Get The App

ઇઝરાયેલ - ઇરાન એકાએક દુશ્મન કેમ બની ગયા !

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ઇઝરાયેલ - ઇરાન એકાએક દુશ્મન કેમ બની ગયા ! 1 - image


- ઈઝરાયેલની સ્થાપનાને માન અને સમર્થન આપનારું ઈરાન ધાર્મિક મુદ્દે તેનું વિરોધી બની ગયું

- 1948થી 1979 સુધી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વેપાર, ક્રૂડ, ખાદ્ય સામગ્રી, ટેક્નોલોજી, સૈન્ય સાધનો વગેરે વચ્ચે મોટાપાયે લેવડદેવડ થતી હતી : ઈરાનમાં 1979માં સત્તા પલટો થયો અને ખોમૈનીએ ઈઝરાયેલને ઈસ્લામનું વિરોધી અને દુનિયાનું રાક્ષસ ગણાવી દીધું : ઈરાનના સિક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામ અને ઈઝરાયેલ વિરોધી કામગીરી તથા તેની ધાર્મિક કટ્ટરતાના કારણે બંને દેશ વચ્ચે તણાવ વધવા લાગ્યો : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જો યુદ્ધ થશે તો ક્રૂડ અને ગેસ સપ્લાય ઉપરાંત અન્ય મોટા આર્થિક સંકટ દુનિયાને ઘેરી વળે તેવી શક્યતા 

ઈઝરાયેલા દ્વારા તાજેતરમાં ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાાનિક, સેનાના કમાન્ડર અને અન્ય કેટલાક લશ્કરી અધિકારીઓનાં મોત થયા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લાં કેટલાય વર્ષોથી ચાલતી આ દુશ્મની હવે વધારે ઉગ્ર બનવાના એંધાણ છે. હવે બંને દેશો સામે સામે યુદ્ધમાં ઉતરી જાય તો પણ નવાઈ નહીં. વિસ્તાર અને વસતીની દ્રષ્ટીએ ખૂબ જ નાના દેશો એક સમયે બંનેના ગાઢ મિત્રો હતો પણ હવે એકબીજાના કટ્ટર શત્રુ બની ગયા છે. એકબીજાના લોહી તરસ્તા થઈ ગયા છે. નાના હોવા છતાં આ દેશો પ્રભાવશાળી છે અને તેમની વચ્ચેની તકરાર વિશ્વ ઉપર અસર કરી શકે છે. જાણકારોના મતે પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધો અને ઉગ્ર સ્થિતિ તથા અશાંતિમાં આ બંને દેશોની દુશ્મની જવાબદાર છે. 

વિચારવા જેવી બાબત એ છે કે, ૧૯૪૮માં ઈઝરાયેલનો જન્મ થયો. ૧૯૫૦માં ઈરાન દ્વારા ઈઝરાયેલને માન્યતા આપવામાં આવી. તુર્કી બાદ ઈરાન હતું જેણે ઈઝરાયેલને માન્યતા આપી હતી. ત્યારથી શરૂ કરીને ૧૯૭૯ સુધી ૩૦ વર્ષ સુધી ઈરાન અને ઈઝરાયેલ એકબીજાના ગાઢ મિત્રો હતા. જ્યારે અરબ દેશો ઈઝરાયેલના વિરોધમાં હતા ત્યારે ઈરાન તેની પડખે ઊભું હતું. બંને વચ્ચે એકબીજાને મદદ કરવાની, કૂૂટનીતિક, સૈન્ય, ક્ડ સપ્લાય અને સાથ સહકારની ભાવના હતી. ૧૯૭૯માં ઈરાનમાં સત્તા પરિવર્તન થયું અને બંને દેશોની સ્થિતિ પણ બદલાઈ ગઈ. ૧૯૭૯માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ અને શાહ રઝા પહલવીની સત્તા ગઈ અને અયાતુલ્લા ખોમૈની સત્તામાં આવી ગયા. 

