મંદીનું મૂળ ક્યાં છે?
ઓછા નફે ઝાઝો વેપાર થાય એમ ઓછા ટેક્સે ઝાઝી આવક થાય
સાતમું પગારપંચ લાગુ પડયા પછી પણ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, તેનું કારણ શું?
સરકારે વધુમાં વધુ પૈસો પોતાના હાથમાં આવે એવા પ્રયત્નો કરવાને બદલે પબ્લિકના હાથમાં આવે એવા પ્રયાસો કરવા જોઈએ
અર્થતંત્ર બે ક્રિયાઓથી મજબૂત બને છે. ૧) ખર્ચ અને ૨) બચત. જ્યારે તેનો તાલમેલ ખોરવાય ત્યારે જ મંદી આવે છે. ભારતીય અર્થતંત્રમાં આવેલી મંદી પણ આની બહાર નથી. જ્યાં સુધી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે ત્યાં સુધી લેવામાં આવેલા તમામ રીમેડિયલ મેઝર્સ થૂંકના થીગડા પુરવાર થવાના છે.
જેટલો તમે ખર્ચ વધારો એટલી વસ્તુઓ અને સેવાઓ વધુ વેચાય, જેટલી વસ્તુઓ અને સેવાઓ વધુ વેચાય, જેટલી વસ્તુઓ અને સેવાઓ વધુ વેચાય એમ ડીમાન્ડ અને ઉત્પાદન વધે, જેમ ડીમાન્ડ અને ઉત્પાદન વધે એમ રોજગારી વધે, જેટલી રોજગારી વધે એટલી જનતાની ખર્ચ કરવાની શક્તિ વધે. આ આખું ચક્ર દેશની જીડીપીમાં વૃદ્ધિ કરતું જાય અને અર્થતંત્ર મજબૂત બનાવતું જાય. આર્થિક વિકાસની સંકુલતાની આ સરળ સમજ છે.
બીજી વાત બચતની. ધારો કે એક વ્યક્તિ મહિને રૃા.૨૦,૦૦૦ કમાય છે, પણ તે વીસે વીસ હજાર વાપરી કાઢે તો શું તે વિકાસનો હિસ્સેદાર બની શકશે? ના. તેને થોડીક બચત પણ કરવી જોઈશે. તે બચત કરશે તો આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવામાં તેને સરળતા રહે. તે ક્યારેક મકાન ખરીદી શકે. બે પાંદડે થઈ શકે. બચાવેલા પૈસા તેને કોઈ પણ સ્વરૃપે કામ લાગે. બચાવેલા પૈસા તે બેન્કમાં અથવા કોઈ પોલિસીમાં મૂકી દે તો તે અર્થતંત્રનો ભાગ બની જાય અને દેશને વિકાસમાં કામ લાગે. ખર્ચ અને બચત કેવી રીતે વિકાસના બે પૈડાં બની જાય છે એ અહીં સ્પષ્ટ થઈ જાય છે.
ભારતમાં નોટબંધીથી મંદી આવી, નોટબંધીથી મંદી આવી એમ ઘણા બધા નિષ્ણાતો કહ્યા કરે છે, પણ શા માટે મંદી આવી એ તો કહો? હવે તે સમજીએ. નોટબંધી લાગુ પડી એટલે લોકોનો હાથ વધારે તંગ બન્યો. પહેલા લોકો છૂટથી ખર્ચ કરતા હતા, પરંતુ નોટબંધીને કારણે પૈસાની અનિશ્ચિતતા ઊભી થતા લોકો કરકસર કરવા લાગ્યા.
નોટબંધીની તાત્કાલિક અને દૂરોગામી બંને રીતે નકારાત્મક અસર જોવા મળી. રોકડની અછત અને નોટબંધીના ભયને લીધે લોકોએ તેમની ખર્ચ શક્તિ પર કાપ મૂક્યો હતો. નોટબંધીની અસર રૃપે મંદી દેખાવાનું શરૃ થતા લોકો ખર્ચ પર મૂકેલા કાપની મુદ્દત લંબાવતા ગયા.
બેંક પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટયો. બેંક પ્રત્યે વિશ્વાસ ઘટવાના ત્રણ કારણ હતા. ૧. નોટબંધી પછી ઘણા સમય સુધી લોકો બેંકમાંથી ઇચ્છિત રકમ ઉપાડી શકતા નહોતા. ૨. બેંકોના કૌભાંડો બહાર આવ્યા. દા.ત. પંજાબ નેશનલ બેંક. ૩. બેંકના થાપણદર ઘટયા, હીડન ચાર્જીસ વધ્યા. ૪. બેંકોની એનપીએ આભ આંબવા લાગી. (એનપીએ આભ આંબવાનું કારણ પણ નોટબંધીને કારણે ઊઠેલા ધંધાર્થીઓ.)
