Get The App

હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા 1 - image

- કર્ણાટકના મુન્ડગૉડમાં ૩ મહિના સુધી 'હીઝ હોલિનેસ' રોકાશે, કાંગરા એરપોર્ટ પર તિબેટીઓ ભારતીયો અને વિદેશીઓએ તેઓને વિદાય આપી

ધર્મશાલા, કાંગરા : બૌદ્ધધર્મના સર્વોચ્ચ વડા મહા-મહીમ દલાઈ લામા આજે સવારે કાંગરાથી કર્ણાટકના મુન્ડગોર્ડ જવા રવાના થયા ત્યારે તેઓને વિદાય આપવા કેટલાયે તિબેટીઓ ભારતીયો તેમજ ઝેક રીપબ્લિક ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ચીલી, ન્યૂઝીલેન્ડ તેમજ ફીજીના નાગરિકો એરપોર્ટ પર ઉપસ્થિત હતા. તેઓે તિબેટ પ્રત્યે પોતાની એકતા દર્શાવવા સાથે તિબેટની મુક્તિ માટે અને મંત્રણા હાથ ધરવી જ જોઇએ તેમ એક અવાજે કહેતા હતા.

આ પૂર્વે હીઝ હોલિનેસ ધર્મશાળાથી કાંગરા જવા રવાના થવાના હતા ત્યારે આશરે ૨૦૦૦ જેટલા તિબેટીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાં તિબેટની આરઝી હકુમત (ગવર્નમેન્ટ ઇન એક્સાઇલ)ના મંત્રીઓ તિબેટી સંસદના સભ્યો સાધુઓ સાધ્વીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ધર્મશાલા સ્થિત મુખ્ય બૌદ્ધ મંદિર એકચેન ઓએલિંગ ત્સુગલખાંગના પૂજારી એકત્રિત થયા હતા. તે સમયે વિદેશી નાગરિકોએ તેમજ તિબેટી સંસદના નેતાઓએ ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું.

આ મુન્ડગૉડ મઠમાં અનેક તિબેટી નિર્વાહિતો રહે છે. આ મુન્ડગોડમાં ડ્રેયુંગ લોસલિંગ મઠ આવેલો છે તેમ જ ગાર્ડન મંગત્સે મોનેસ્ટિક કૉલેજ પણ આવેલી છે.

કાંગરા એરપોર્ટ પર પત્રકારોને કરેલાં સંબોધનમાં દલાઈ લામાએ કહ્યું હતું કે હું દક્ષિણ ભારત જઇ રહ્યો છું, પરંતુ હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં ભારતની જનતાએ તિબેટ પ્રત્યે હૃદયથી કરૂણા દર્શાવી છે. આપણે તિબેટીઓ અને ભારતીયો ખરા અર્થમાં આધ્યાત્મવાદીઓ છીએ - તમારો આભાર.