ત્રાસવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનને સજાના બદલે શિરપાવ
- કેવી વિચિત્રતા! દૈત્યના જન્મદાતા, પોષક અને વિસ્તાર કરનારને તેની સામે લડાઈમાં મહત્વની ભૂમિકા મળી
- વૈશ્વિક ત્રાસવાદની લડાઈમાં સૌથી વધુ ખતરરૂપ ભૂમિકા ભજવનાર પાકિસ્તાનને ત્રાસવાદ સામેની લડાઈ માટે યુનોની સિક્યોરિટી કાઉન્સિલની બે મહત્વની સમિતિમાં ચાવીરૂપ ભૂમિકા મળી છે. ઇસ્લામાબાદ આઈએસઆઈ અને ત્રાસવાદની ત્રિપુટી અંગે બે મહિનામાં ભારત, વિશ્વને વધારે પુરાવા અને પરચા મળ્યા એ સમયે જ કાઉન્સિલના અસ્થાયી સદસ્ય તરીકે રોટેશન આધારિત આ ભૂમિકા મળી છે. બીજા વિશ્વયુદ્ધ સમયે વિશ્વને એક તાંતણે બાંધવા રચાયેલા યુનોના ખાડે ગયેલા સાત દાયકા જૂના નિયમો અને વિચારધારામાં કેવા ધરખમ ફેરફાર કરવાની જરૂર છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જોકે, ભારતે પાકિસ્તાનને મળેલા શિરપાવથી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
વિશ્વમાં ત્રાસવાદના જન્મદાતા, પોષક અને વિસ્તાર કરનાર પાકિસ્તાનને સજાના બદલે શિરપાવ મળ્યો છે.
એપ્રિલ મહિનામાં કાશ્મીરી ટુરિસ્ટ સેન્ટર પહેલગામમાં નૃશંસ ત્રાસવાદી હુમલા પછી, ભારતે દુનિયાને નજર પડે એ રીતે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી કેમ્પ ઉપર હુમલો કર્યાના ગણતરીના દિવસોમાં જ એવી જવાબદારી સોંપવામાં આવી છે કે જેની વ્યાપક અસર થઇ શકે. યુનોની સિક્યોરિટી કાઉન્સિલ હેઠળ કાર્યરત કાઉન્ટર ટેરરિઝમ કમિટીના ઉપાધ્યક્ષ અને તાલિબાન સેન્કશન કમિટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી પાકિસ્તાનને મળી છે!
ભારતે યુનોમાં અને વિશ્વના દરેક દેશોમાં અનેક વખત એવા પુરાવા આપ્યા છે કે વિશ્વના સૌથી ખતરનાક અને વોન્ટેડ ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાન આશ્રય આપી રહ્યું છે છતાં આ જવાબદારી મળી છે તે આઘાતજનક કહેવાય.
પાકિસ્તાન ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનો માટે સ્વર્ગ છે. ઓસામા બિન લાદેને અમેરિકા ઉપર સપ્ટેમ્બર ૨૦૦૧ના ટ્વીન ટાવર અને પેન્ટાગોન ઉપરના હુમલા પછી વર્ષો સુધી પાકિસ્તાનમાં આશરો લીધો હતો. અમેરિકન નેવી સીલ્સના એક ઓપરેશનમાં લાદેનને પાકિસ્તાનના અબોટાબાદ શહેરમાં મે ૨૦૧૧માં ફૂંકી મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોના અહીં મુખ્ય કેન્દ્ર છે.
પાકિસ્તાનની સરકાર અને નાગરીકો આ સંગઠનોને નાણા આપે છે, સેના અને ગુપ્તચર સેવાઓ મદદ પૂરી પાડે છે. આ સંગઠન ભારત સામે અને સમગ્ર દક્ષિણ એશિયામાં ત્રાસવાદી હુમલાનું આયોજન અને અંજામ આપવામાં કાર્યરત છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં કારગીલ યુદ્ધ થયું હતું. આ સમયે પણ પાકિસ્તાની સેનાએ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસણખોરીમાં મદદ કરવા માટે મદદ કરેલી.
ત્રાસવાદીઓનો ઢાલ તરીકે ઉપયોગ થયેલો અને ભારતના કેટલાક ભાગ ઉપર કબજો જમાવવા સેનાએ મદદ કરી હતી. તાજેતરમાં ઓપરેશન સિંદુર સમયે ભારતના હુમલામાં માર્યા ગયેલા ત્રાસવાદીઓ અને મસૂદ અઝહરના કુટુંબીજનોની અંતિમક્રિયામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર રહેલા હતા એટલે પાકિસ્તાન માટે ત્રાસવાદીઓ એક હથિયાર છે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર ભારત નહીં પણ અફઘાનિસ્તાન અને ઈરાને પણ ત્રાસવાદીઓને મદદગારી માટે પાકિસ્તાન સામે દુનિયાભરમાં અવાજ ઉઠાવેલો છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ - એટલે કે ટેરર ફંડિંગ સામે કાર્યરત વૈશ્વિક સંગઠને - પાકિસ્તાન સામે પગલાં લીધા છે, પાકિસ્તાનને ખાસ યાદીમાં મુક્યું હોવા છતાં સેના અને ત્રાસવાદની આ જુગલ જોડી કાર્યરત છે.
