Zubeen Garg Postmortom Report : જાણીતા સિંગર અને મ્યુઝિશિયન ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં મોતને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. હવે સિંગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ ઉપરાંત પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી, તેની વિગતો પણ સામે આવી છે.
સિંગાપોર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ ભારતીય હાઈકમિશનને સોંપી
સિંગાપોર પોલીસ દળ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું તરતી વખતે ડૂબી જવાથી મોત થયું હોવાનું કહેવાયું છે. અગાઉ સ્કૂબા ડાઈવિંગને કારણે મૃત્યુ થયું હોવાની વાત સામે આવી હતી, જે પોલીસની પ્રાથમિક તપાસમાં ખોટી સાબિત થઈ છે. સિંગાપોર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની એક નકલ ભારતીય હાઇકમિશનને સોંપી દીધી છે.
ઝુબીનનું મોત ડૂબવાના કારણે થયું : સિંગાપોર પોલીસ
હાઈકમિશને કહ્યું કે, ‘અમને ઝુબીન ગર્ગના મોતની પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું મોત ડૂબવાના કારણે થયું છે. ઝુબીનનું મોતમાં કોઈ ગડબડ થઈ હોવાનો સિંગાપોર પોલીસે ઈન્કાર કર્યો છે. પોલીસે ઝુબીનની હત્યા થઈ હોવાનું કે પછી ષડયંત્ર હોવાનો પણ ઈન્કાર કર્યો છે.
પત્નીની ફરિયાદ બાદ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ
ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બરે સિંગાપોર પાસેના સેન્ટ જ્હોન્સ ટાપુ પરથી 52 વર્ષીય ઝુબીનને બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તે જ દિવસે હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. બીજીતરફ ઝુબીનના પત્ની ગરિમા સૈકિયાએ બેદરકારીનો આક્ષેપ કરીને એફઆઈઆર નોંધાવી હતી કે, ‘ઝુબીનની તબિયત સારી ન હતી, છતાં તેમને જબરજસ્તી પાણીમાં ઉતારાયા હતા.’ ગરિમાની માંગ પર અસમ સરકારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે 10 સભ્યોની વિશેષ SIT ટીમની રચના કરી છે.
મોત મામલે બેની ધરપકડ કરાઈ હતી
આ કેસમાં ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલના આયોજક શ્યામ કાનૂ મહંતાની દિલ્હી અને ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી છે. અસમ સીઆઈડીએ સિદ્ધાર્થ શર્મા પાસેથી ઝુબીનનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. અસમ સરકારે કહ્યું છે કે, જો SITની તપાસથી સંતોષ નહીં થાય, તો CBIને તપાસ સોંપવામાં આવી શકે છે.


