Get The App

બેન્કો અને રીઝર્વ બેન્ક ધારે તો સાયબર ફ્રોડ અટકાવી શકે !!

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
બેન્કો અને રીઝર્વ બેન્ક ધારે તો સાયબર ફ્રોડ અટકાવી શકે !! 1 - image


- બેન્કોના ખાતા ણરૂભ વગર શક્યજ નથી તો ગુનેગારોના ખાતા કઇ રીતે ખુલે છે : બેન્કોના મેનેજરને જવાબદાર ઠેરવો તો ગુના આપોઆપ બંધ થઇ જશે

- બે દાયકામાં ગ્રાહકોએ માત્ર કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડમાં રૂ.૩,૨૧૨ કરોડ ગુમાવ્યા છે. યુનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ જે દૈનિક નાણાકીય વ્યવવહારમાં સૌથી વધુ વપરાય છે, આ ઉપરાંત, મોબાઈલ બેન્કિંગ થતા વ્યવહારોનો આ આંકડામાં સમાવેશ નથી. ડિજિટલ વ્યવહારોમાં વિસ્ફોટક વૃદ્ધિ વચ્ચે ક્રિમીનલ ગરીબોન ટાર્ગેટ કરી તેમના નામે ખાતા ખોલી પ્રાથમિક વ્યવહાર કરે છે. આ પ્રથમ વ્યવહાર બાદ તે ચેઈન ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં નાણા લાવે છે અને છૂટા ફરી રહ્યા છે. સમગ્ર સિસ્ટમમાં બેંકો, બેંકના કર્મચારીઓ જવાબદાર હોવા છતાં તેમન ઉપર કાર્યવાહી થતી નથી. હકીકતે, પ્રાથમિક જાવાબદરી બેંકની ગણી કાયદેસર કાર્યવાહી થાય તો સાયબર ફ્રોડનો ધીકતો ધંધો બંધ થઇ જશે.

સરહદથી વિભાજીત વિશ્વને ટેકનોલોજીએ એક કરી દીધું છે. ટેકનોલોજી, ઇન્ટરનેટ અને મોબાઈલ ટેલીફોન નેટવર્કની સાથે આર્ટીફિસિયલ ઈન્ટેલીજન્સે એક નવી પેરેલેલ ગ્લોબલ વસાહત બનાવી છે. આ નવી વસાહતમાં દુનિયા ડિજિટલ ફૂટપ્રિન્ટથી ફીઝીકલ વિશ્વ સાથે સંપર્ક કરી રહી છે. માણસ કોની સાથે વાત કરે, છે, ગાડી કે સ્કૂટર લઇ ક્યાં ફર્યો, કઈ ઓફીસમાં ગયો, કઈ ચીજની ખરીદી કરી, કેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા, કેટલું પેમેન્ટ કર્યું દરેક ડિજિટલ વ્યવહારની નોંધ સમાંતર વસાહત લઇ રહી છે અને આ નોંધના આધારે તે માર્કેટિંગ કરે છે, તમને નવી ચીજ ખરીદવા કે નવી દવા, નવી સ્કીલ શીખવા કે અન્ય રીતે પ્રોમ્પ્ટ આપ્યા કરે છે. ડિજિટલ ફૂટ પ્રિન્ટ જેટલી સરળતા ઉભી કરી રહ્યું છે તેનાધી વધારે જોખમ પણ અને તેનાથી જન્મ થાય છે સાયબર ફ્રોડ - ઓનલાઈન બેન્કિંગ, ઊંચા વળતરે નાણા રોકાવી ઉચાપત કરવી, મોબાઈલ હેક કરી ડેટા એકત્ર કરવો અને તમારા બેંકના ખાતા ખાલી કરાવી નાખવા, તમને ધમકાવી - ડરાવી કે ડિજિટલ એરેસ્ટ કરી રેનસમ એકત્ર કરવું! આ ઘટના હવે માનવીના જીવનમાં રોજીંદી વણાઈ ગઈ છે અને સતત વધી પણ રહી છે.