ખોમૈનીના નેતૃત્ત્વમાં ઈરાનમાં કટ્ટરપંથી શિયા ઈસ્લામી સત્તાનો ઉદય થયો. ત્યારબાદ ઈરાને એકાએક ઈઝરાયેલને શૈતાન અને રાક્ષસ કહેવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે મોટા રાક્ષસ અમેરિકા અને નાના રાક્ષસ ઈઝરાયેલનો અંત આવવો જોઈએ. બસ ત્યારથી બંને વચ્ચે દુશ્મનીના બીજ રોપાઈ ગયા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ઈઝરાયેલ ગેરકાયદે જમીન કબજે કરનારો અને તેના આધારે અસ્તિત્વમાં આવેલો દેશ હોવાનો ઈરાનનો મત છે. બીજી તરફ ઈઝરાયેલ માને છે કે, તેના અસ્તિત્વ માટે અને વિકાસ માટે ઈરાન જોખમી બની ગયું છે.

આમ જોવા જઈએ તો ઈઝરાયેલની સ્થાપના અને ઈરાનમાં શાહ પહલવીનું શાસન આવ્યું તેની વચ્ચે થોડા જ સમયનો તફાવત હતો. શાહે ઈઝારેયલને સમર્થન આપ્યું અને તેના અસ્તિત્વ અને વિકાસમાં જોડાવાનું શરૂ કર્યું. ૧૯૫૩થી આ જોડાણ શરૂ થયું અને ૧૯૭૯ સુધી આ જોડાણ અકબંધ રહ્યું. તેમની વચ્ચે વેપાર, સૈન્ય, ગુપ્તચર માહિતી, ક્રૂડ અને અન્ય સામગ્રી મુદ્દે કરાર થયા અને બંને દેશો એકબીજાની મદદ કરતા હતા. 

ઈઝરાયેલ સર્જાયું ત્યારથી ખેતી અને સૈન્ય ટેક્નોલોજીમાં તેનો દબદબો થઈ ગયો હતો. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જોડાણ થયું તેમાં ઈઝરાયેલાના ક્રૂડની જરૂરનું ૪૦ ટકા ક્ડ ઈરાન દ્વારા આપવામાં આવતું હતું. તેના બદલામાં ઈઝરાયેલ તેને સૈન્ય ટેક્નોલોજી અને કૃષિ ટેક્નોલોજી આપતું હતું. ૧૯૬૮માં ઈરાને એક કરાર કરીને સુએઝ નહેરના કોન્ટ્રાક્ટને ગણકાર્યા વગર ઈઝરાયેલને તેલ આપવા માટે આયોજન કર્યા. તેના કારણે ઈરાનનું જ્યારે સદામના ઈરાક સાથે યુદ્ધ થયું ત્યારે ઈઝરાયેલે ખૂબ જ મદદ કરી હતી. ઈઝરાયેલ દ્વારા ઈરાનને મદદ માટે હાઈટેક મિસાઈલ સિસ્ટમ, એમ-૪૦ એન્ટિટેન્ક ગન, ઉઝી સબમશિન ગન, વિમાન એન્જિન પણ આપવામાં આવ્યા હતા. તેના કારણે ઈરાકને યુદ્ધમાં હરાવવામાં ઈરાનને ફાયદો થયો હતો. ત્યારબાદ એકાએક ઈરાનમાં રાજકીય સમીકરણો બદલાવા લાગ્યા અને ઈરાન એકાએક ઈઝરાયેલના વિરોધમાં આવવા લાગ્યું અને તેની સાથે સંબંધોનો અંત લાવીને તેને ઈસ્લામ અને ઇસ્લામિક દેશોનું દુશ્મન માનવા લાગ્યું.

આ બંને વચ્ચે જે કટ્ટરતા વ્યાપી છે તેનું એક કારણ ધાર્મિક પણ છે. ઈરાન સંપૂર્ણ ઈસ્લામિક ગણરાજ્ય છે. તે શિયા કાયદામાં માને છે. તે પોતાને ઈસ્લામિક દુનિયાનું શિખર ગણાવે છે. બીજી તરફ ઈઝરાયેલ એક યહૂદી રાષ્ટ્ર છે. ઈરાન વિચારે છે કે, પેલેસ્ટાઈન ઉપર ઈઝરાયેલ દ્વારા ગેરકાયદે કબજો કરાયો છે. તેના કારણે ઈઝરાયેલનો અંત લાવીને ત્યાં ઈસ્લામિક શાસન સ્થાપવું જોઈએ. 

