Get The App

હનીમુનના નામે હત્યા : પ્રેમી સાથે લગ્ન કરવા વિધવા થઈ ગઈ સોનમ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
હનીમુનના નામે હત્યા : પ્રેમી સાથે લગ્ન કરવા વિધવા થઈ ગઈ સોનમ 1 - image


- મેઘાલય પોલીસના ઓપરેશન હનીમુનમાં ધડાકો : પરિવારે રાજા સાથે પરણાવી પણ સોનમ તેના પ્રેમી રાજ સાથે લગ્ન કરવા માગતી હતી

- લગ્નના પાંચ દિવસ બાદ પગફેરા માટે પીયર જઈને રાજાની હત્યાનું કાવતરું ઘડી કાઢયું, હત્યા કરવા માટે હનીમુન માટે મેઘાલય ફરવા જવાની ટિકિટો પણ સોનમે બુક કરાવી પણ પાછા આવવાની કરાવી નહોતી ઃ રાજાના પરિવારને અને રાજાને પણ એકાએક હનીમુન પર જવાનું ગમ્યું નહોતું છતાં સોનમ પરાણે લઈ ગઈ, ત્યાં ત્રણ હત્યારાઓને પણ સાથે જ રાખીને રાજાનું કાસળ કાઢી કાઢયું ઃ વિશાલ, આકાશ અને આનંદને ૨૦ લાખ રૂપિયા આપવાની લાલચ આપીને રાજાને મારવાની સોપારી આપી, હત્યાના દિવસે રાજા સાથે ફરવા જવા દરમિયાન આરોપીઓને પણ પ્રવાસી તરીકે સાથે લીધા અને સુમસામ જગ્યાએ જતાં જ હત્યા કરાવી દીધા

ઈન્દોરના યુવા ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. રાજાની હત્યા તેની જ પત્ની સોનમ દ્વારા કરવામાં આવી હતી. મેઘાલય પોલીસ દ્વારા રાજા રઘુવંશીની હત્યા અને સોનમ ગાયબ થવાના કેસમાં છેલ્લાં પંદર દિવસથી જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં મોટો ધડાકો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે, સોનમ અને રાજા જ્યારે એક અંતરિયાળ ગામમાં પહાડ ઉપર ફરવા ગયા ત્યારે જ સોનમે સોપારી આપીને ત્રણ હત્યારાને બોલાવી લીધા હતા અને તેમણે રાજાનું ઢીમ ઢાળી દીધું. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સોનમે પહેલાં વિધવા થવાનું નક્કી કર્યું અને તેના કારણે જ પતિની હત્યા કરાવીને તેનો મૃતદેહ ખીણમાં ફેંકાવી દીધો. હનીમૂન દરમિયાન પતિ અને પત્ની ગાયબ થઈ ગયા અને તેમનું અપહરણ થઈ ગયાની વાતો વહેતી થઈ.

ઉલ્લેખનીય છે કે, પોલીસને શંકા છે કે, ૨૩ મેના રોજ જ સોનમ અને તેના સાથીઓ દ્વારા રાજાની હત્યા કરી દેવામાં આવી હશે. પોલીસનું કહેવું છે કે, સોનમની હાજરીમાં જ રાજાની હત્યા કરી દેવાઈ હતી. તેણે જ ચીસો પાડીને કહ્યું હતું કે, મારી નાખો આને. પોલીસના મતે વિશાલ ચૌહાણે નાની કુહાડીથી રાજાના માથાના પાછળના ભાગમાં હુમલો કર્યો હતો. આ કુહાડી પણ ઓનલાઈન ખરીદવામાં આવી હતી. ત્યાંથી ખરીદી થયા બાદ વિશાલ, આકાશ અને આનંદ સોનમને મળ્યા હતા. હત્યા દરમિયાન આકાશ ભાડાની અન્ય બાઈક લઈને રસ્તા ઉપર આંટાફેરા કરતો હતો. તે વોચ રાખીને બેઠો હતો જેથી કોઈ પ્રવાસી કે સ્થાનિક વ્યક્તિ હત્યા થઈ રહી છે તે તરફ જાય નહીં. રાજાએ જે એક્ટિવા ભાડે લીધું હતું તે અને આકાશે જે બાઈક ભાડે લીધું હતું તેની પણ ઓળખ કરી દેવામાં આવી છે. સોનમે જ ફૂલપ્રૂફ પ્લાન બનાવીને પોતાના પતિની હત્યા કરાવી હતી અને ત્યારબાદ અન્ય વાતો વહેતી કરાવી પણ હવે પાંચેય આરોપીયો પકડાયા બાદ સત્ય સામે આવ્યું છે.