માનવજાતની દરેક શોધ જેટલી સવલત લાવે છે તેની સામે એટલા મોટા પડકાર પણ ઉભા કરે છે. જોકે, ડિજિટલ ફ્રોડમાં સ્વરૂપ કે મોડેસ ઓપરેન્ડી ડિજિટલ હોય છે તે આચરનાર તો માનવી જ હોય છે. જેને પકડવો સહેલો છે, સરળ છે. જરૂર માત્ર નવા ક્રાઈમને નવા સ્વરૂપે અટકાવવા માટેની નીતિ ઘડવાનો છે. બેંક સાથે જોડાયેલા સાયબર ફ્રોડના કિસ્સા રોકવાની પ્રાથમિક જવાબદારી બેંકની છે. રિઝર્વ બેંક પોતે આ વાતને લેખિતમાં સ્વીકારે છે. એનો સીધો મલતબ થયો કે બેન્કિંગ સિસ્ટમની ઉણપ કે બેંકના કર્મચારીની મિલીભગત વગર સાયબર ફ્રોડ શક્ય જ નથી.

ડિજિટલ વ્યવહારને સરકાર પ્રોત્સાહન આપી રહી છે. વધુને વધુ લોકો રોકડ, ચેકના બદલે ડિજિટલ વ્યવહાર કરે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અને વધતા ડિજિટલ વ્યાપ સાથે ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર કાર્ડ અને ઇન્ટરનેટ થકી ઓનલાઈન ફ્રોડની સંખ્યા ૨૦૦૪-૦૫માં માત્ર ૨૬ હતી અને તેમાં રૂ.૩ કરોડનું ગ્રાહકોને નુકસાન થયેલું. ૨૦૨૪-૨૫ (સપ્ટેમ્બર સુધીમાં) આવા ૩૫૩૧ કિસ્સામાં ગ્રાહકોએ રૂ.૧૯,૭૪૮ કરોડ નાહી નાખ્યા હતા. સૌથી મહત્વનું છે આ આંકડા રૂપિયા એક લાખ કરતા વધારાના ફ્રોડના જ છે, નાના વ્યવહારો અંગે સરકાર, રિઝર્વ બેંક કોઈ માહિતી જાહેર કરતી નથી.

બેન્કિંગ વયવહારમાં ક્રિમીનલનો મુખ્ય ઉદ્દેશ ખાતામાંથી પૈસા પડાવી લેવાનો - ઓનલાઈન ટ્રાન્સફર કરાવી, લાલચ આપી, ભળતા ખાતામાં જમા કરાવી કે ડરાવી ધમકાવી - હોય છે. એટલે કે ભોગ બનનાર વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ અન્ય ખાતામાં જમા થવાના છે. આજના ડિજિટલ યુગમાં બેન્કિંગ વ્યવહાર વ્યવહાર પલક ઝપકતા થાય છે એ વાત ખરી પણ પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં કે એક બેંકના ખાતામાંથી બીજા બેંકના ખાતામાં જમા થાય છે. સાયબર ક્રિમીનલ પોતે પકડાય નહીં એટલે ભળતા નામે અથવા તો એક કરતા વધારે બેન્કિંગ ટ્રાન્સફર કરાવી આ પૈસા ગૂપચાવે છે પણ અંતે તો બેંકની સિસ્ટમનો ઉપયોગ જ થાય છે. દરેક નાણા વ્યવહારની એક ડિજિટલ નોંધ હોય છે અને દરેક ખાતા ખોલાવનારના આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) ફરજીયાત છે. આ સ્થિતિમાં દરેક ખાતા કોના છે તેની ઓળખ બહુ સરળ છે અને તેની વ્યવસ્થા બેન્કિંગ સિસ્ટમમાં છે જ.

આધાર કાર્ડ અને પાન કાર્ડ વગર બેંકમાં ખાતા ખોલવા અશક્ય છે. દરેક બેંક ખાતામાં સમયાંતરે કેવાયસી અપડેટ કરવા ફરજીયાત છે અને તે અપડેટ ન હોય તો બેન્કિંગ વ્યવહાર ફ્રિઝ કરી દેવામાં આવે છે. નિયો બેન્કિંગ - એટલે કે સંપૂર્ણ રીતે ડિજિટલ બેન્કિંગ - ખાતું ખોલવું, વ્યવહાર કરવા માટે બ્રાંચ ગયા વગર કામગીરી થઇ શકે - માટે ઓનલાઈન વેરિફિકેશનથી કેવાયસી થાય છે. આધાર અને પાન કાર્ડ સાથે મોબાઈલ લિંક હોય છે અને તેના ઉપર વન ટાઈમ પાસવર્ડ આવ્યા વગર કેવાયસી કે વ્યવહાર શક્ય નથી. આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં બેન્કિંગ ફ્રોડ અટકાવી શકાતા નથી, ગુનેગારો છૂટા ફરે છે.

