RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો
Yasin Malik met with RSS Leaders: તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં, દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા JKLF (જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ)ના પ્રમુખ અને આતંકવાદી યાસીન મલિકે ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. 25 ઓગસ્ટના રોજ દાખલ કરાયેલા આ સોગંદનામામાં, મલિકે રાજકીય, ધાર્મિક અને સુરક્ષા એજન્સીઓ સાથેના પોતાના સંબંધોની વિગતો આપી છે.
મલિકે કહ્યું છે કે, 'દેશના અનેક ભૂતપૂર્વ વડાપ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશી રાજદ્વારીઓ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ વર્ષો સુધી મારી સાથે વાતચીત કરી હતી.' તેણે એવો પણ દાવો કર્યો કે બે જુદા જુદા મઠના શંકરાચાર્ય ઘણી વાર મારા શ્રીનગરના ઘરે આવ્યા હતા અને હું તેમની સાથે જાહેરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યો હતો.
RSS નેતાઓ સાથે પાંચ કલાકની બેઠક યોજી હતી
મલિકનો દાવો છે કે 2011માં તેણે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ સાથે લગભગ પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ બેઠક સેન્ટર ફોર ડાયલોગ એન્ડ રિકોન્સિલિએશન નામના થિંક ટેન્કની મદદથી થઈ હતી. તેણે કહ્યું, 'એ વિચારવા જેવી વાત છે કે આટલા ગંભીર આરોપોવાળા વ્યક્તિથી અંતર રાખવાને બદલે, સમાજના પ્રભાવશાળી લોકો તેની સાથે ખુલ્લેઆમ વાતચીત કરતા રહ્યા.'
રમઝાન યુદ્ધવિરામમાં મહત્ત્વની ભૂમિકા, અજિત ડોભાલ સાથે મુલાકાત
યાસીન મલિકે દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 2000-01માં જાહેર થયેલા 'રમઝાન યુદ્ધવિરામ'માં તેની મહત્ત્વની ભૂમિકા હતી. મલિકના સોગંદનામા મુજબ, દિલ્હીમાં તેની મુલાકાત અજિત ડોભાલ સાથે થઈ હતી, જેમણે તેને તત્કાલીન ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શ્યામલ દત્તા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા સાથે પરિચય કરાવ્યો.
વાજપેયીના નજીકના લોકોએ PoKમાં JKLF નેતાઓ સાથે સંપર્ક કરાવ્યાનો મલિકનો દાવો
મલિકનો દાવો છે કે, 'વાજપેયીના નજીકના આર.કે. મિશ્રાએ મને પોતાના ઘરે બોલાવીને બ્રજેશ મિશ્રા સાથે નાસ્તા પર મુલાકાત કરાવી. આ મુલાકાત બાદ, તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેલા JKLFના નેતાઓ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના પ્રમુખ સૈયદ સલાઉદ્દીનનો સંપર્ક કર્યો. મલિકના પ્રયાસોના પરિણામે, હુર્રિયત નેતાઓ જેવા કે અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક અને અબ્દુલ ગની લોને યુદ્ધવિરામના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન આપ્યું હતું.'
યાસીન મલિકે એ પણ કહ્યું કે, 'વાજપેયી અને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી તેના પ્રયાસોના પક્ષમાં હતા અને આ દરમિયાન તેને પહેલીવાર પાસપોર્ટ મળ્યો. 2001માં જારી થયેલા આ પાસપોર્ટથી તે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ અને પાકિસ્તાન ગયો અને ત્યાં કાશ્મીર મુદ્દા પર વાતચીતના નામે અહિંસક લોકતાંત્રિક સંઘર્ષની હિમાયત કરી.
મનમોહન સિંહ સાથે મુલાકાતનો દાવો
મલિકે આગળ દાવો કર્યો કે, 'ફેબ્રુઆરી 2006માં તેને તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે ઔપચારિક વાતચીત માટે બોલાવ્યો. તેના કહેવા મુજબ, તે બેઠકમાં મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ગંભીર પ્રયાસ કરી રહ્યું છે અને તેમણે ખાતરી આપી હતી કે હું આ મુદ્દાને ઉકેલવા માંગુ છું.'
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ
NIAએ ફાંસીની સજાની માગણી કરી
નોંધનીય છે કે 11 ઓગસ્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યાસીન મલિક માટે આતંકવાદી ભંડોળ કેસમાં મૃત્યુદંડની માગણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે મલિકને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો સમય આપ્યો છે. આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે. સરકારનો આરોપ છે કે મલિક અલગતાવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની સાર્વભૌમત્વને પડકારતો રહ્યો છે અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સાથે તેના ગાઢ સંબંધો રહ્યા છે.