પાકિસ્તાનના પાવર ઓફ એટર્નીના આધારે નવસારીમાં અધિકારીઓની મીલીભગતમાં સાત દસ્તાવેજ નોંધાયા
8 દેશના નાગરિકો ભારતમાં જમીન-મિલકતની ખરીદ-વેચાણ કે તબદીલ કરી શકતા નથી છતાં
નવસારી, સોમવાર
પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના 8 દેશના નાગરિકો ભારતમાં જમીન કે મિલકત ખરીદ-વેચાણ કે તબદીલ કરી શકતા ન હોવા છતાં નવસારી જિલ્લાની જલાલપોર સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીઓની મીલીભગતમાં વર્ષ 2013માં પાકિસ્તાનના પાવર ઓફ એટર્ની આધારે એક જ દિવસે એક-બે નહીં પણ સાત વેચાણ દસ્તાવેજ નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જલાલપોરના સિમલક ગામે આવેલી અલગ-અલગ સર્વે નંબરવાળી કુલ 36,032 ચોરસ મીટર જમીનના 14 સહિયારા માલિકો પૈકી એક પાકિસ્તાની મહિલા હોવા અંગેની ફરિયાદ બાદ સાતેય વેચાણ દસ્તાવેજોને નવસારી કલેક્ટરે રીવ્યૂમાં લઈ વર્ષ 2021માં તેની રેવન્યુ દફતરે પાડવામાં આવેલી ફેરફાર નોંધને નામંજૂર ઠેરવી હતી. જોકે, આ આદેશ થયાના પોણા ત્રણ વર્ષ બાદ પણ તેનો અમલ કરાયો નથી અને જવાબદાર અધિકારીઓ સામે પણ કોઇ પગલા ભરાયા નથી, જે ઘણું કહી જાય છે.
જલાલપોરના સિમલક ગામે આવેલી જુદા-જુદા બ્લોક નંબરની કુલ 36,032 ચો.મી.જમીનની દસ્તાવેજ નોંધને ફરિયાદ બાદ રિવ્યુમાં લઇ કલેક્ટરે નામંજૂર કરીને ત્રણ વર્ષ થયા પણ રેકોર્ડ પર અમલ થયો નથી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિમલક ગામે અલગ-અલગ બ્લોક સર્વે નંબરોવાળી કુલ 36,032 ચો.મી. ખેતીની જમીનમાં 14 લોકોની સહિયારી માલિકી ધરાવતા હતા. જે પૈકી 6 લોકો વર્ષોથી યુ.કે.માં સ્થાયી થયા હતા. જ્યારે એક વ્યક્તિ પાકિસ્તાનમાં વસી હતી. પૂર્વજોની આ જમીનને તેના વારસદારો દ્વારા વેચાણનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૩માં વિદેશમાં સ્થાયી થયેલા ભાગીદારો પાસેથી સ્થાનિક સંબંધીના નામના પાવર ઓફ એટર્ની મેળવી આ જગ્યાને સાત અલગ-અલગ દસ્તાવેજો બનાવી તત્કાલિન સરકારી અધિકારીઓની મીલીભગતમાં વેચાણ કરી હતી. જેમાં યુ.કે. અને પાકિસ્તાનના નાગરિકોના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના નાગરિકનો પાવર ઓફ એટર્ની ભારતમાં ચાલતો ન હોવા છતાં અધિકારીઓએ ખેલ કર્યો હતો. આ પ્રકરણમાં જલાલપોર મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી સહિતના જવાબદાર સરકારી અધિકારી/કર્મચારીઓએ લાખ્ખો રૃપિયાનો ભ્રષ્ટાચાર આચરીને નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાની વ્યાપક ચર્ચા ઉઠી હતી. કરોડો રૃપિયાની જમીનના દસ્તાવેજ ગેરકાયદે થયા હોવાની ફરિયાદ ખુદ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે પોતાના પક્ષની સરકાર સમક્ષ કરી હતી. જેમાં જમીન વેચાણ દસ્તાવેજમાં પાકિસ્તાની પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થયો હોવાનું જણાવી ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીની સૂચના બાદ રાજ્યના અગ્રસચિવ કૈલાશનાથને નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલને તા.24/05/2018ના રોજ લેખિતમાં આદેશ આપી તપાસનો હુકમ કર્યો હતો. આથી કલેક્ટરે ગુજરાત રાજ્ય મહેસુલ નિયમોના નિયમ-108 (6) મુજબ રીવ્યુ કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસ ચાલી જતા કલેક્ટર આદ્રા અગ્રવાલે તા.30-1-2021ના રોજ પ્રશ્નવાળી જમીન બાબતે થયેલા વેચાણ વ્યવહાર અંગેની ગામ દફતરે પડેલ ફેરફાર નોંધને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જેમાં પાકિસ્તાની નાગરિકના પાવર ઓફ એટર્નીથી મિલકત તબ્દીલ વેચાણ દસ્તાવેજથી થયો હોવાનું પુરવાર થયું હોવાનું જણાવી નિયમ મુજબ પરવાનગી લીધી ન હતી. આથી તેને કાયદેસર ગણી શકાય નહીં અને એટલે જ વેચાણ દસ્તાવેજ મુજબ તેનો અમલ દફતરે કરવાનું ઉચિત નહીં હોવાનું જણાવ્યું હતું. આ બાબતે નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલના હુકમ મુજબ સાતેય વેચાણ દસ્તાવેજો થકી રેવન્યુ રેકોર્ડ પર નામોમાં થયેલ ફેરફાર નોંધ નામંજૂર કરવાના હુકમનો આજ દિન સુધી અમલ કરાયો નથી, જે અંગે કોઈ જવાબદારો સામે કાર્યવાહી સુદ્ધા પણ કરાઈ નથી.
