નવી દિલ્હી, 30 જાન્યુઆરી,2025, ગુરુવાર
૭૮ વર્ષે 30 જાન્યુઆરી 1948ના રોજ બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના માટે જઇ રહયા હતા ત્યારે ગોળીએ વિંધાયેલા મહાત્મા ગાંધીની ઇચ્છા ૧૨૫ વર્ષ જીવવાની હતી. તેમણે ઇસ ૧૯૪૨માં અખિલ હિંદ મહાસમિતિની બેઠકમાં જણાવલું કે મારે ૧૨૫ વર્ષ જીવવું છે.આ અંગે એક રમૂજી પ્રસંગ પણ જાણીતો છે.ગાંધીજીએ ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા પ્રગટ કરી તેના બીજા જ દિવસે આગાખાન મહેલમાં કેદ કરવામાં આવ્યા હતા.ગાંધીજીએ કેદના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા.
આ દરમિયાન તેમની તબિયત બગડતા અનૂયાયીઓને તેમની ચિંતા થવા લાગી. માંદગી વધી જતા સરકારે છેવટે ગાંધીજીને જેલમુકત કર્યા ત્યારે સૌ એ ૧૦૦ વર્ષ જીવો એવી શુભકામના પાઠવી હતી.પંડિત મદનમોહન માલવિયાએ તો ગાંધીજીએ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવો એવો તાર પણ કર્યો હતો.આથી ગાંધીજીએ રમૂજમાં કાગળ લખ્યો કે હું ૧૨૫ વર્ષ જીવવા માંગતો હતો પરંતુ તમે એક જ કલમે મારા ૨૫ વર્ષ ઓછા કરી નાખ્યા.આથી હવે તેને આપના આયૂષ્યમાં જ ઉમેરી દો.
હે પ્રભુ મોત આપે તો એવું આપજે કે એક હાથમાં રેંટિયોને બીજા હાથમાં પૂણી હોય

ગાંધીજન જુગતરામ દવેએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે હે પ્રભુ મોત આપે તો એવું આપજે કે એક હાથમાં રેંટિયાનો હાથો હોય,બીજા હાથમાં પૂણી રહી હોય ને આંખો મીંચાઇ જાય,એવી પ્રાર્થના ગાંધીજી કરતા હતા.ગાંધીજીને પોતાનો રેંટિયો ખૂબજ પ્રિય હતો. રેટિંયો કાંતવો જ એવું એમને વ્રત હતું.ગમે તેવું કામ હોય તોપણ ગાંધીજી રેટિંયો કાત્યા વિના રહેતા નહીં.તેઓ મુસાફરીમાં હોય ત્યાંરે પણ રેંટિયો સાથે રાખતા અને ફૂરસદ કાઢીને જરુર કાંતતા હતા.
માંદા પડયા હોય અને અશકિત આવી ગઇ હોય તોય તેઓ કાંતવાનો આગ્રહ રાખતા હતા.જેલમાં જાય ત્યાં પણ તેઓ દરરોજ રેટિંયો અચૂક કાંતતા હતા.ગાંધી આક્ષમમાં તેઓ બપોર નિયમિત રેટિંયો કાંતતા હતા.ઓછામાં ઓછું એક કલાક કાંતવું અને ઓછામાં ઓછા ૧૬૦ તાર કાઢવા એવો તેમનો નિયમ હતો.દરેક જણે દરરોજ અરધો કલાક રેટિંયો કાંતવો જોઇએ એવો તેમનો ઉપદેશ હતો. યરવડા જેલમાં તેમણે બે ચક્રવાળા રેટિંયાની શોધ કરી હતી.આથી તેને યરવડા ચક્ર કહેવામાં આવે છે.
ગાંધીજીએ કહેલું કે કોઇ મને ગોળીએ મારે તો જ મને મહાત્મા જાણજો

ગાંધીજીએ ૨૯ મી જાન્યુઆરી ૧૯૪૮ની છેલ્લી રાત્રિએ માથામાં તેલ માલિશ કરનારા એક સેવકને કહેલું કે જો હું રોગથી મરુ કે નાની ફોડકીથીયે મરુ તો દુનિયાને પોકારી પોકારીને કહેજો કે આ દંભી મહાત્મા હતો તો જ હું જયાં હોઇશ ત્યાં મારા આત્માને શાંતિ થશે.ભલે મારે ખાતર લોકો કદાંચ તને ગાળો દે,મારી નાખે, પણ રોગથાી મરુ તો દંભી મહાત્મા જ ઠેરવજે. એક અઠવાડિયા પહેલા જેમ ધડાકો થયો હતો તેમ કદાંચ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢા માંથી સિસકારો ન નીકળતા રામજીનું રટણ ચાલતું હોય તો જ કહેજો કે સાચો મહાત્મા હતો.