બીજી તરફ ઈઝરાયેલ માને છે કે, પોતાનું અસ્તિત્વ અને સુરક્ષા કોઈપણ દેશની પ્રાથમિકતા છે. તેના કારણે જે પણ ઈઝરાયેલના નાશની વાત કરે છે તેને તે પોતાનું દુશ્મન ગણી લે છે. ઈરાનમાં અયાતુલ્લા ખુમૈનીથી શરૂ કરીને આયાતુલ્લા અલી ખૌમૈની સુધી ઈરાનના તમામ ગુરુઓ અને સત્તાધિશોને તે દુશ્મન ગણાવે છે. બીજી તરફ ઈરાન પણ ઈઝરાયેલને કેન્સર ગણાવે છે જેનો અંત આવવો જ જોઈએ. તેના પગલે સમયાંતરે એકબીજા વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે અથવા હુમલા કરતા રહે છે. આ બંને દેશ એવા છે કે જે સીધી રીતે એકબીજા સાથે યુદ્ધ નથી કરતા પણ પ્રોક્સિવોર કર્યા કરે છે. તેના કારણે સમયાંતરે એકબીજાને નુકસાન પહોંચાડે છે.

ઈઝરાયેલનું માનવું છે કે, મીડલ ઈસ્ટમાં જેટલા પણ કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનો અને આતંકવાદી સંગઠનો છે તેને ઈરાન મદદ કરે છે. ઈઝરાયેલ આ તમામ આતંકીઓના ખાતમા માટે કામ કરે છે. હિઝબુલ્લા (લેબેનોન), હમાસ (ગાઝા પટ્ટી), ઈસ્લામિક જિહાદી મુવમેન્ટ (પેલેસ્ટાઈન) તથા શિયા મિલિશિયા (ઈરાક, સીરિયા) જેવા સંગઠનોનો તેમાં સમાવેશ થાય છે. આ સંગઠનો ઈઝરાયેલ ઉપર રોકેટ મારો અને તોપમારો કરે છે, સરહદોમાં ઘુસણખોરી કરે છે અને આત્મઘાતી હુમલા કરે છે. ઈઝરાયેલ અને તેની જનતાને આ આતંકી સંગઠનોની કનડગતથી નુકસાન છે.

ઈઝરાયેલ આ સંગઠનોને નાથવા માટે ઈરાનના વિવિધ ઠેકાણાઓ ઉપર મિસાઈલમારો કરે છે, ડ્રોન હુમલા કરે છે. છેલ્લાં કેટલાક મહિનામાં આવા ઘણા હુમલા જોવા અને જાણવા મળ્યા હતા. તેના કારણે ઈઝરાયેલે ગાઝાપટ્ટી પણ નષ્ટ કરી નાખી છે. ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ પણ જંગ છેડેલો છે. 

લેબેનોનમાં હિઝબુલ્લાને પણ હવાઈ હુમલા અને જમીની હુમલા કરીને નષ્ટ કરી કાઢયું છે. સીરિયામાં પણ ઈરાન સમર્થિત આતંકીઓના ઠેકાણા ઉપર ઈઝરાયેલ હવાઈ હુમલા કરતું આવ્યું છે. ઈરાની વૈજ્ઞાાનિકોની હત્યા અને સાઈબર હુમલા પણ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવે છે.

