Get The App

જો મુસાફરો ટ્રાફિક જામમાં ફસાયેલા રહે તો ટોલ ટેક્સ કેમ ભરે? સુપ્રીમ કોર્ટે NHAIને ફટકાર લગાવી

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
જો મુસાફરો ટ્રાફિક જામમાં ફસાયેલા રહે તો ટોલ ટેક્સ કેમ ભરે? સુપ્રીમ કોર્ટે NHAIને ફટકાર લગાવી 1 - image

Supreme Court News: ખરાબ રોડને લઇને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ વસૂલતી કંપનીને સવાલ કર્યો હતો કે કેરળના ત્રિશૂરમાં 65 કિમી લાંબો હાઇવે પસાર થવામાં 12 કલાકનો સમય લાગી જાય છે, આટલી ખરાબ સ્થિતિ હોવા છતા કોઇ મુસાફરને 150 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા મજબૂર કેમ કરી શકાય? જે મુસાફરી એક કલાકમાં પુરી થઇ જવી જોઇએ તેને પુરી કરવામાં 12 કલાકનો સમય લાગી જાય છે.   

આ પહેલા કેરળ હાઇકોર્ટે નેશનલ હાઇવે નંબર 544ની ખરાબ સ્થિતિને કારણે ત્રિસૂર જિલ્લામાં આવેલા ટોલ કલેક્શન બૂથને ટોલ વસૂલ નહીં કરવા આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશ સામે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ વસૂલનારી કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની આગેવાનીમાં બેંચે સુનાવણી કરી હતી, આ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીને આકરા સવાલો પણ કર્યા હતા. 

1 કલાકની મુસાફરીમાં 12 કલાક લાગી જાય છે : સુપ્રીમ

મુખ્ય ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે, જે રોડ પર મુસાફરી માત્ર એક જ કલાકની હોવા છતા 11 કલાકનો સમય લાગી જતો હોય તો તેવા રોડ પર કોઇ નાગરિક 150 રૂપિયાનો ટેક્સ ભરવા માટે કેમ મજબૂર થાય? સુપ્રીમને સુનાવણી દરમિયાન જાણ કરાઇ હતી કે આ હાઇવે પર 12 કલાક સુધી ટ્રાફિક જામ રહે છે. આ રોડ પર એક ટ્રક ખાડામાં ખાબકતા અકસ્માત થયો હતો, જેને કારણે ટ્રાફિક જામ રહ્યો હતો. આ પહેલા કેરળ હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો રોડ સારા ના હોય તો ટોલ ના વસુલી શકાય. જ્યારે હાલ સુપ્રીમ કોર્ટે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો.આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે જે મુસાફરો વ્યવસ્થાના અભાવે ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલા રહે છે તેમને ઇંધણ અને શાંતિ જાળવવા બદલ શું નેશનલ હાઇવે ઓથોરિટી વળતર આપશે? આ પહેલા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં કોઇ પણ પ્રકારની દખલ દેવાની ના પાડી દીધી હતી.