સરકારી અધિકારીઓએ ખુલ્લી આંખે નિયમોનું ઘોર ઉલ્લંઘન કરી દસ્તાવેજોની નોંધણી કરી હતી
સિમલકની 36 હજાર ચો.મી. જમીનના વેચાણ દસ્તાવેજમાં નિયમોનું ઘોર ઉલ્લંઘન ખુલ્લી આંખે સરકારી અધિકારીઓએ ખુલ્લેઆમ કર્યું હતું. ફેમા, આર.બી.આઈ.આઈ.ટી. વિભાગોને કોઈ પૂર્વ જાણકારી અપાઈ ન હતી. રાજ્ય સરકારના આદેશને પણ ઘોળીને પી જવાયો હતો. પાકિસ્તાની નાગરિકના પાવર ઓફ એટર્નીનું જલાલપોર સબ રજિસ્ટ્રાર કે.ડી.ગાયકવાડે વેરિફિકેશન કરાવ્યું ન હતું. જિલ્લા ટ્રેઝરીમાં પાવર ઓફ એટર્નીની ખરાઈ કરાવી નહીં અને દસ્તાવેજ નોંધી દીધા હતા. ત્યાર બાદ જમીન માલિકીના નામફેરની નોંધ સરકારી રેવન્યુ દફતરે 7/12 અને 8/અ માં નોંધને જમીન મહેસૂલ નાયબ મામલતદારે મંજૂર (પ્રમાણિત) કરી દીધી હતી. કેન્દ્ર સરકાર /રાજ્ય સરકારના કાયદા નિયમોની અવગણના કરીને ગેરકાયદે વેચાણ દસ્તાવેજો કરી તેને નોંધી દીધા હતા.
પાકિસ્તાની મહિલાએ વેસ્માના રહીશને પાવર આપ્યો હતો
જમીનના એક મહિલા માલિક જૈનબ મુસા નાના (રહે. કરાંચી, પાકિસ્તાન)એ કરાંચી ખાતે પાકિસ્તાનના સ્ટામ્પ પેપર પર જલાલપોરના વેસ્મા ગામના હાજીપુરામાં રહેતા અવેશ આદમ માયાતને પાવર ઓફ એટર્ની લખી આપ્યો હતો. આ પાવરના આધારે જમીનના સાત અલગ-અલગ વેચાણ દસ્તાવેજો કર્યા હતા. જે જલાલપોર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તા.24-05-2013ના રોજ નોંધાયા હતા અને તેના બે મહિનામાં જમીન રેવન્યુ દફતરે નાયબ મામલતદાર જલાલપોર (મહેસૂલ)એ પ્રમાણિત (મંજૂર) કરી હતી.
1999માં ફેમાનો કાયદો બનાવ્યો હતો અને 2000માં આરબીઆઇએ બનાવેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ઈરાન, અફઘાનિસ્તાન, ભૂતાન, શ્રીલંકા અને નેપાળ એમ કુલ 8 દેશના નાગરિક ભારતમાં જમીન મિલકતની ખરીદી, વેચાણ અથવા તબદીલ કરી શકતા નથી એવો દેશમાં સરકારે કાયદો બનાવ્યો છે. તે સિવાયના વિદેશી નાગરિકો માટે સરકારે ૧૯૯૯માં ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ (ફેમા)નો કાયદો બનાવ્યો હતો. જે મુજબ વર્ષ ૨૦૦૦માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમો બનાવ્યા હતા. જેમાં વિદેશી નાગરિકોએ ભારતમાં જમીન-મિલકત ખરીદી-વેચાણ-તબ્દીલી માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્કમટેક્ષ વિભાગની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય બનાવવામાં આવી હતી. આ બાબતે રાજ્ય સરકારની સ્ટામ્પ નિરીક્ષકની કચેરીએ તમામ જિલ્લાઓમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત સૂચના જારી કરી હતી કે છેલ્લા ૩ વર્ષના જુના રેકોર્ડની ચકાસણી કરવી, જેમાં પ્રતિબંધિત 8 દેશોના નાગરિકોની મિલકત - જમીન ખરીદી- વેચાણ કે તબ્દીલીની નોંધ થઈ હોય તો તેનો વિગતવાર અહેવાલ સત્વરે રાજ્ય સરકારને મોકલવાની તાકિદ કરી હતી.
દસ્તાવેજ નોંધણી, ફેરફાર નોંધ અને પ્રમાણિત કરવામાં આવેલા નંબર, તારીખ સહિતની વિગતો
નં. | બ્લોક જુનો | નંબર નવો | ચો.મી. | દસ્તાવેજ નંબર | તારીખ | ફેરફાર | પ્રમાણિત |
1 | 322 | 289 | 3569 | 2625 | 24/5/2013 | 1295 | 24/7/2013 |
2 | 292 | 406 | 1308 | 2626 | 24/5/2013 | 1290 | 24/7/2013 |
3 | 388 | 293 | 7969 | 2622 | 24/5/2013 | 1291 | 24/7/2013 |
4 | 444 | 219 | 8086 | 2623 | 24/5/2013 | 1292 | 24/7/2013 |
5 | 340 | 494 | 2616 | 2624 | 24/5/2013 | 1294 | 24/7/2013 |
6 | 282 | 391 | 951 | 2628 | 24/5/2013 | 1293 | 24/7/2013 |
7 | 51 | 48 | 11,535 | 2620 | 24/5/2013 | 1308 | 8/10/2013 |
કુલ ચો.મી. 36,032