કારણ બહુ સરળ છે. બેન્કિંગ કર્મચારીઓ સાયબર ફ્રોડની સંભવિત સમસ્યાથી ગ્રાહકને થતી નુકસાની અંગે સંવેદનશીલ નથી. બેંકના કર્મચારીઓ સજાગ નથી અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. એવી જ રીતે સાયબર ક્રિમીનલને પકડવા માટેની સિસ્ટમ કેટલાક કિસ્સાઓમાં પોલીસ પોતે ગ્રાહકને મદદ કરવાના બદલે ગ્રાહકને લૂંટવા મેદાનમાં ઉતરે છે. ગ્રાહકના ખાતા ફ્રિઝ થયા હોય તો તેમાં ફરી વ્યવહાર થઇ શકે એવી બેંકને જાણ કરવા માટે પૈસા પડાવે છે. ક્યારેક ગ્રાહકની ફરિયાદ પરત્વે સમયસર ધ્યાન નથી આપવામાં આવતું, તપાસમાં ઢીલ કરવામાં આવે છે.

ડિજિટલ વ્યવહારો શક્ય બન્યા એ પહેલા, આધાર અને પાન કાર્ડ અસ્તિત્વમાં ન હતા એ પહેલા બેંકમાં ખાતું ખોલાવવા માટે ઓળખાણ અને જામીનદરની સહી અનિવાર્ય હતી. આ પછી રૂબરૂ બેંકમાં જઇ ખાતા ખૂલતા. અત્યારે ડિજિટલ વ્યવહારનો મુખ્ય પાયો આધાર અને પાનકાર્ડ છે. આ બન્ને સરકારી દસ્તાવેજ છે અને તે માત્ર રૂબરૂ મુલાકાતના આધારે જ ઇસ્યુ થાય છે. એટલે પાન કાર્ડ અને આધારના દસ્તાવેજ આપ્યા પછી વ્યક્તિનું અસ્તિત્વ હોય જ છે, એના માટે ઓળખાણ કે જમીનની જરૂર નથી. જેવું ખાતું ખૂલે અને તેમાં નાણાના વ્યવહાર થાય એટલે સમગ્ર નાણકીય સિસ્ટમને એલર્ટ મળે છે. ઇન્કમ ટેક્સ, જીએસટી સહિત બધા વ્યવહાર ઉપર નજર રાખતા હોય છે. વારંવાર વ્યવહાર થવા, ગ્રાહકની આવક અને ક્ષમતા કરતા વધારે માત્રામાં અને ઊંચી રકમના વ્યવહાર થાય તો બેંકની સિસ્ટમ પણ તેને રિસ્ક મેનેજમેન્ટમાં એલર્ટ આપે છે, ફ્લેગ કરે છે અને જરૂર પડયે ગ્રાહક સાથે સીધી વાત કરવામાં આવે છે. એટલે સાયબર ફ્રોડ ભળતા નામે, કોઈના દસ્તાવેજના આધારે ખાતા ખોલાવે તો પણ તે રોકી શકાય છે. બીજું, ક્રિમીનલ માત્ર નાણાકીય વ્યવહારની લાંબી ચેઈન બનાવી એક ખાતામાંથી બીજા ખાતામાં, એક બેંકથી બીજી બેંકમાં વ્યવહારો કરવા માટે આવા ભળતા ખાતાનો ઉપયોગ કરે છે એટલે અંતિમ વ્યવહાર ક્યાં થયો એ પણ બેંકની નજરમાં આવ્યા વગર રહે જ નહીં. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

