'પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી...' કાશ્મીરમાં 'મેં હિન્દૂ હૂં, માર દો ગોલી' લખેલી ટી-શર્ટ પહેરી સુરતના યુવકોએ કર્યો વિરોધ
Jammu Kashmir News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જમ્મુ કાશ્મીરના લાલચોક ખાતે રવિવારે (27 એપ્રિલ, 2025) સુરતના યુવકોએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ટી-શર્ટ પર 'મેં હિન્દૂ હૂં, #માર દો ગોલી'ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
પહલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે સુરતના યાર યુવકો જમ્મુ કાશ્મીરના લાલચોક ખાતે પહોંચીને 'મેં હિન્દૂ હૂં, #માર દો ગોલી' લખાણ વાળી ટી-શર્ટ પહેરીને ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા.
આ મામલે સુરતના યુવકોએ જણાવ્યું હતું કે, 'અમે જ્યારે આવી રીતે ટી-શર્ટ પહેરીને નીકળ્યા ત્યારે આર્મી વાળાએ અમને કાંઈ નહોતી કીધું. પરંતુ સ્થાનિક પોલીસે આ રીતે ટી-શર્ટ પહેરીને કેમ આવ્યા તેમ કહ્યું હતું. જેમાં અમે જણાવ્યું હતું કે, આતંકી ધર્મ પૂછીને લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, તો અમે અમારો ધર્મ બતાવવા આવ્યા છીએ.' યુવકોનું કહ્યું હતું કે, 'પહલગામ આતંકી હુમલા બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માગીએ છીએ કે તમે ગમે એટલા હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા નહી દઈએ. અમે ડરવાના નથી....'