શ્રીકૃષ્ણના સૌથી મોટા ધામમાં કોરિડોરને લઈને કેમ થયો વિવાદ? ગોસ્વામીઓ સરકારથી નારાજ
Banke Bihari Temple Controversy: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. એવામાં જાણીએ કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે.
શા માટે કોરિડોરની જરૂર છે?
બાંકે બિહારી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ જ સંખ્યા તહેવારો કે રજાઓમાં લાખો સુધી પહોંચી જાય છે. મંદિર સુધી પહોંચવાના સાંકડા રસ્તાઓ અને અતિશય ભીડને કારણે વ્યવસ્થા બગડી જાય છે. આથી સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા અને શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે કોરિડોર બનાવવા માંગે છે.
ગોસ્વામી સમાજનો વિરોધ શા માટે?
ગોસ્વામી સમાજ આ કોરિડોરનો સખત વિરોધ કરી રહ્યો છે અને જો આ પ્રોજેક્ટ આગળ વધશે તો તેઓ ઠાકુરજીને લઈને પલાયન થવાની ધમકી આપી રહ્યા છે. એવામાં જાણીએ કે ગોસ્વામી સમાજ આટલો વિરોધ શા માટે કરી રહ્યો છે...
ખાનગી સંપત્તિનો દાવો
ગોસ્વામી સમાજનું કહેવું છે કે મંદિર અમારી ખાનગી સંપત્તિ છે અને સરકાર તેમાં દખલ કેમ કરી રહી છે. જોકે, મહેસૂલી દસ્તાવેજો મુજબ, આ જમીન મંદિરના નામે નહીં, પરંતુ ગોવિંદદેવના નામે નોંધાયેલી છે.
વૃંદાવનના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ
ગોસ્વામી સમાજનો દાવો છે કે કોરિડોર બનવાથી વૃંદાવનની સદીઓ જૂની 'કુંજ ગલીઓ' (સાંકડી શેરીઓ) નષ્ટ થઈ જશે, જેનાથી વૃંદાવનની અનન્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વાતાવરણ જ નહીં રહે.
આજીવિકા પર અસર
કોરિડોર નિર્માણ માટે લગભગ 100 દુકાનો અને 300 ઘરોનું અધિગ્રહણ કરવાનું છે. આમ તો સરકાર યોગ્ય વળતર અને દુકાનના બદલે દુકાન આપવાની વાત કરી રહી છે, પરંતુ ગોસ્વામીઓને ભય છે કે આનાથી તેમની આવક પર નકારાત્મક અસર પડશે અને દુકાનોના ટેન્ડર મનમાની રીતે પાસ કરવામાં આવશે.
વહીવટી સ્વાયત્તતા
ગોસ્વામી સમાજ સરકાર દ્વારા ટ્રસ્ટ બનાવવાના અધ્યાદેશને પણ માનવાનો ઇન્કાર કરી રહ્યો છે, કારણ કે તેઓ માને છે કે આનાથી મંદિરના સંચાલનમાં તેમની પરંપરાગત ભૂમિકા છીનવાઈ જશે.
ન્યાયિક દખલગીરી
આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મંદિરના સ્થાપક સ્વામી હરિદાસ ગોસ્વામીના વંશજ દેવેન્દ્ર નાથ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે, 'આ પુનર્વિકાસ પ્રોજેક્ટ અવ્યવહારુ છે. મંદિરનો ઐતિહાસિક વારસો અને તેની સાથે જોડાયેલા લોકોની ભાગીદારી વગર આ પ્રોજેક્ટ પર કામ કરવું એ વહીવટી અરાજકતાનું કારણ બની શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના 8 નવેમ્બર, 2023ના આદેશમાં સુધારો કરીને યુપી સરકારની યોજનાને આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો હતો.
ગોસ્વામી સમાજ દાવો કરી રહ્યો છે કે કોરિડોર બનવાથી મંદિર અને તેની આસપાસનું ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વરૂપ બદલાઈ જશે, જેનું ઐતિહાસિક અને ભક્તિમય મહત્ત્વ છે.