નિયમ, ઓનલાઈન ફરિયાદ નોંધણી માટે હેલ્પલાઈન અને જુદા-જુદા સર્ક્યુલર બહાર પાડી સિસ્ટમ ચુસ્ત બનાવવા માટે સરકાર પંકાયેલી છે પણ જે જવાબદાર છે તેની સામે કોઈ પગલાં લેવાતા નથી. ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલું ખાતું ભલે ફ્રિઝ થાય પણ તે ખોલવા માટે જવાબદાર બેન્કિંગ કર્મચારી સામે ફરિયાદ થાય, તેના ઉપર જવાબદારી નક્કી થાય તો કોઈના નામે કીટ લઇ ખાતા ખોલાવતી ગેંગ આપોઆપ કામ કરતી બંધ થઇ જશે, એની સાથે જોડાયેલા કર્મચારીઓ સતર્ક બની કામ કરશે. જોકે, નિયમ બનાવવામાં પાવરધા લોકો અમલમાં દરવાજા રાખે તો છટકબારી રહે, છેતરપિંડીનો આ ચૂલો ચાલુ રહે અને મલાઈ મળતી રહે.

- સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર સાયબર ફ્રોડની જવાબદારી બેન્કની

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. માહાદેવનની બેન્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે એક ગ્રાહકના કેસમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર પરવાનગી વગર ઓનલાઈન નાણાવ્યવહારની ખરાઈની જવાબદારી બેંકો ગ્રાહક ઉપર છોડી શકે નહીં. ફ્રોડ વ્યવહારો માટે જરૂરી ટેકનોલોજી, વ્યવસ્થા કે તેની ઓળખની દરેક જવાબદારી માત્ર બેંકની છે અને તેની ઉણપથી ગ્રાહકને થતું નુકસાન અટકાવી બેંકોએ આવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ ચુકાદામાં ફ્રોડ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકને શ્રેણીબદ્ધ પગલાં લેવાની પણ ભલામણ કરી હતી. 

બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ સ્વીકારે છે કે ફ્રોડ અટકાવવાની જવાબદારી પ્રાથમિક રીતે બેંકોની પોતાની છે. પરંતુ રીઝર્વ બેન્ક પણ ફ્રોડ અટકાવવામાં ગંભીર નથી. આ પ્રકારના ફ્રોડ થાય તો બેન્કનું લાયસન્સ બંધ કરાય તો તાત્કાલીક ફ્રોડ બંધ થઇ શકે પરંતુ નાણાંખાતા કે રીઝર્વ બેન્કને નૈતીકતાની વાતો કરવામાં રસ છે. ઉપદેશાત્મક પરિપત્રો કાઢવામાં રસ છે. કાયમી રીતે સાયબર ક્રાઇમ બંધ થાય તેમા રસ જ નથી !સમયાંતરે બેન્કોએ પોતાની સિસ્ટમ, ટેકનોલોજી અને વ્વ્યસ્થા થકી ફ્રોડ અટકાવવા માટે અપગ્રેડ થવું જોઈએ.

- મોબાઈલ નહીં, બેન્ક કર્મચારીને જવાબદાર ઠેરવો

કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક અને ટેલીકોમ કંપનીઓ બેન્કિંગ ફ્રોડ માટે મોબાઈલ નંબર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બેન્કિંગ અને સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા ૭૦ લાખ જેટલા મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવ્યા હોવાનું બેન્કિંગ સેક્રેટરીએ જાન્યુઆરીમાં એક બેન્કિંગ સાયબર સિક્યુરિટીની બેઠકમાં જણાવેલું. બેંકો માને છે કે વન ટાઈમ પાસવર્ડ, આધાર અને પાન માટે મોબાઈલ મુખ્ય હથિયાર હોવાથી તે બંધ કરી દેવામાં આવશે તો સાયબર ફ્રોડ ઘટશે. હકીકતે મોબાઈલ સીમ મેળવવું સહેલું છે અને ફ્રોડ કરનાર એક નહીં તો બીજો ફોન નંબર મેળવી લેશે. આ સ્થિતિમાં બેંકમાં જેની પાસે ખાતું ખોલવાની પરવાનગી છે, બેન્કિંગ નાણા વ્યવહાર જોઈ શકે, સતત અને વારંવાર નાણા ટ્રાન્સફર ઉપર નજર રાખી શકે તે બેંક કર્મચારી કે સિસ્ટમ છે અને તેની જવાબદારી નક્કી ન થાય, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગ્રાહકો સાયબર ફ્રોડનો ભોગ બનતા જ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Tags :