બીજી તરફ ઈન્દોર પોલીસ જણાવે છે કે, આરોપી રાજ કુશવાહની સાથે મળીને જ સોનમે ઈન્દોરમાં જ હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો. સોનમના પિતાની ફેક્ટરીમાં કામ કરતા રાજ સાથે સોનમને પ્રેમ હતો. તે ઉપરાંત બાકીના ત્રણ આરોપીઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. તેમને પૈસાની જરૂર હતી અને સોનમને હત્યા માટે માણસોની જરૂર હતી. તેણે આ લોકોને સોપારી આપી દીધી. પગફેરા માટે પિયર આવેલી સોનમ સાસરે પાછી ગઈ ત્યારે મેઘાલયની હનીમૂનની ટૂર બુક કરીને ગઈ હતી. તેણે પોતાના પતિ રાજાને અને પરિવારજનોને આ વાત કરી તો તેઓને નવાઈ લાગી હતી. તેમ છતાં રાજા તેની સાથે હનીમૂન ટૂર ઉપર ગયો. બીજી તરફ સોનમે ચારેય હત્યારાને ગુવાહાટી બોલાવી લીધા હતા અને હત્યાનો પ્લાન કરી દીધો હતો. 

રાજાની હત્યા કર્યા બાદ પણ સોનમ લાપતા જ રહી હતી. તે પોલીસ તપાસ ઉપર નજર રાખી રહી હતી. તે જાણતી હતી કે, પતિની લાશ મળી છે તેથી પોલીસ પણ તેને મૃત સમજીને ખીણમાં જ તેનો મૃતદેહ શોધ્યા કરશે. બીજી તરફ આ કેસમાં તપાસ દરમિયાન સોનમનું ઈન્દોર કનેક્શન નીકળ્યું અને પોલીસે રાજ કુશવાહની ધરપકડ કરી લીધી હતી. રાજ પકડાઈ ગયો છે તે માહિતી મળતા જ સોનમ પડી ભાંગી અને તેને સમજાઈ ગયું કે હવે સમગ્ર પ્લાન પોલીસને ખબર પડી જશે. તેના કારણે તેણે યુપી પહોંચીને ઢાબામાં સરન્ડર કરી દીધું.

સોનમ અને રાજ કુશવાહે ભેગા થઈને એટલો મજબૂત પ્લાન બનાવ્યો હતો કે, કોઈને ખબર જ ન પડે. સોનમે ગુવાહાટી જવા માટે રાજ, આનંદ, આકાશ અને વિશાલની ટિકિટો બુક કરાવી હતી પણ છેલ્લી ઘડીએ રાજે આવવાની ના પાડી દીધી. તેના કારણે વિશાલ, આકાશ અને આનંદ શિલોંગ પહોંચી ગયા. સોનમ અને રાજા જ્યાં રોકાયા હતા ત્યાંથી દૂર આ ત્રણેયને હોમસ્ટે કરાવ્યો હતો. ત્યાંથી વહેલી સવારે આ લોકોને ચેકઆઉટ પણ કરાવી દીધું હતું. રાજ અને સોનમ માટે બાકીના ત્રણ ત્યાં પહોંચી ગયા હતા. સોનમે આ ત્રણની હાજરીમાં જ એક વખત મદદ માગી અને હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. 