પાકિસ્તાનમાં ચાર પ્રકારના ત્રાસવાદી સંગઠન કાર્યરત છે. ત્રાસવાદી પ્રવૃત્તિઓના લક્ષ્યાંકના આધારે વૈશ્વિક, અફઘાનિસ્તાન કેન્દ્રિત, ભારત કેન્દ્રિત અને સ્થાનિક લોકો અને શિયા મુસ્લિમ સમાજ સામે આ શ્રેણી વિભાજીત છે. પાકિસ્તાન સરકારના નાણા મંત્રાલયનો એક ગુપ્ત અહેવાલ ૨૦૧૯માં બે સ્થાનિક પત્રકારોએ મેળવી તેની વિગતો જાહેર કરી હતી. આ અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં કાર્યરત ૨૦૦ જેટલા ત્રાસવાદી સંગઠનોને વર્ષે અબજો રૂપિયાની આવક છે. ત્રાસવાદી સંગઠનનું કદ, તેની પ્રવૃત્તિ અને સભ્ય સંખ્યા અનુસાર વાર્ષિક ૫૦ લાખથી અઢી કરોડ જેટલું તેમનું વાર્ષિક ખર્ચ હોય છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સવસ ઈન્ટેલીજન્સ (આઈએસઆઈ) વશે એકથી દોઢ કરોડ કરોડ ડોલરની સહાય ત્રાસવાદીઓને રોકડ, પગાર, ઓપરેશન માટે જરૂરી સામાન અને ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે આપે છે. માત્ર ભારત કેન્દ્રિત હુમલામાં પાકિસ્તાન સૌથી વધુ પ્રવૃત્ત છે.
છેલ્લા ૨૫ વર્ષમાં કાશ્મીરમાં ૨૫૦૦ જેટલા વિસ્ફોટો આ સંગઠનોએ કરાવ્યા છે, ત્રાસવાદી હુમલામાં એકલા જમ્મુ-કાશ્મીરમાં ૧૨,૦૦૦ જેટલા હિંસક હુમલામાં ભારતીય નાગરીકો અને સૈનિકો સહિત ૨૨,૪૦૦ લોકો શહીદ થયા હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ કન્ફલીકટ મેનેજમેન્ટના આંકડા જણાવે છે.
અમેરિકાએ વર્ષો સુધી પાકિસ્તાનને લશ્કરી, નાણાકીય અને અન્ય સહાય આપી. ૯/૧૧ના ત્રાસવાદી હુમલા પછી આ સહાયમાં અનેકગણો વધારો થયો પણ અમેરિકા હવે પાકિસ્તાનની દૂર થઇ રહ્યું છે.
નાણાકીય અને લશ્કરી સહાય બંધ થઇ ગઈ છે અથવા તો નહિવત છે. અમેરિકાને એક વાતનું જ્ઞાાન લાધ્યું ગયું કે આ સહાયનો ઉપયોગ પાકિસ્તાન અને તેની સરકાર ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં કરી રહ્યું છે વર્ષ ૨૦૧૮માં લશ્કરી સહાય બંધ કરવામાં આવી અને નાગરિક સહાય ઘટાડી દેવામાં આવી.
આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તાજેતરમાં નાગરિક સહાય ઉપર પણ કાપ જાહેર કરેલો છે. જોકે, પાકિસ્તાનના આચાર અને વિચારમાં કોઈ ફર્ક પડયો નથી.
મે મહિનામાં પાકિસ્તાનને વર્તમાન અને પૂર્વ મંત્રીઓએ પણ સ્વીકારેલું છે કે ઇસલાબાદ અને ત્રાસવાદ વચ્ચે સંબંધો રહેલા છે. બ્રિટીશ ન્યૂઝ ચેનલને એક ઈન્ટરવ્યુમાં વર્તમાન ડિફેન્સ મીનીસ્ટર ખ્વાજા મુહમ્મદ આસિફે સ્વીકાર્યું હતું કે ત્રણ દાયકાથી પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનોને નાણાકીય અને અન્ય રીતે ટેકો આપતું આવ્યું છે. આ વાતનો સ્વીકાર કરતા પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સ્કાય ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે ત્રાસવાદ સાથેના જોડાણ અંગેના ભૂતકાળની વાત બિલકુલ ગુપ્ત નથી. એ હકીકત છે કે પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનોને મદદ કરી છે એમ ભુટ્ટોએ સ્વીકાર્યું હતું.
આ સ્થિતિમાં વિશ્વ માટે મહત્વના એવા ત્રાસવાદી પ્રવૃત્તિઓ રોકવા માટેની બે સમિતિમાં પાકિસ્તાનને ચાવીરૂપ ભૂમિકા મળે એ ચિંતાજનક કહેવાય.
સૌથી મહત્વની વાત છે કે યુનોની કામગીરી સામે પણ સવાલ ઉભા કરે છે.
