નેપાળમાં 17 વર્ષે રાજાશાહી પાછી લાવવાનું ભૂત ફરીથી ધૂણ્યું
- નેપાળમાં 2008માં જ 240 વર્ષ બાદ રાજાશાહીનો અંત લાવીને લોકશાહી સરકાર લાવવામાં આવી હતી
- માઓવાદી વિદ્રોહો અટકાવવા માટે રાજાશાહીને જાકારો આપીને લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી : નેપાળમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, આર્થિક મુશ્કેલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાના જે મોટા મુદ્દા છે તે પ્રજાને ખૂબ જ કનડી રહ્યા છે : 2008માં રાજાશાહીનો અંત લાવવાની સાથે સાથે નેપાળને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરાયું હતું, લોકોને લાગે છે કે, આવું કરવાના કારણે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ નષ્ટ થઈ રહી છે
નેપાળમાં રાજાશાહી પાછી લાવવા માટે છેલ્લાં એક મહિનાથી શરૂ થયેલું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. નેપાળમાં વર્ષ 2008માં રાજાશાહીનો સંપૂર્ણ અંત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં લોકશાહી સરકારોની રચના કરવામાં આવતી હતી.
નેપાળની સ્થિતિ જોઈએ તો ખ્યાલ આવશે કે તેમાં લોકશાહી સરકારો ખાસ સફળ રહી નથી. તેમાં અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા છે. તેના કારણે ૧૭ વર્ષે ફરી એક વખત નેપાળમાં રાજાશાહી પાછી લાવવા માટે એક જૂથ સક્રિય થયું છે. વાત એવી છે કે, નેપાળમાં ચાલી આવતી રાજાશાહીની પરંપરા ૨૪૦ વર્ષ બાદ ૨૦૦૮માં બંધ કરવામાં આવી હતી. ખાસ કરીને માઓવાદી વિદ્રોહો અટકાવવા માટે રાજાશાહીને જાકારો આપીને લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી.
હવે એકાએક લોકોની માનસિકતા અને ડિમાન્ડ બદલાઈ રહ્યા છે. લોકો રાજાશાહી પાછી લાવવા માટે આંદોલનના માર્ગે ચડયા છે. જેમાં સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. કાઠમાંડુ અને અન્ય શહેરોમાં હજારો લોકો રેલીઓ કાઢીને રાજાશાહી પાછી લાવવાની માગણી કરી રહ્યા છે. તેમાં યુવાનો, ખેડૂતો, મધ્યમવર્ગના લોકો મોટાપાયે ભાગ લઈ રહ્યા છે. તેઓ માને છે કે, હાલમાં દેશની જે સામાજિક, રાજકીય અને આર્થિક સમસ્યાઓ છે તેનો ઉકેલ રાજાશાહી દ્વારા જ આવી શકે તેમ છે.
સ્વાભાવિક સવાલ થાય કે, લોકશાહી લાવવા માટે એક સમયે તત્પર થયેલી નેપાળની પ્રજા ફરીથી રાજાશાહી લાવવા માટે કેમ આંદોલનો કરી રહી છે. તેનું કારણ એવું છે કે, નેપાળમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, આર્થિક મુશ્કેલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાના જે મોટા મુદ્દા છે તે પ્રજાને ખૂબ જ કનડી રહ્યા છે.
લોકો એવું માને છે કે, ચૂંટેલી સરકારોમાં આંતરિક વિખવાદો એટલા બધા આવે છે કે, સરકારમાં જ સ્થિરતા આવતી નથી. પ્રજા એવું વિચારી રહી છે કે, દેશની સ્થિરતા, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઓળખ મજબૂત બનાવવા હશે તો રાજાશાહી પાછી લાવવી પડશે. જાણકારોના મતે માત્ર પ્રજા નહીં પણ અન્ય સંગઠનો અને નેતાઓ પણ સક્રિય છે જેથી રાજાશાહી પરત ફરે.
પ્રજા જે વિચારી રહી છે તેમાં જરાય મીનમેખ નથી. નેપાળમાં ૨૦૦૮માં રાજાશાહીનો અંત લાવ્યા બાદ જેટલી પણ સરકારો લાવવામાં આવી તેમાં સતત પરિવર્તન જોવા મળ્યું છે. છેલ્લાં ૧૭ વર્ષમાં નેપાળમાં ૧૧ વખત સરકારો બદલાઈ ગઈ અને સત્તા પરિવર્તન આવ્યા.
સત્તાધારી પક્ષોની આંતરિક અસ્થિરતા, મતભેદો, ગઠબંધનમાં પણ અસ્થિરતા અને નેતાઓમાં સત્તામાં આવવાની અવિચારી હોડને કારણે નેપાળમાં ક્યારેય સ્થિર સરકાર આવી જ નહીં. પાંચ વર્ષ પહેલાની જ વાત કરીએ તો ૨૦૨૦માં વડાપ્રધાન કેપી શર્મા ઓલી દ્વારા સંસદ ભંગ કરવામાં આવી હતી કારણ કે તેમની જ પાર્ટીના નેતાઓ પુષ્પ કમલ દહાલ(પ્રચંડ) અને માધવ કુમાર નેપાલ દ્વારા તેમનો જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
પ્રજાનો સ્પષ્ટ મત છે કે, લોકશાહી વ્યવસ્થામાં કોઈપણ નેતા માટે દેશ સર્વોપરી હોવો જોઈએ પણ નેપાળમાં નેતાઓ દ્વારા પોતાના હિતોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેના કારણે જ આજ સુધી સ્થિર સરકાર આવી નથી અને નેપાળનો વિકાસ થયો નથી.
લોકો હવે એવું માનવા લાગ્યા છે કે, રાજાશાહીને પરત લાવવામાં આવે તો સ્થિર નેતૃત્વ આવશે અને દેશનો વિકાસ થવાની ઉજળી તકો ઊભી થશે. બીજી તરફ પ્રજાનો મત છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં નેપાળનું અર્થતંત્ર પણ ઘણું નબળું પડી ગયું છે. દેશમાં બેરોજગારીમાં પણ મોટો વધારો થયો છે. લાખો યુવાનો રોજગારી માટે વિદેશ જઈ રહ્યા છે.
ખાસ કરીને મલેશિયા, સાઉથ કોરિયા અને મધ્ય પૂર્વના દેશોમાં પલાયન વધ્યું છે. સત્તાધારી પક્ષો દ્વારા ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે, નેતાઓ ઘર ભરી રહ્યા છે અને પ્રજા પીડાઈ રહી છે. લોકોનો વિશ્વાસ ભંગ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે, રાજાશાહી હતી ત્યાં સુધી દેશમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. શાહી શાસનમાં આર્થિક વધી છે.
નીતિઓ પણ વધુ પ્રભાવક અને વિકાસશિલ હતી. આ બધી સ્થિતિને કારણે જ પ્રજાનો અસંતોષ વધી રહ્યો છે અને તેઓ આ સમસ્યાનું કાયમી સમાધાન શોધી રહ્યા છે.
બીજી એક બાબત એવી પણ છે કે, નેપાળ દાયકાઓથી દુનિયામાં એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાણીતું હતું. ૨૦૦૮માં રાજાશાહીનો અંત લાવવાની સાથે સાથે નેપાળનો હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પણ દૂર કરાયો હતો. નેપાળને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરાયું હતું.
લોકોને લાગે છે કે, આવું કરવાના કારણે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ નષ્ટ થઈ રહી છે. લોકશાહીના નામે રાજકારણીઓ દ્વારા અન્ય ધર્મના લોકોનો મતબેન્ક તરીકે ઉપયોગ કરવાની ગંદી રાજનીતિ શરૂ કરી દેવાઈ છે. તેના કારણે હિન્દુ પરંપરા અને સંસ્કૃતિ તથા મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે.
રાજાશાહીના સમર્થકો માને છે કે, પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર શાહ અને તેમની પહેલાના રાજાઓ કટ્ટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા હતા અને તેના કારણે નેપાળ હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવતું હતું. રાજાઓના જવાથી દેશની પારંપરિક ઓળખ પણ જતી રહી અને સાંસ્કૃતિક મૂલ્યોનું પણ પતન થવા લાગ્યું છે.
આ તમામ સ્થિતિનો અર્થ એ જ આવે છે કે, નેપાળના લોકોની આશાઓ લોકશાહી દ્વારા પૂરી થઈ નથી. તત્કાલિન રાજા જ્ઞાાનેન્દ્રના નિરંકુશ શાસનને અટકાવવા ૨૦૦૬માં પ્રજાએ આંદોલન કર્યું અને ૨૦૦૮માં લોકશાહીની સ્થાપના કરી. સ્થિતિ એવી આવી કે, આ લોકશાહી સરકારો દ્વારા વિકાસ, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ અને અન્ય ક્ષેત્રોમાં ધાર્યું કામ કરવામાં આવ્યું નહીં. લોકશાહી લાગુ તો થઈ પણ નેતાઓ માટે માત્ર સત્તાનો ખેલ બની ગઈ. નેતાઓ દ્વારા દેશને હાંસિયામાં ધકેલીને માત્ર પોતાની સત્તાને પ્રાથમિકતા અપાવા લાગી. દેશમાં લોકશાહી લાગુ થવાથી જનતાને નહીં પણ નેતાઓને જ ફાયદો થયો છે. પ્રજાને ફાયદો થાય તે માટે રાજાશાહીની ડિમાન્ડ
નેપાળમાં રાજકીય પરિવર્તનની જ્વાળા એટલે પણ વધારે ભડકી છે કે, પૂર્વ રાજા જ્ઞાાનન્દ્ર શાહ ફરીથી લોકોની વચ્ચે દેખાવા લાગ્યા છે. તેઓ છેલ્લાં કેટલાક મહિનાઓથી જે રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રજાની રેલીઓમાં દેખા દઈ રહ્યા છે તે જણાવે છે કે, તેમની હાજરીએ પ્રજાની રાજાશાહીની માગણીને વેગ અને બળ બંને આપ્યા છે. રાજા વાપસ આઓ, દેશ બચાઓ નામના સૂત્રોચ્ચાર સાથે જ્ઞાાનેન્દ્રના સમર્થકોએ આંદોલન વધારે તિવ્ર બનાવ્યું છે.
