- ભારત અમેરિકામાં 500 અબજ ડોલરનું રોકાણ કરશે
- ભારતીયોને અમેરિકાની ધરતી પર ઉગેલા ફળો અને શાકભાજી ખાવા મળશે, ભારતમાં મોકળું મેદાન !
- અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં કૃષિ અને ડેરી ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરાયું છે: પિયુષ ગોયલ
- અમેરિકાની ભારતમાં કૃષિ નિકાસ 2024માં 1.6 અબજ ડોલર, ભારતની કુલ કૃષિ નિકાસ 51 અબજ ડોલર
ન્યૂયોર્ક-વોશિંગ્ટન : ભારત અમેરિકાના ઇન્ડસ્ટ્રીયલ અને કૃષિ ઉત્પાદનો માટે વ્યાપક પાયા પર ટેરિફ ઘટાડો કરવા માટે સંમત થયું છે. આ ફળો અને ઉત્પાદનોમાં કૃષિ અને શાકભાજીનો પણ સમાવેશ થાય છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીયરે આ ટ્રેડ ડીલને અમેરિકા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો ગણાવ્યો હતો. તેનાથી અમેરિકાના ખેડૂતો અને ઉદ્યોગો બધાને ફાયદો થશે.
તેમણે જણાવ્યું હતું કે જો કે ભારત તેના સંરક્ષિત ક્ષેત્રો કેટલાક ક્ષેત્રોને સંરક્ષિત રાખવાનું છે અને અમેરિકા પણ તેના માટે સંમત થયું છે.
આ સિવાય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મંગળવારે જણાવ્યું હતું કે ભારત રશિયન ઓઇલની ખરીદી નહીં કરવા સંમત થયું છે. તેની સાથે પીએમ મોદી અમેરિકાના ચાવીરુપ ક્ષેત્રોમાં ૫૦૦ અબજ ડોલરનું રોકાણ કરવા સંમત થયા છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે સરકારે સંસદમાં ખાતરી આપી હતી કે આ ડીલમાં બારતના ફૂડ અને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલે આ ડીલના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ડીલમાં કૃષિ અને ડેરી સેક્ટરના હિતોનું ખાસ રક્ષણ કરવામાં આવ્યું છે. તેની સાથે ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગો માટે પણ નવી તકોનું સર્જન થયું છે. તેમના માટે એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ હશે. તેના દ્વારા ભારતને તે મેક ઇન ઇન્ડિયામાં મદદ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કૃષિ અને પશુપાલન અત્યંત સંવેદનશીલ ક્ષેત્ર છે. તે ૭૦ કરોડથી પણ વધુ લોકોનો આધાર છે. વિકસિત દેશોમાં ખેતી એકદમ મિકેનાઇઝ્ડ અને કોર્પોરેટાઇઝ્ડ છે. હવે કૃષિ પર જો કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવે તો તેનો સીધો અર્થ એવા થાય કે વિકસિત દેશોના જંગી સબસિડી ધરાવતા ખેડૂતો તેમનું સસ્તુ અનાજ અને ઉત્પાદનો ભારતમાં ઠાલવશે. તેની ભારતીય ખેડૂતોની આજીવિકા પર વિપરીત અસર પડશે.
હાલમાં વિશ્વનો ૯૦ ટકા ફૂડ ટ્રેડ ફક્ત પાંચ બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં છે. આ કંપનીઓ પૂર્વનિર્ધારિત ભાવ નિયમન પદ્ધતિ માટે કુખ્યાત છે. હવે જો ભારત સંરક્ષણ ઘટાડે તો તેનો સીધો અર્થ એવો થાય કે ભારતીય ખેડૂતોને આ મહાકાય કંપનીઓના ભરોસે છોડી દેવામાં આવશે. તેના ઘણા વિપરીત આર્થિક અને રાજકીય પરિણામ આવી શકે. ભારત સરકાર માટે કૃષિ એક વિવાદાસ્પદ બાબત બની શકે છે.
અમેરિકાની ૨૦૨૪ની કૃષિ નિકાસ ૧૭૬ અબજ ડોલર હતી. આ નિકાસ તેની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસનો ૧૦ ટકા હિસ્સો છે. જ્યારે ભારતમાં તેની નિકાસ ૧.૬ અબજ ડોલર હતી. તેની ચાવીરૂપ નિકાસમાં બદામ, પિસ્તા, સફરજન અને ઇથેનોલનો સમાવેશ થાય છે. તેની સામે ભારતની કુલ કૃષિ નિકાસ ૫૧ અબજ ડોલરની છે. આગામી ચાર વર્ષમાં તેને ૧૦૦ અબજ ડોલર કરવાનું આયોજન છે. આ સિવાય ભારત કૃષિ પર ઊંચા ટેરિફ રાખી ડબલ્યુટીઓના કોઈ ધારાધોરણનો ભંગ કરતું નથી.
અમેરિકામાં કૃષિ મોટાપાયા પર મિકેનાઇઝ્ડ છે અને તેને જંગી સરકારી સબસિડી મળે છે. અમેરિકા જેવા દેશ માટે ભારત જેવો દેશ બહુ મોટું બજાર છે. હાલમાં તો ભારતે કૃષિ બજારને ઊંચા ટેરિફ દરો વડે સંરક્ષિત રાખ્યું છે. તેના કારણે સ્થાનિક ખેડૂતોએ અવાંછિત સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો નથી. ભારત કૃષિ સેક્ટરને સંરક્ષિત રાખવા શૂન્યથી લઈને ૧૫૦ ટકા સુધીનો ઊંચો ટેરિફ રાખે છે.