ત્રણેયની ગરીબી દૂર કરવાનું સોનમે વચન આપ્યું હતું અને ત્રણેય ભોળવાઈ ગયા હતા. 

આ કેસમાં પોલીસે જ્યારે સોનમના કોલ ડિટેલ્સ ચેક કર્યા ત્યારે તેમને રાજ વિશે માહિતી મળી હતી. તેમને સમજાઈ ગયું હતું કે, રાજ અને સોનમ વચ્ચે ગાઢ સંબંધ છે. 

રાજા અને સોનમ તો એપ દ્વારા મળ્યા હતા. પરિવારજનોએ મેટ્રીમોની એપ દ્વારા જ સંબંધ નક્કી કર્યો અને ટૂંકા ગાળામાં લગ્ન થઈ ગયા. ૧૧મેના રોજ લગ્ન થયા અને ૧૬ મેના રોજ સોનમે પિયર જઈને રાજાની હત્યાનો પ્લાન બનાવ્યો અને ૨૩ મેના રોજ ફરવા લઈ જવા દરમિયાન તેની હત્યા કરી નાખી. ૨ જૂને જ્યારે રાજાનો મૃતદેહ મળ્યો ત્યારબાદ કેસ સ્પષ્ટ થયો કે, અપહરણ અને લૂંટ માટે હત્યાનો આ કેસ જ નથી. ત્યારબાદ રાજા અને સોનમના ફોન લોકેશન્સ, કનેક્શન બધું જ તપાસવામાં આવતા રાજ અને સોનમની મલિભગત સામે આવી ગઈ. સોનમે રાજને વાયદો પણ કર્યો હતો કે, હું એક વખત વિધવા થઈ જઈશ પણ મારો બાપ પણ તારી સાથે બીજા લગ્ન કરતા રોકી શકશે નહીં. તેના કારણે જ તેણે રાજાની હત્યાનું કાવતરું ઘડી કાઢયું. મેઘાલયની પોલીસ હવે ટ્રાન્ઝીટ રિમાન્ડ ઉપર સોનમને યુપીથી મેઘલાય લઈ આવી છે. હવે સમગ્ર ઘટનાનું રિક્રિએશન થયા બાદ બાકીની વિગતો સામે આવે તેમ છે.

20 લાખ રૂપિયા આપીશ પણ આને અત્યાર જ મારવો પડશે

સોનમના સાગરીતોની ધરપકડ બાદ પુછપરછ કરવા દરમિયાન કડીઓ જોડાવા લાગી હતી. પોલીસે જણાવ્યું કે, ૨૩મેના રોજ સોનમ ફોટોશૂટ કરવાનું બહાનું કાઢીને કોરસા પહાડી વિસ્તારમાં રાજાને લઈને ગઈ. રાજા અને સોનમની સાથે બાકીના ત્રણ આરોપીઓ પણ પ્રવાસી તરીકે જોડાયા હતા. આ પાંચેય જણા જ્યારે ૩૦૦૦ પગથીયા ચડતા હતા ત્યારે સોનમ થાકી ગઈ અને થોડી પાછળ રહી ગઈ. આ લોકો આગળ વધતા જતા હતા. 

સોનમે ત્યારે પણ રસ્તામાં આ લોકોને કહ્યું હતું કે, આને મારી નાખો. પેલા લોકો વાતો કરતા કરતા આગળ જતા હતા. રસ્તામાં આરોપીઓ પણ થાકી ગયા તો સોનમે કહ્યું કે હું તમને ૨૦ લાખ રૂપિયા આપીશ પણ આને મારી નાખો. તેણે આગલી રાતે રાજાના પર્સમાંથી કાઢી લીધેલા ૧૫ હજાર રૂપિયા તાત્કાલિક પેલા લોકોને આપી દીધા અને મારવા માટે તૈયાર કરી લીધા. તાજેતરમાં મેઘાલય પોલીસને મળેલા સીસીટીવીમાં પણ સોનમ અને રાજા તથા બાકીના ત્રણેય આરોપીઓ વાતો કરતા હોવાનું દેખાયું હતું. તેના આધારે જ પોલીસે તમામને શોધીને ઝડપી પાડયા છે. 

