દેશમાં ખરેખર નક્સલવાદનો અંત નજીક આવી ગયો છે
- છેલ્લાં એક વર્ષમાં સુરક્ષા જવાનોના અભિયાને નક્સલીઓનો ખાતમો બોલાવ્યો છે અથવા તો તેમને શરણે આવવા મજબૂર કર્યા છે
- નક્સલી નેતાઓ દ્વારા રાજકીય અને સામાજિક ક્રાંતિ આણીને 12 રાજ્યોમાં લાલ કોરિડોર બનાવવાની વાતો હવાઈ જશે: સુરક્ષા અભિયાનોને પગલે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું થવાની આશા વધુ પ્રબળ બની છે: બીજી તરફ ભય સ્થાન એવું પણ છે કે, હજી તો બસવરાજુ જ હણાયો છે તેના ત્રણ સાથી કમાન્ડરો માડી હિડમા, ભૂપતિ અને પ્રભાકર હજી પણ મુક્ત રીતે ફરી રહ્યા છે જે રાજકીય જોખમ અને સામાજિક અશાંતિ ફેલાવવા માટે ગમે તે સ્તરે જઈ શકે છે
દેશમાં માઓવાદનો અંત લાવવા અને નક્સલીઓને ઠાર કરવા કે પછી શરણે લાવવા છેલ્લાં એક વર્ષથી જે સક્રિય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે સાકાર થવા તરફ આગળ વધતું હોય તેમ લાગે છે. તેમ છતાં કેટલાક સવાલો છે જેના હજી સ્પષ્ટ જવાબ મળ્યા નથી. સૌથી પહેલો સવાલ એ થાય છે કે, ખરેખર દેશમાં માઓવાદ એટલે કે નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ખરેખર તેનો અંત આવી જશે. નક્સલીઓ જે ૧૨ રાજ્યોમાં લાલ કોરિડોર બનાવવાની પાંચ દાયકાથી વાત કરતા હતા તેને નષ્ટ કરી દેવામાં આવશે. ખરેખર દેશના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં કાયમી શાંતિ સ્થપાશે અને લોકો સુખેથી અને નિર્ભય રીતે જીવન જીવી શકશે. સૌથી મોટો સવાલ એ છે કે, હાલમાં જે ઓપરેશન ચાલે છે તેનાથી કામચલાઉ શાંતિ મળી જશે પણ આગામી સમયમાં નક્સલીઓ નવેસરથી અને નવી રીતે સરકાર અને સમાજ સામે હથિયારો ઉપાડી શકે છે.
આ સવાલ એટલા માટે થાય કે, થોડા સમય પહેલાં એક ટોચના નક્સલી નેતા બસવરાજૂને સુરક્ષા જવાનો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. નક્સલીઓ સાથેની અથડામણમાં ઘણા નક્સલીઓ માર્યા ગયા હતા. આ એક નેતા મરવાથી નક્સલવાદને અસર પડી છે પણ તે સાવ અટકી જશે કે ખોટકાઈ જશે તેવું હાલમાં ન માની લેવાય. બસવરાજૂના ગયા બાદ પણ માડી હિડમા, ભૂપતિ અને પ્રભાકર નામના ત્રણ મોટા નક્સલી નેતાઓ હજી પણ સક્રિય છે. દેશમાં છેલ્લાં કેટલાય સમયથી ચાલતા ઓપરેશનોમાં નક્સલીઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે તેમ છતાં તેમનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું નથી. આજે પણ લોકશાહીનો અંત આણીને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા જન સરકાર લાવવાનું સપનું સેવતા માઓવાદીઓ સક્રિય છે. એક બાબત સારી છે કે, સુરક્ષાદળોના હાથે થઈ રહેલા એન્કાઉન્ટર અને તેમની સાથેના અથડામણમાં તેમની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ જનતા દ્વારા પણ માઓવાદીઓને હવે ખાસ દાદ આપવામાં આવતી નથી તેના કારણે પણ તેમનું જોર ઓછું થયું છે.
જાણકારો માને છે કે, નક્સલ પ્રભાવિત રાજ્યોમાં ભાજપની સરકાર સત્તા ઉપર આવ્યા બાદ સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભાજપ સરકારમાં નક્સલીઓ પાસે માત્ર બે જ વિકલ્પ વધ્યા હતા કે, આત્મ સમર્પણ કરો અથવા તો એન્કાઉન્ટરનો ભોગ બનો અને જીવ ગુમાવો. છેલ્લાં એક વર્ષમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જે રીતે નક્સલીઓ ઠાર થયા છે તે જણાવે છે કે, સામાજિક અને રાજકીય પરિવર્તનની જે વાતો કરવામાં આવી હતી અને માઓવાદ પાંચ દાયકાથી વિસ્તરતો હતો તે અટકી ગયો છે. તેનું કારણ એવું પણ છે કે, છેલ્લાં પચાસ વર્ષથી જેના માટે સશસ્ત્ર સંઘર્ષ કરવામાં આવી રહ્યો છે અને હજારોનાં મોત થયા છે છતાં માઓવાદીઓ કે તેમના નેતાઓને કશું જ પ્રાપ્ત થયું નથી. એક સમયે યુવાનોને જે ક્રાંતિ અને પરિવર્તનમાં રસ હતો તેવો હાલના સમયમાં જોવા મળતો નથી. નક્સલવાદ અંત તરફ આગળ વધી રહ્યો છે તેનો એક સંકેત તેનું ઘટતું કદ પણ છે. જ્યારે પાંચ દાયકા પહેલાં પરિવર્તનની ક્રાંતિ શરૂ કરાઈ હતી ત્યારે માઓવાદ દેશના ૧૨ રાજ્યોમાં ફેલાયો હતો. લોહિયાળ અથડામણો અનેક વખત થઈ હતી.
હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે, માઓવાદની અસર માત્ર છ જિલ્લા પુરતી સિમિત થઈ ગઈ છે. ખેડૂતો, આદિવાસીઓ અને પીડિતોને શોષણથી મુક્ત કરવા અને તેમના અધિકારો પરત અપાવવા શરૂ થયેલું આંદોલન હવે અપહરણ, હત્યા, અવિચારી હુમલા અને અરાજકતામાં પરિવર્તિત થઈ ગયું છે. માઓવાદ અથવા તો નક્સલવાદ એટલા પૂરતો સફળ રહ્યો કે, વિકાસની જે વાતો થતી હતી અને ગામડાઓને વિકસિત કરવાની જે રાજકીય રમતો રમાતી હતી તે વાસ્તવિક થવા લાગી અને અંતરિયાળ ગામડાઓ સુધી સુવિધાઓ પહોંચવા લાગી. સુવિધાઓ પહોંચી ખરી પણ ખાસ અસર દેખાઈ નહીં. તેમાંય જે યુવાનોએ હિંસક રસ્તો પસંદ કરીને હથિયારો ઉપાડયા હતા તેમને આત્મસંતોષ અથવા તો મૃત્યુ સિવાય કશું મળ્યું જ નહીં. તેના સિવાય હતાશા આવી જેમાં તેમણે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ વધ્યો નહોતો.
માઓવાદને સમજીએ તો નક્સલીઓએ ગાઢ જંગલો, અંતરિયાળા વિસ્તારો, દુર્ગમ પહાડોમાં પોતાના ઠેકાણા બનાવ્યા હતા જેથી પોલીસ કે સુરક્ષા જવાનો તેમને શોધી ન શકે અથવા તો તેમના સુધી પહોંચી ન શકે. તેના કારણે જંગલો ઉપર નક્સલીઓનો પ્રભાવ કાયમ રહ્યો હતો. નક્સલીઓએ કાયમ હિંસાનો જ આશરો લીધો હતો. પોતાને ખતરો જણાય ત્યારે સુરક્ષાજવાનો ઉપર હુમલા કરતા. બીજી તરફ કોઈ તેમના વિશે બાતમી આપે છે તેવું વિચારીને સ્થાનિક લોકોની પણ કરપીણ હત્યાઓ કરવામાં આવી છે. આ હિંસાઓ જ લાંબાગાળે હવે લોકોના મનમાંથી તેમના પ્રત્યે માન અને લાગણી ગુમાવી રહી છે. બીજી વાત એવી છે કે, માઓવાદનો જન્મ વિચારીઓ તો કોમ્યુનિસ્ટ વિચારધારાના પાયામાંથી જ થયો છે. હકિકત એવી પણ રહી હતી કે, દેખીતી રીતે કોમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો અને તેમની સાથે જોડાયેલા સ્થાનિક પક્ષો અને સંગઠનો દ્વારા કાયમ માઓવાદથી અંતર જાળવવામાં આવ્યું હતું. બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે, માઓવાદીઓના સંઘર્ષ વિશે તેમના મનમાં કાયમ કુણી લાગણી હતી. તે ઉપરાંત આ પાર્ટીઓ સાથે જોડાયેલા શિક્ષિત અને આધુનિક નક્સલીઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોના નક્સલીઓને માર્ગદર્શન, આર્થિક સાથ સહકાર અને અન્ય મદદ પૂરી પાડવામાં આવી રહી હતી. આમ તો ચીનથી આવેલો માઓવાદ ભારતના ચોક્કસ રાજ્યોના જંગલોમાં અટવાયેલો હતો. દેશમાં ૭૦ના દાયકામાં માઓવાદની શરૂઆત ખેડૂતોના શોષણના વિરોધથી થઈ હતી. પશ્ચિમ બંગાળના નક્સલવાડી ગામના જમીનદારો દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું અને કેટલાક લોકોએ સશસ્ત્ર ક્રાંતિનો રસ્તો અપનાવ્યો. ચારુ મુજુમદાર, કનુ સનિયાલ જેવા સામ્યવાદી નેતાઓની રાજકીય વિચારધારા પણ આવા લોકોને બળ પૂરું પાડતી હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ચીનનું પણ પાછલા બારણે આવી ક્રાંતિઓને સમર્થન હતું જેથી ભારતમાં આંતરિક વિખવાદો વધતા રહે. ખાસ કરીને જૂની સામંતિ વ્યવસ્થાનો લોકશાહી રીતે નહીં પણ લોહિયાળ ક્રાંતિ દ્વારા વિરોધ કરીને બદલવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
બીજી બાબત એવી પણ છે કે, આઝાદી પછી દેશની જે સ્થિતિ હતી તેના કારણે યુવાનોનો તત્કાલિન રાજકારણ અને વિકાસથી મોહભંગ થઈ ગયો હતો અને તેના કારણે માઓવાદી વિચારધારા તેમને વધારે આકર્ષિત કરવા લાગી હતી.