આમ તો રાજાનો ઈતિહાસ ઘણો વિવાદાસ્પદ છે. ૨૦૦૧માં રાજવી પરિવારમાં થયેલા નરસંહાર બાદ જ્ઞાાનેન્દ્રની રાજા તરીકે વરણી અને ત્યારબાદ નેપાળના લોકશાહીના મૂલ્યોનું પતન વગેરે ખૂબ જ વિવાદાસ્પદ હતા. તેના કારણે તેમની છબી લોકોમાં ખરડાઈ ગઈ હતી.
લોકો તેમને ખસેડીને લોકશાહી લાવ્યા. જ્ઞાાનેન્દ્ર કાઠમાંડુની બહાર પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં રહેતા હતા. તેઓ નેપાળની સૌથી મોટી હોટેલ ચેનના માલિક છે અને અન્ય નાના-મોટા વ્યવસાયોમાં પણ તેમનું વ્યાપક રોકાણ છે. હાલમાં તેઓ એકાએક પ્રજા વચ્ચે દેખા દેતા લોકો તેમને સંકટમોચક માની રહ્યા છે.
રાજાશાહી અને લોકશાહીનું સંયુક્ત સ્વરૂપ નેપાળ માટે યોગ્ય વિકલ્પ
નેપાળમાં રાજાશાહી પરત લાવવા માટે આંદોલનો કરી રહેલા કેટલાક રાજકીય પક્ષોમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી મોખરે છે. તે બંધારણિય રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્ર બંનેનું સમર્થન કરે છે. રાજન્દ્ર લિંગદેન અને કમલ થાપા જેવા નેતાઓ રાજાશાહી પરત લાવવાના પ્રદર્શનો અને આંદોલનોમાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.
આ પક્ષનું માનવું છે કે, દેશમાં ૧૯૯૧માં જે પ્રમાણે બંધારણીય કામગીરી ચાલતી હતી અને તેમાં રાજાશાહી અને લોકશાહી સંયુક્ત રીતે કામ કરતા હતા તેવી જ સ્થિતિ ફરીથી નેપાળમાં લાવવી જોઈએ. પક્ષમાં આંતરિક વિખવાદો પણ છે છતાં તેઓ રાજાશાહી માટે મક્કમ હોવાનું દેખાઈ રહ્યું છે. બીજી તરફ થોડા સમય પહેલાં થયેલા હિંસક આંદોલન માટે દુર્ગા પ્રસાઈ નામના નેતાને જવાબદાર માનવામાં આવ્યા હતા.
તેઓ એક પૂર્વ માઓવાદી અને વિવાદિત બિઝનેસમેન માનાય છે. રાજાશાહીને તેમનું આર્થિક અને અન્ય રીતે સમર્થન હોવાથી લોકોમાં પણ તેઓ લોકપ્રિય થઈ રહ્યા છે. લોકો ભલે તેમને પસંદ કરતા પણ તાજેતરમાં થયેલા હિંસક આંદોલન બાદ તેમને પોલીસે વોન્ટેડ નેતાઓની યાદીમાં મુકી દીધા છે. તે ઉપરાંત ૮૭ વર્ષના નવરાજ સુબેદી પણ ચર્ચિત નેતા છે. સંયુક્ત જન આંદોલન સિમિતિના સંયોજક નવરાજે પણ સરકારને ચેતવણી આપી હતી કે, અમારી માગણીઓ પૂરી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવાશે.
સુબેદી પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્રના નજીકના નેતા ગણાય છે. તેના કારણે પોલીસે તેમને નજરકેદ કરી લીધા હતા. તેઓ ઘરમાં રહીને પણ પ્રજાના આંદોલનને કાબુ કરી રહ્યા છે. આ નેતાઓ અને મોટા પક્ષો ઉપરાંત ઘણા નાના હિન્દુ સંગઠનો અને નાના-મોટા રાષ્ટ્રવાદી જૂથો પણ રાજાશાહી પરત લાવવાના આંદોલનમાં જોડાયેલા છે.
તેઓ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી સાથે રસ્તા ઉપર ઉતર્ર્યા છે. તેઓ દેશની ધાર્મિક ઓળખના રક્ષણ માટે પણ વિરોધ અને વિદ્રોહના રસ્તે આગળ વધવા માગે છે.
આ તમામ લોકો કોઈપણ ભોગે રાજાશાહી પરત લાવીને નેપાળની ગુમાવેલી ચમક પાછી મેળવવા મથી રહ્યા છે.