યુનોની સીક્યુરિટી કાઉન્સિલમાં સ્થાયી અને અસ્થાયી સભ્યો છે. પાંચ સ્થાયી (અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ અને યુનાઈટેડ કિંગડમ) સિવાય ૧૦ અસ્થાયી સભ્યો હોય છે. આ અસ્થાયી સભ્યો સામાન્ય સભામાં ચૂંટવામાં આવે છે અને તેમની મુદ્દત બે વર્ષની હોય છે. અત્યારે પાકિસ્તાન અસ્થાયી સભ્ય છે અને તેના કારણે આ કમિટીમાં તેને સ્થાન મળ્યું છે. આ કમિટીમાં અધ્યક્ષ અને અન્ય હોદ્દા માટે રોટેશન (ક્રમાનુસાર) નિમણુક કરવામાં આવે છે એટલે આ વખતે પાકિસ્તાનનો વારો આવ્યો છે એવી દલીલ થઇ રહી છે.
જોકે, ભારત અને બ્રાઝીલ છેલ્લા દોઢ દાયકાથી યુનો અને તેની સિક્યોરિટી કાઉન્સિલના દાયકા જૂના નિયમોમાં બદલાવની માંગ કરી રહ્યા છે. આ કાઉન્સિલમાં ભારત કાયમી સભ્ય બનવાની માંગ કરી રહ્યું છે અને પાંચ સ્થાયી સભ્યોને મળતા વીટોના નિયમોમાં પણ બદલાવ ઈચ્છે છે. જોકે, હજી ભારતને સફળતા નથી મળી.
યુનો માટે પણ ત્રાસવાદ અને તેના સામેની લડાઈ એક પડકાર છે. છ દાયકામાં ત્રાસવાદની એક વૈશ્વિક વ્યાખ્યા નક્કી થઇ શકી નથી.
બીજું, સભ્ય દેશોની વિચારધારા અને સ્થાનિક મજબૂરી અને રાજકીય દબાણવશ લડાઈ માટે દર વખતે વિવાદ થતા આવ્યા છે.
વિચારધારા અને દરેક દેશની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક પ્રજાના દબાણને વશ લડાઈમાં કોઈ સર્વસહમતિ સ્થપાઈ નથી.
આ સ્થિતિમાં ત્રાસવાદ એક વૈશ્વિક દૈત્ય છે અને તેને નાથવો જોઈએ, માનવજાતના કલ્યાણ, શાંતિ માટે તેની સામે લડત ચાલુ રાખવામાં આવી રહી છે પણ તે પોકળ છે, પોલી છે એટલે જ ત્રાસવાદના જન્મદાતાને જ તેના લડાઈ સામેની જવાબદારી નિભાવવા ચાવીરૂપ ભૂમિકા મળી શકે, આ એક વક્રોક્તિ જ કહેવાય!
પાકિસ્તાનને મળેલા પદથી કેટલી ચિંતા કરવી જોઈએ
પાકિસ્તાન વિશ્વમાં ત્રાસવાદનું મુખ્ય કેન્દ્ર છે અને ભૂતકાળ પુરાવા સહિત દર્શાવે છે કે ત્રાસવાદી પ્રવૃત્તિઓ રોકવા માટે મળેલા નાણાનો ઉપયોગ પ્રોત્સાહન માટે કરવામાં આવ્યો છે. પહલગામ હુમલા પછી ભારતે વિશ્વના દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલી પાકિસ્તાનની ત્રાસવાદમાં ભૂમિકા ખુલી પાડવા માટે અભિયાન ચલાવ્યું છે. આ પગલાંની નકલ કરી બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભારત વિરોધી ઝેર ઓકવા માટે અમેરિકા અને અન્ય દેશોમાં ફરી રહ્યા છે. ભુટ્ટોએ યુનોની મુલાકાત લઇ ભારત અને કાશ્મીરના રાગ આલાપ્યા છે. ભારતે પાકિસ્તાનને ત્રાસવાદ વિરોધી સમિતિમાં મળેલી મહત્વની ભૂમિકા અંગે ચિંતા કરવાની જરૂર નથી પણ સાવચેત તો રહેવું જ પડશે. વૈશ્વિક સ્તરે આર્થિક, રાજકીય અને રાજદ્વારી રીતે ભારત વધારે શક્તિશાળી છે. યુનોના સ્થાયી સભ્યો અમેરિકા, રશિયા, ફ્રાંસ અને યુનાઈટેડ કિંગડમ ભારતના મિત્રો રાષ્ટ્રો છે. એટલે પાકિસ્તાન ત્રાસવાદી સમિતિ થકી ભારત સામે કોઈ નુક્તેચીની, ટીખળ કરે તો સાવચેત જ રહેવાનું છે. બીજું, સમિતિનું સભ્યપદ એક જ વર્ષ માટે છે અને એ પણ રોટેશન ઉપર મળેલું છે. ત્રીજું, આ સમિતિ અન્ય સભ્યોની સહાય, મત અને વિચારના આધારે જ કાર્યવાહી કરી શકે માત્ર અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે કોઈ ચોક્કસ ઠરાવ કરવાની તેમની પાસે સત્તા નથી.