Get The App

મહાકાલ નગરીના જ્યોતિષે આઝાદીનું મુહૂર્ત કાઢ્યું હતું, જાણો 15 ઓગસ્ટની કેમ પસંદગી થઈ?

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
મહાકાલ નગરીના જ્યોતિષે આઝાદીનું મુહૂર્ત કાઢ્યું હતું,  જાણો 15 ઓગસ્ટની કેમ પસંદગી થઈ? 1 - image

Image: Homai Vyarawalla


Independence Day: 15 ઓગસ્ટ 1947... એ ઐતિહાસિક દિવસ છે, જ્યારે ભારતે બ્રિટિશ શાસનના બંધન તોડીને આઝાદીનો શ્વાસ લીધો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ પસંદ કરવા પાછળ ફક્ત રાજકીય જ નહીં પરંતુ જ્યોતિષીય ગણતરીઓનો પણ ઊંડો ફાળો હતો? મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર, જે પ્રાચીન સમયથી જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું કેન્દ્ર રહ્યું છે, તેણે ભારતની સ્વતંત્રતા માટે શુભ સમય શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉજ્જૈનના પ્રખ્યાત જ્યોતિષી પંડિત સૂર્યનારાયણ વ્યાસે સ્વતંત્રતાની તારીખનું શુભ મૂહુર્ત શોધી કાઢ્યું હતું. 

આઝાદીની તારીખનો પ્રશ્ન 

1946ના અંત સુધીમાં, એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અંગ્રેજો ભારત છોડીને જવાના છે. જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન બનવાના હતા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બનવાના હતા. પરંતુ સ્વતંત્રતાની તારીખ નક્કી કરવામાં માત્ર આંતરરાષ્ટ્રીય સમીકરણો જ નહીં પણ જ્યોતિષીય ગણતરીઓ પણ સામેલ હતી. અંગ્રેજોએ સ્વતંત્રતા માટે બે વિકલ્પો આપ્યા - 14 ઓગસ્ટ કે 15 ઓગસ્ટ. અહીંથી રસપ્રદ વાર્તા શરૂ થાય છે, જ્યાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિષશાસ્ત્રની સલાહ લીધી, કારણ કે તેઓ ઊંડા ધાર્મિક વિચારો ધરાવતા વ્યક્તિ હતા.

આ પણ વાંચોઃ LIVE : 'અમે પરમાણુ ધમકીઓ સાંખી નહીં લઈએ...' લાલ કિલ્લા પરથી પાકિસ્તાનને PM મોદીનો જવાબ

ઉજ્જૈનથી બોલાવવામાં આવ્યા જ્યોતિષ 

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના વિશ્વાસુ ગોસ્વામી ગણેશ દત્ત મહારાજ દ્વારા ઉજ્જૈનના પદ્મભૂષણ પંડિત સૂર્યનારાયણ વ્યાસને દિલ્હી બોલાવ્યા. વ્યાસ એક ક્રાંતિકારી, લેખક અને જ્યોતિષના મહાન વિદ્વાન હતા. રાષ્ટ્રપતિએ તેમને પૂછ્યું- આ બે તારીખમાંથી કઈ તારીખ ભારતની સ્વતંત્રતા માટે શુભ રહેશે? વ્યાસજીએ પંચાંગ ખોલ્યું, ગ્રહો અને તારાઓની ગણતરી કરી અને બાદમાં પોતાનો નિર્ણય આપ્યો.

કેમ 15 ઓગસ્ટ પસંદ કરવામાં આવી? 

વ્યાસે કહ્યું કે 14 ઓગસ્ટની કુંડળીમાં લગ્ન અસ્થિર છે, જે દેશના ભવિષ્ય માટે સારું નથી. બીજી બાજુ, 15 ઓગસ્ટની મધ્યરાત્રિ (14 અને 15 તારીખની મધ્યરાત્રિ) ના મુહૂર્તમાં સ્થિર લગ્ન છે, જે લોકશાહીને મજબૂત બનાવશે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ સલાહને મંજૂરી આપી અને રાત્રે બરાબર 12 વાગ્યે, સંસદને શુદ્ધ કરીને આઝાદીની ઘોષણા કરવામાં આવી. રસપ્રદ વાત એ છે કે કેટલાક જ્યોતિષીઓએ 15 ઓગસ્ટને અશુભ જાહેર કરી હતી, પરંતુ વ્યાસજીની ગણતરીએ ઈતિહાસ બદલી નાખ્યો. પાકિસ્તાને તેની સ્વતંત્રતા 14 ઓગસ્ટ રાખી, પરંતુ ભારતની તારીખ વ્યાસજીના મુહૂર્ત પર આધારિત રહી.

આ પણ વાંચોઃ VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ

આજે પણ જીવંત છે પરંપરા

આ કહાણી ફક્ત ઈતિહાસના પુસ્તકોમાં જ નથી, પરંતુ ઉજ્જૈનમાં હજુ પણ જીવંત છે. ત્યાં, બડા ગણેશ મંદિરમાં સ્વતંત્રતા દિવસ તિથિ અનુસાર ઉજવવામાં આવે છે - જેમ 1947માં, તે શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી હતી.

કોણ છે પંડિત સૂર્યનારાયણ વ્યાસ? 

પંડિત સૂર્યનારાયણ વ્યાસ ઉજ્જૈનના પ્રખ્યાત જ્યોતિષી હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેઓ બંને હાથે એકસાથે લખવાની અનોખી કળા અને તેમની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત હતા. 1930માં, તેમણે આગાહી કરી હતી કે ભારત 1947માં સ્વતંત્ર થશે અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે, જે પાછળથી સાચું સાબિત થયું. દેશના ટોચના નેતાઓ તેમની જ્યોતિષીય ગણતરીઓ પર આધાર રાખતા હતા.


Tags :