બીજો મહત્ત્વનો મુદ્દો ન્યુક્લિયર વોરફેરનો પણ છે. ઈઝરાયેલને અત્યારે સૌથી મોટો વાંધો ઈરાનના પરમાણુ કાર્યક્રમો સામે છે. ઈરાનનો દાવો છે કે, તેનો ન્યૂક્લિયર પ્રોગ્રામ શાંતિપૂર્ણ છે પણ ઈઝરાયેલ અને પશ્ચિમી દેશો માને છે કે, ઈરાન ન્યૂક્લિયર એનર્જીની આડમાં પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. ઈઝરાયેલે રણનીતિ બનાવેલી છે કે, અમારો કોઈપણ દુશ્મન દેશ ન્યૂક્લિયર હથિયાર ન બનાવવો જોઈએ. તેના કારણે જ ૧૯૮૧માં તેણે ઈરાકના અને ૨૦૦૭માં સીરિયાના ન્યૂક્લિયર રિએક્ટર નષ્ટ કરી નાખ્યા હતા. ઈઝરાયેલ ખુલ્લેઆમ ધમકી આપે છે કે, ઈરાનને પણ પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ અને તેના માટે ગમે તે કરવા તે તૈયાર છે. તેના કારણે પણ બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવ છે.

આ ગજગ્રાહ વર્ષો વર્ષ વધતો ગયો છે. ગત વર્ષની જ વાત કરીએ તો એપ્રિલ ૨૦૨૪માં ઈઝરાયેલ દ્વારા દમિશ્ક ખાતે ઈરાનના વાણિજ્યિક દૂતાવાસ ઉપર હુમલો કરાયો હતો. આ મિસાઈલ હુમલામાં ઈરાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓનાં મોત થયા હતા. 

તેના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલ ઉપર ૩૦૦ જેટલી મિસાઈલ અને ડ્રોન છોડયા હતા. તેમાંથી મોટાભાગના ડ્રોન અને મિસાઈલ્સ ઈઝરાયેલ તથા તેના સાથીઓ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા તોડી પડાયા હતા. તેના કારણે આ દેશો વચ્ચેનો સંઘર્ષ અને દુશ્મની ચરમસીમાએ પહોંચ્યા છે. તે સમયે તો યુદ્ધ અટકી ગયું પણ હુમલા કરવાનો દૌર હજી પણ ચાલુ જ રહ્યો છે. 

બંને વચ્ચેનું યુદ્ધ દુનિયાભરમાં આર્થિક સંકટ ઊભું કરી શકે

જાણકારોના મતે હાલમાં ઈઝરાયેલ અને ઈરાન મુદ્દે દુનિયાના દેશોનું ધુ્રવીકરણ થયેલું છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને યુરોપના દેશો ઈઝરાયેલનું સમર્થન કરે છે. બીજી તરફ રશિયા અને ચીન બંધ બારણે અને પડદા પાછળ રહીને ઈરાનનું સમર્થન કરે છે. અરબ દેશો ક્યારેક ઈરાનની વિરુદ્ધ હોય છે તો ક્યારેક તરફેણમાં હોય છે. હાલમાં તેઓ ઈઝરાયેલના સમર્થનમાં છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો ક્રૂડ અને નેચરલ ગેસના સપ્યાલને બહુ મોટો ફટકો પડે તેમ છે. તેના કારણે દુનિયા ઉપર આર્થિક સંકટ ઊભું થાય તેમ છે. જાણકારો માને છે કે, માત્ર ધાર્મિક કે આર્થિક અથવા તો પરમાણુ મુદ્દે ઈઝરાયેલ અને ઈરાન ટકરાતા રહે છે તેવું નથી. ધર્મ, રાજનીતિ, વર્ચસ્વ, સુરક્ષા અને પેલેસ્ટાઈન મુદ્દે બંને વચ્ચે સંઘર્ષ છે. ઈરાન જ્યાં સુધી ન્યૂક્લિયર પ્રોગ્રામ અટકાવશે નહીં અને ઈઝરાયેલ પેલેસ્ટાઈન મુદ્દાનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ બંને દેશો વચ્ચે કશું જ શાંત પડે તેમ લાગતું નથી. હાલમાં પણ એવું જ લાગી રહ્યું છે કે, આ પ્રોક્સિવોરની જ સ્થિતિ છે અને બે-ચાર દિવસમાં બધું શાંત પડી જશે. જો ઈરાન અને ઈઝરાયેલ ખરેખર યુદ્ધના મોરચે આવી ગયું તો સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર જોવા મળી શકે તેમ છે.

Tags :