નોટબંધીને કારણે અનેક મોટી કંપનીઓ, નાના અને મધ્ય કક્ષાના ઉદ્યોગો તથા ધંધાઓના ઉઠમણા થયાં. તેમના ધંધા પૈસાના ઝડપી રોટેશન પર ચાલતા હતા અને નોટબંધી દરમિયાન તેમાં ભયંકર અછત ઊભી થઈ. નોટબંધી દરમિયાન લોકોએ ખર્ચ ઘટાડતા અનેક ધંધાઓમાં માલનું, સેવાઓનું વેચાણ ઘટવાથી પણ યા તો માંદા પડયા અથવા સ્વર્ગે સિધાવી ગયા.
અધૂરામાં પૂરું જીએસટી આવ્યો. જીએસટી આવવાનો જ હતો, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ ન થયું. નોટબંધી પછી તુરંત જ જીએસટી અને વળી જીએસટીના અમલીકરણમાં ગરબડને કારણે દાઝેલા પર મીઠું ભભરાવવા જેવું થયું. ૧૦૦ રૃપિયાની ચીજમાંથી ૨૮ રૃપિયા સરકાર પાસે જાય તે કયા વેપારીને પોસાય? વેપારી કે ઉત્પાદક ૨૮ રૃપિયા ન કમાતા હોય અને સરકાર કામાઈ જાય.
આને ભાગીદાર સરકાર ન કહેવાય તો બીજું શું કહેવાય? ગમે તેવો પ્રામાણિક વેપારી પણ ૧૦૦ રૃપિયાની ચીજ પર ૨૮ રૃપિયા ટેક્સ ભરવામાં ઠાગાઠૈયા કરવાનો. ન કરે તો બાપડો ધંધાની હરિફાઈમાંથી ફેંકાઈ જાય. સરકારે આ પ્રેક્ટિકલિટી ધ્યાને જ ન લીધી. હંગેરી સિવાય દુનિયા ભરના દેશો માત્ર પાંચથી ૧૧ ટકા જેવો જીએસટી વસૂલે છે ત્યારે સરકારને સમજાયું નહીં હોય કે ૨૮ ટકાની ભૂલ ન કરાય? ઓછા નફે ઝાઝો વેપાર થાય એમ ઓછા ટેક્સે ઝાઝી આવક થાય.
પછી તો બ્લેકમાં વેચાણ વધે જ ને? બ્લેક મની સાફ કરવા માટે સરકારે નોટબંધી કરી હતી, પણ અત્યારે તમે તમારી જાતને જ પૂછો? બજારમાં કઈ ચીજ બ્લેકમાં નથી મળતી? લગભગ બધી જ. હેલમેટ પણ મોટા ભાગે બ્લેકમાં અને એમઆરપી કરતા ત્રણ ગણા ભાવે વેચાય છે. સરકારને ત્યાં કાયદાની અમલવારી દેખાતી નથી? એમઆરપી કરતા ઊંચા ભાવે અને બ્લેકમાં હેલમેટ વેચનારા કેટલા વેપારી દંડાયા?
શેડો ઇકોનોમી ફરી કડેધડે થઈ ગઈ છે. અર્થશાસ્ત્ર દીર્ઘકાલીન અભ્યાસ, વ્યવહારિક સૂઝ અને લોકોના બદલાતા વ્યવહારો પર બારીક નજરનો વિષય છે. તે ગલગલિયા કરાવે તેવી અથવા રોમાન્ટિક ચર્ચાનો વિષય નથી. તે પાનના ગલ્લે થતી ગોસિપનો વિષય નથી. તે વિદ્વતા માગી લે છે. તે જીકે નથી. એસકે છે. સ્પેશ્યલ નોલેજ. કયો ડોક્ટર સારો? નાના પાટેકરની જેમ ડાયલોગ મારી જાણે એ કે મૂંગા મોઢે સારું ઓપરેશન કરી જાણે એ?
આપણા ઉદ્યોગ ધંધાઓએ ઓછા સમયના અંતરે બે ઝાટકા ખાધા. લેખની શરૃઆતમાં જે ચક્ર વર્ણવવામાં આવ્યું હતું તે ઊલટું ફરવા લાગ્યું. લોકો ખર્ચ ઘટાડવા લાગ્યા, પરિણામે ધંધા ઘટવા લાગ્યા, નોકરીઓ જવા લાગી, સેવાઓ અને વસ્તુઓનું ઉત્પાદન ઘટવા લાગ્યું, નોકરીઓ જવા લાગતા લોકો વધુ ખર્ચ ઘટાડવા લાગ્યા.