તે સમયે યુવાનોને માર્ગદર્શન આપે અને રાજકીય રીતે મજબૂત નેતૃત્વ પૂરું પાડી શકે તેવા નેતાઓનો અભાવ હતો અને રાજકીય દબાણ પણ ઓછું હતું. ભારત અને ચીન વચ્ચે જે તફાવત છે તેની સમજ પૂરી પાડે તેવું નેતૃત્ત્વ પણ નહોતું. માઓવાદીઓએ પોતાના હિતો સિદ્ધ કરવા માટે આવી હિંસાને જન સંઘર્ષનું નામ આપી દીધું અને માત્ર એક સિમિત વિસ્તારમાંથી બહાર નિકળી શક્યા જ નહીં. આ સિવાય કોંગ્રેસે ક્યારેય માઓવાદીઓ પ્રત્યે આકરું વલણ દાખવ્યું નહીં અને કદાચ તેના જ પરિણામે છત્તીસગઢની ઝીરમ ઘાટીમાં નક્સલીઓએ હુમલો કરીને કોંગ્રેસના મોટા નેતાઓની હત્યા કરી દીધી. આંધ્ર અને તેલંગણામાં માઓવાદીઓ પ્રત્યે આકરું વલણ દાખવવામાં આવ્યું અને બીજી તરફ વાતચીત અને શરણાગતિ દ્વારા તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડાવા વિકલ્પ અપાયો હતો પણ તે નિષ્ફળ ગયો હતો.
માઓવાદને જડમૂળથી જ નાબુદ કરવાનું ભાજપનું વલણ ફાયદાકારક રહ્યું
છેલ્લાં એક દાયકમાં ભાજપ સરકાર દ્વારા માઓવાદીઓ સાથે વાતચીત અને શરણાગતિનો વિકલ્પ આપવામાં આવ્યો હતો પણ માઓવાદીઓએ હિંસાનો રસ્તો છોડયો નહોતો. તેના કારણે જ ભાજપ સરકારે હિંસા સામે આકરા પગલાંનું વલણ અપનાવ્યું અને માઓવાદને જડમૂળથી નાબુદ કરવાનું નક્કી કર્યું. તેના પગલે સુરક્ષા જવાનો દ્વારા નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સુરક્ષા જવાનોને આધુનિક હથિયારો, ટેક્નોલોજી અને તાલિમ આપવામાં આવ્યા જેથી ગાઢ જંગલો અને દુર્ગમ વિસ્તારોમાં જઈને નક્સલીઓનો સફાયો કરી શકાય.
સૌથી મોટું પગલું પૂર્વ નક્સલીઓ અને શરણે આવેલા નક્સલીઓની એક અલગથી ફોર્સ બનાવીને વર્તમાન સમસ્યાના અંત માટે કામ કરવામાં આવ્યું. નક્સલીઓની જ મદદથી નક્સલીઓનો અંત ઝડપથી આવવા લાગ્યો. તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના સ્વરૂપે જવાનોની ભરતી કરીને પોલીસ બેડાની સંખ્યા વધારવામાં આવી. તે ઉપરાંત મહિલા માઓવાદીઓને સુરક્ષા જવાનો સાથે જોડીને ઓપરેશન પાર પાડવામાં આવ્યા જે સૌથી સફળ સાબિત થયા. શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓને સકારાત્મક રીતે મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું અભિયાન પણ ચાલુ રખાયું અને તેનો પણ ફાયદો મળ્યો.
ખાસ કરીને ઓપરેશન બ્લેક ફોરેસ્ટ હેઠળ સુરક્ષા જવાનોએ જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તરખાટ મચાવ્યો તેનો મોટો લાભ થયો. સુરક્ષા જવાનોએ ૧ કરોડના ઈનામી બસવરાજુ સહિત ૨૭ નક્સલીઓને ઠાર કરી દીધા. બસવરાજૂ એન્જિનિયર હતો અને ગોરિલ્લા યુદ્ધ પદ્ધતિનો પ્રણેતા હતો. તેને ઠાર કરવાથી નક્સલીઓમાં મોટાપાયે ડર પેસી ગયો છે. આગામી સમયમાં બ્લેક ફોરેસ્ટ અભિયાન દ્વારા બાકીના નક્સલીઓને ઠાર કરીને સમગ્ર દેશનો માઓવાદથી મુક્ત કરી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે.