના માટે માત્ર સ્ટાલિનને દોષ આપી શકાય તેમ નથી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, મોદી સરકારના ઈશારે કઠપૂતળીની જેમ વર્તી રહેલા રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપના નેતા પણ એટલા જ જવાબદાર છે. તમિલનાડુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનો ઘર્ષણ નવી વાત નથી પણ રાજ્યપાલ રવિએ આ ઘર્ષણને સાવ હલકી કક્ષાએ લાવી દીધો તેનો જવાબ સ્ટાલિન પણ એ જ ભાષામાં આપી રહ્યા છે.   

સ્ટાલિનની સરકાર તમિલનાડુના મતદારોએ ચૂંટેલી સરકાર છે. આ  સરકારને લોકોએ વહીવટ ચલાવવાનો અને કાયદા બનાવવાનો અધિકાર આપ્યો છે ત્યારે રાજ્યપાલ રવિ તમિલનાડુના રાજા હોય એ રીતે મનમાની ચલાવી રહ્યા છે, રાજ્યની વિધાનસભાએ પસાર કરેલાં બિલો રોકી રાખે છે. આ તમિલનાડુના જનાદેશનું અપમાન છે અને મોદી સાહેબ દિલ્હીમાં બેઠાં બેઠાં રાજ્યપાલ પાસે આ અપમાન કરાવી રહ્યા છે. 

સ્ટાલિન રાજકારણી છે તેથી રાજ્યપાલની હરકતોને તમિલનાડુનું અપમાન ગણાવીને તેનો રાજકીય ફાયદો તો લઈ જ રહ્યા છે પણ તમિલનાડુની પ્રજાને સ્વાયત્તાતાની એવી નવી લોલીપોપ પણ પકડાવી રહ્યા છે કે જે ચૂસવામાં લોકોને મજા આવે. તમિલનાડુમાં પેરીયારથી માંડીને ઉદયનિધી સહિતના તમામ નેતાએ તમિલ ગૌરવની વાત કરીને લોકોને અલગ જ કેફમાં જીવતા કરી દીધા છે. સ્ટાલિન એક કદમ આગળ વધીને સ્વાયત્તતાનો નવો નશો કરાવી રહ્યા છે.  

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ રવિને તેમની ઔકાત બતાવીને ઝાટકી કાઢયા પછી તેમનામાં શરમનો પણ છાંટો હોય તો તેમણે રાજીનામું ધરી દેવું જોઈએ. મોદી સરકારને પણ બંધારણના રક્ષણની ચિંતા હોય તો રવિને તગેડી મૂકવા જોઈએ પણ તેના બદલે ભાજપના નેતા તેમને પંપાળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલે રોકી રાખેલાં બિલોને કેટલી સમયમર્યાદામાં મંજૂરી આપવી તેની ગાઈડલાઈન બહાર પાડીને રાજ્યપાલોને સાવ કારકુનની કક્ષાએ લાવી દીધા છે. 

સ્ટાલિનની સ્વાયત્તાની વાતમાં ડોશી મરી જાય તેના કરતાં વધારે ભો જમ ઘર ભાળી જાય તેનો છે. તમિલનાડુના પગલે ભાજપ વિરોધી પક્ષોની સરકાર છે એવાં તમામ રાજ્યોમાં ધીરે ધીરે આ સ્વાયત્તતાનો નાદ બુલંદ કરવાની કોશિશ થશે. તમિલનાડુની જેમ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, પંજાબ, તેલંગાણા વગેરે ભાજપ વિરોધી પક્ષોનું શાસન ધરાવતાં તમામ રાજ્યોમાં રાજ્યપાલો મનમાની કરીને વિધાનસભાએ પસાર કરેલાં બિલો રોકી રાખે છે, સરકારની વહીવટી બાબતોમાં દખલ કરે છે, રાજ્યપાલ તરીકેના હોદ્દાનું ગૌરવ સાચવીને વર્તવાના બદલે મોદી સરકારની કઠપૂતળીની જેમ વર્તે છે.

લગભગ તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારો વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને રાજ્યપાલોએ રોકી રાખ્યાં તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં રાજ્યપાલ રવિને ઝાટક્યા પછી બીજાં રાજ્યોના કેસોમાં શું થશે એ કહેવાની જરૂર નથી ને સ્ટાલિને સ્વાયત્તતાનો ઝંડો ઉંચક્યો એ જોયા પછી મમતા બેનરજી, પિનારાયી વિજયન સહિતના ભાજપ વિરોધી મુખ્યમંત્રી શું કરશે એ કહેવાની પણ જરૂર નથી.

ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડઃ કટોકટીની ટીકા પણ ઈન્દિરાના નિર્ણયો ફેરવવા તૈયારી નહીં

સ્ટાલિનની એક માગણી શિક્ષણને ફરી રાજ્ય સરકારના અધિકારનો વિષય બનાવવાની છે. અત્યારે શિક્ષણ 'કોન્કરંટ લિસ્ટ' એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જેના પર કાયદા બનાવી શકે એવા વિષયોમાં છે પણ મૂળભૂત રીતે બંધારણમાં શિક્ષણ રાજ્ય સરકારનો વિષય હતો અને તેના પર કાયદા બનાવવાનો કે નીતિ ઘડવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારોને જ હતો. 

ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫મા કટોકટી લાદી ત્યારે સર્વસત્તાધીશ બનવા માટે ૪૨મો બંધારણીય સુધારો કરેલો. 

ઈન્દિરાએ બંધારણના પ્રીએમ્બલમાં સુધારો કર્યો હતો. મૂળ બંધારણમાં ભારત માટે સોવરેઈન ડેમોક્રેટિક રીપબ્લિક એટલે કે સાર્વભૌમ લોકશાહી જનતંત્ર શબ્દો હતા. ઈંદિરાએ સોશિયાલિસ્ટ સેક્યુલર એટલે કે સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરી દીધા. 

ઈન્દિરાએ ૪૨મા બંધારણીય સુધારા દ્વારા કુલ ૫૯ જોગવાઈઓ સુધારી હોવાથી આ સુધારાને મિનિ બંધારણ પણ કહેવાય છે. 

ઈન્દિરા ગાંધીએ રાજ્ય સરકારના અધિકાર હેઠળના પાંચ વિષયોને 'કોન્કરંટ લિસ્ટ'માં નાંખી દીધા હતા. આ પાંચ વિષયોમાં શિક્ષણ, જંગલો, તોલ-માપ (ઉીૈયરાજ ઃ સ્ીચજેિીજ), વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓનું રક્ષણ અને ન્યાયતંત્રનો વહીવટ (છગસૈહૈજાર્ચિૌહ ર્ક વેજૌબી)નો સમાવેશ થાય છે. 

કટોકટી પછીની ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરાની હાર પછી મોરારજી દેસાઈ સરકારે ૪૩મો સુધારો કરીને મોટા ભાગની બંધારણની મૂળ જોગવાઈઓને ફરી સ્થાપિત કરી હતી પણ 'કોન્કરંટ લિસ્ટ' ના બદલ્યું તેથી મૂળ બંધારણના ૪૭ વિષયોને બદલે ૫૨ વિષયો 'કોન્કરંટ લિસ્ટ'માં રહ્યા. 

ભાજપ ઈન્દિરાએ બંધારણના આમુખમાં ઉમેરેલા સેક્યુલર શબ્દનો વિરોધ કરે છે અને ૪૨મા સુધારાની ઝાટકણી કાઢે છે પણ 'કોન્કરંટ લિસ્ટ'ને બદલવા તૈયાર નથી એ બેવડાં ધોરણો કહેવાય.

ભારતમાં સ્વાયત્ત જિલ્લા છે પણ સ્વાયત્ત રાજ્યની કોઈ જોગવાઈ નથી

ભારતમાં જમ્મુ અને કાશ્મીર એક માત્ર સ્વાયત્ત રાજ્ય હતું. સત્તાવાર રીતે જમ્મુ અને કાશ્મીર સ્વાયત્ત રાજ્ય નહોતું પણ બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો અપાયેલો અને ઘણી બધી બાબતોમાં જમ્મુ અને કાશ્મીરને ભારતીય બંધારણની જોગવાઈઓ તથા કાયદા લાગુ નહોતા પડતા. કલમ ૩૫ એ હેઠળ જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને પણ ભારતના નાગરિકોની સરખામણીમાં કેટલાક વિશેષ અધિકારો અપાયા હતા તેથી જમ્મુ અને કાશ્મીર સ્વાયત્ત રાજ્ય જ હતું.   

ભારતમાં અત્યારે કોઈ સ્વાયત્ત રાજ્ય નથી કેમ કે ભારતના બંધારણમાં કોઈ રાજ્યને સ્વાયત્તતા આપવાની જોગવાઈ નથી પણ કેટલાક વહીવટી સ્વાયત્ત જિલ્લા છે. આ સ્વાયત્ત જિલ્લા પરિષદો આદિવાસીઓ (શીડયુલ ટ્રાઈબ્સ)ની પરંપરાઓના રક્ષણ માટે બનાવાઈ છે અને તેમાં જે તે આદિવાસી સમાજમાંથી ચૂંટાયેલા પ્રતિનિધી જ હોય છે. 

ભારતના બંધારણના છઠ્ઠા શીડયુલમાં આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા એ ચાર રાજ્યોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો અને સ્વાયત્ત પ્રાદેશિક પરિષદોની રચના કરવાની મંજૂરી મળી છે. આ બંધારણીય જોગવાઈઓ હેઠળ કુલ ૧૦ જિલ્લામાં સ્વાયત્ત જિલ્લા પરિષદો કામ કરે છે. ચાર રાજ્યોની આ ૧૦ સ્વાયત્ત જિલ્લા પરિષદોના વિસ્તારોમાં  સંસદ કે રાજ્યની વિધાનસભા સરકાર દ્વારા બનાવાયેલા કાયદા લાગુ પડતા નથી.  આ સિવાય રાજ્ય સરકારોએ પોતે કાયદા બનાવીને ઉત્તરપૂર્વ ભારત, લદ્દાખ અને પશ્ચિમ બંગાળમાં વહીવટી સરળતા ને વધારે તો રાજકીય કારણોસર સ્વાયત્ત પરિષદ (ઓટોનોમસ કાઉન્સિલ) બનાવી છે પણ તેમાં બધા કાયદા લાગુ પડે છે.

Tags :