સરકાર સામે પડકાર છે આ દૂષ્ચક્રને સુચક્રમાં ફેરવવાનો. સરકારે નોટબંધી દરમિયાન શું કર્યું? જૂની નોટોમાં મેક્સિમમ ટેક્સ સ્વીકાર્યો. એટલે કે સરકારે જે ટેક્સ વર્ષોથી બાકી હતો તેમાંનો ઘણો બધો નોટબંધી દરમિયાન પ્રાપ્ત કરી લીધો. નોટબંધી દરમિયાન બે અસર જોવા મળી. જનતા પૈસા વિનાની થઈ ગઈ. સરકાર પૈસાવાળી થઈ ગઈ. સરકારે એવું વિચારેલું કે મહત્તમ કલ્યાણ યોજનાઓ જાહેર કરી તેમાં પૈસા ખર્ચી નોટબંધીને કારણે આવેલી ટેમ્પરરી મંદી દૂર કરી દઈએ.
સરકારનો ઉદ્દેશ સારો હતો, પણ સાચો નહોતો. તેમણે વિચાર્યું હતું તેવું થયું નહીં. કેમ કે યોજનાઓમાં પૈસા જેટલા વાપરો તેમાંથી મોટા ભાગના ખવાઈ જાય. આજની તારીખે પણ. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી. જેમ-જેમ દેશનો વિકાસ થયો તેમ-તેમ ભ્રષ્ટાચાર ઘટવો જોઈતો હતો તેની બદલે વધ્યો. તેનું કારણ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની અસીમ લાલસાઓ. તેમને અતિ સારા કહેવાતા સાતમા પગારપંચના પગારથી પણ ધરવ નથી.
તેમને પોતાના હોદ્દા પ્રમાણેનું જીવન જીવવાને બદલે હાઈફાઈ જીવન જીવવું છે. તેથી કરપ્શન વધતું જાય છે. પટ્ટાવાળા અને ક્લર્કને અધિકારી જેવો રોલો પાડવો છે અને અધિકારીને મંત્રી તથા ઉદ્યોગપતિ જેવો છાકો પાડવો છે. એટલે જેમ-જેમ કલ્યાણ યોજનાઓ વધશે તેમ ભ્રષ્ટાચાર વધવાનો જ. કલ્યાણ યોજનાઓ હોવી જ જોઈએ, પણ તેની અતિશયોક્તિ ઠીક નથી. ને કેવળ કલ્યાણ યોજનાઓના સહારે દેશનો વિકાસ અસંભવ છે.
આટલી આડ વાત પછી પાછા મૂળ વાત પર આવીએ. સરકારે જાહેર કરેલી યોજનાઓનો પૈસો જનતા સુધી અંશતઃ જ પહોંચ્યો. આથી અર્થતંત્રમાં જે ચમક આવવી જોઈતી હતી તે આવી નહીં. નોટબંધી લાગુ કરી ત્યારથી આજ સુધી સરકારના પ્રયત્નો એવા છે કે મેક્સિમમ પૈસો તેના હાથમાં આવે અને તે યોજનાઓની લ્હાણી કરે. નોટબંધી અને જીએસટી પછી આ ત્રીજી ભૂલ.
સરકારે મહત્તમ પૈસો પ્રાપ્ત કરવાની મેન્ટાલિટી બદલીને જનતા મહત્તમ પૈસો પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમ કરવાથી આપમેળે સરકાર પૈસા મહત્તમ પૈસા આવશે. લોકો વધુ પૈસા વાપરે, વધુ બચત કરે તો વધુ રોજગારી પેદા થાય અને વધુ રોજગારી પેદા થાય તો લોકો વધુ ટેક્સ ભરે. લોકો વધુ ટેક્સ ભરે તો સરકારની આવક આપોઆપ વધે.
સરકાર વધુ ટેક્સ કલેક્ટ કરીને ગરીબોને તવંગર નહીં બનાવી શકે. સરકારે એવું કરવું પડે કે ગરીબ સારું કમાતો થાય અને ટેક્સ ભરીને સરકારની આવક વધારે. જીડીપી ઘટીને પાંચ ટકાએ એટલે પહોંચ્યો છે કે સરકાર છેલ્લા ચાર વર્ષથી ચક્ર ઊંધી દિશામાં દોડાવી રહી છે. જે મંદી અત્યારે આવી છે તે આશ્ચર્ય પેદા કરનારી નથી. એ તો થવાનું જ હતું.
કોઈ બચાવ કરવા વૈશ્વિક મંદી અને ટ્રેડ વોરનું ગાણું ગાશે. હા, હોય. ટ્રેડ વૉર અને વૈશ્વિક મંદીની અસર પણ હોય, પરંતુ આપણા માનસ પર આપણા ઘરના વાતાવરણની જેટલી અસર થાય એટલી પડોશના વાતાવરણની ન થાય. અને ખરેખર વૈશ્વિક મંદીની અસર આપણા પર પડી હોય તો શા માટે ડોલર કે યુરો ભારત કરતા પણ નબળા નથી પડી જતા? યુરોપમાં મંદી છે તોય કેમ યુરો રૃપિયાની તુલનાએ સતત મજબૂત થતો જઈ રહ્યો છે?
ભારત-પાકિસ્તાન, કાશ્મીર, ટ્રાફિક નિયમો વગેરે ઘૂઘરાથી રમવામાં વ્યસ્ત પ્રજા આવા પાયાના સવાલો પૂછવાનું તો શું એ વિશે જાણવા-સમજવાનુંય ચૂકી જાય છે. લોકોને સવાલ છે એ જ ખબર નથી તો સવાલ પૂછે કઈ રીતે. ઘેનમાં હોય, નશામાં હોય એને સવાલ વિશે શી રીતે ખબર હોય ભલા? ખેર, જે થોડા ઘણા જાણે છે, સમજે છે, તે લોકો તો બોલવાના જ છે. રવિશ કુમારે રેમન મેગ્સેસ અવોર્ડ સ્વીકારતી વખતે કહેલું જ ને, દરેક જંગ જીતવા માટે નથી લડાતી. એટલા માટે લડાય છે જેથી દુનિયાને કહી શકાય કે કોઈ તો છે, જે લડી રહ્યું છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકામાંથી ઘટાડીને ૨૫.૨ ટકા કરવાની જાહેરાત કરી. વળી, નવી મેન્યુફેક્ચરિંગ ે ૧૫ ટકા જ ભરવાના રહેશે. સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલું આ આગામી કદમ આવકારદાયક છે, પણ જો અકાઉન્ટિંગની ભાષામાં કહીએ તો આ એક ભૂલ સુધારણા નોંધ છે. સરકારે ટેક્સ જજજજજે ઊંચો લઈ જવાની જરૃર જ શા માટે હતી?
સરકારે ૩૦૩ સીટના નશામાં સુપર રિચ ટેક્સ નાખી દીધો. વિદેશી રોકાણકારો ભાગી જતા તેમને ભૂલ સમજાઈ અને વિદેશી રોકાણકારોને પાછા બોલાવવા તેમને સુપર રિચ ટેક્સમાંથી બહાર બોલાવ્યા. સુપર રિચ ટેક્સ કોન્સેપ્ટ આકર્ષક છે, પરંતુ તે અતિ વિકસિત દેશ માટે છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે નથી.
કોર્પોરેટ ટેક્સનો ભાર હળવો થતા સેન્સેક્સે ૧૯૨૧ પોઇન્ટનો ઠેકડો મારીને વધામણા કર્યા. તે સારી વાત છે, પણ આ એક ઘટનાને આધાર બનાવીને એવો દાવો કરવો કે મંદી જતી રહી છે અથવા મંદી માત્ર મગજમાં છે તે બાલિશતાનું જાહેર પ્રદર્શન છે. ભારત કેવળ શેરબજાર કે કેવળ મોટી કંપનીઓથી નથી ચાલતો. તે ખેડૂતો, શ્રમિકો, નોકરિયાતો, નાના ઉદ્યોગકારો, વેપારીઓ વગેરેથી વધારે ચાલે છે. નોટબંધી અને જીએસટીને લીધે જેટલા પણ નાના ઉદ્યોગો મંદ પડયા છે અથવા બંધ પડયા છે તેમને કઈ રીતે બેઠા કરવા તેમને કઈ રીતે પૂર્વવત કરવા તે વિશે પણ સરકારે ઘટતું કરવું પડશે.
મંદી રાતોરાત નથી જવાની, પણ સરકારની ઇચ્છા શક્તિ અને યોગ્ય નિર્ણયો હોય તો ૧૦૦ ટકા દૂર થઈ શકે છે.
આજની નવી જોક
શિક્ષક (લલ્લુને) એબીસીડી બોલ.
લલ્લુઃ એબીસીડીઇએચઆઇજે... એક્સવાયઝેડ!
શિક્ષકઃ જીએફ ક્યાં?
લલ્લુઃ એ મને છોડીને જતી રહી.
શિક્ષકઃ હેં!?