સોનમની તમામ ભુલોની કડીઓ જોડાઈ ગઈ અને હત્યાનો ભેદ ખુલ્યો

આ કેસમાં પહેલો લુપ હોલ હતો રાજાનો મૃતદેહ મળવો. રાજાનો મૃતદેહ ૨ જૂનના રોજ મળ્યો. હવે તેનો મૃતદેહ જે જગ્યાએથી મળ્યો હતો તે જગ્યા અને તે લોકો જ્યાં જોવા મળ્યા હતા તે જગ્યા જુદી જુદી હતી. આ ઉપરાંત તેમણે જે એક્ટિવા ભાડે રાખ્યું હતું તે રાજાના મૃતદેહથી ૨૫ કિ.મી. દૂર મળ્યું હતું. આ ઉપરાંત રાજાના શબ પાસેથી તેની હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી, પણ સોનમની કોઈ વસ્તુ ન મળી. રાજાની વિંટી, ચેઈન અને પર્સ નહોતા પણ સ્માર્ટ વોચ હાથમાં જ હતી. સોનમની કોઈપણ વસ્તુ ૨૫ કિ.મીના વિસ્તારમાં ક્યાંય નહોતી તેથી પોલીસને સમજાયું કે સોનમ જીવતી છે. પોલીસે જ્યારે સોનમની કોલ ડિટેલ્સ કઢાવી ત્યારે સમજાયું કે, સોનમ રાજ નામના યુવકના પ્રેમમાં છે. તેના સાથે જોડાયેલા કેટલાક લોકો સોનમની આસપાસ મેઘાલયમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય અન્ય એક મોટી બાબત એવી હતી કે, સોનમે હનીમૂન ઉપર જવા માટે ફ્લાઈટની ટિકિટ્સ કરાવી હતી. તેણે મેઘાલય જવાની ટિકિટ કરાવી હતી પણ પાછા આવવાની કોઈ ટિકિટ કરાવી નહોતી. આ બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી તો વાત બિલકુલ સાચી નીકળી અને પોલીસની શંકા વધુ ગાઢ થતી ગઈ. આ દરમિયાન પોલીસે સોનમના ચારેય સાથીઓને મધ્ય પ્રદેશથી ઝડપી પાડયા એટલે મોટાભાગનો ભાંડો ફૂટી ગયો. આ ઉપરાંત હત્યા દિવસે એક ટૂરિસ્ટ ગાઈડે આ પાંચેયને પહાડ ઉપર જતા જોયા હતા. ગાઈડે કહ્યું કે, હત્યાના આગલા દિવસે સોનમ અને રાજાએ તેને સાથે આવવા કહ્યું હતું પણ તેને હિન્દી આવડતું ન હોવાથી તેણે ના પાડી હતી. તેથી ૨૩મીએ અન્ય ગાઈડની મદદ લઈને આ બંને ઉપર ગયા હતા. તેમન સાથે પેલા ત્રણ છોકરાઓ પણ ગયા હતા. 

તેઓ રાજા સાથે વાતો કરતા હતા અને સોનમ થોડે પાછળ ચાલતી હતી. અન્ય મોટી બાબત એ હતી કે, સોનમ પોતાની સાથે ૯ લાખ રૂપિયા રોકડ અને લગ્નમાં મળેલા દાગીના લઈને ગઈ હતી. તે શિલોંગથી વારાણસી અને ત્યાંથી ગોરખપુર થઈને નેપાળ જવાની ફિરાકમાં હતી. આ દરમિયાન ખર્ચ કરવા માટે રોકડ અને દાગીના સાથે રાખ્યા હતા. આ તમામ કડીઓ જોડાતા આખરે ગાઝીપુરથી સોનમને ઝડપી પાડવામાં આવી.


Tags :