Nipah Virus Case: પશ્ચિમ બંગાળમાં હાલ નિપાહ વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પહેલા બે સ્વાસ્થ્ય કર્મીઓ બાદ હવે અન્ય ત્રણ લોકોમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેની સાથે પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.
ICUમાં દાખલ, હાલત ગંભીર
હાલ બંને સંક્રમિત સ્વાસ્થ્ય કર્મીઓને ICUમાં સારવાર અપાઈ રહી છે. બંનેની હાલત ગંભીર છે. સ્વાસ્થ્ય અધિકારીઓ આ વાયરસના સંપર્કમાં ત્યારે આવ્યા જ્યારે તે આ વાયરસ સંક્રમિતની શંકાએ 120 લોકોને ટ્રેક કરી રહ્યા હતા. તે તમામ લોકોને હોમ કવોરન્ટાઇનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડૉક્ટરોએ ઍલર્ટ જાહેર કર્યું
પશ્ચિમ બંગાળામાં વધતાં પ્રકોપને જોતાં ડૉક્ટરોએ ઍલર્ટ જાહેર કરી દીધું છે. મહત્ત્વનું છે કે નિપાહ વાયરસનું સંક્રમણ દર અને તેનાથી થતાં મૃત્યુ બંને ખતરાની ઘંટડી સમાન છે. સંક્રમણના શિકાર થતાં લોકોમાંથી 40થી 70 ટકા લોકોનું મોત થાય છે. આ જોખમોને ધ્યાને રાખીને સ્થાનિક લોકોને વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર ચિંતત એ માટે છે કે જે લોકોને નિપાહ વાયરસનો ભોગ બન્યા છે તેમની રાજ્ય બહારની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
70% મૃત્યુદર: અત્યંત જીવલેણ વાયરસ
નિપાહ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા(Fruit Bats) દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. નિપાહ વાયરસમાં મૃત્યુદર 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે છે.
કઈ રીતે ફેલાય છે નિપાહ વાયરસ?
પ્રાણીઓથી મનુષ્યો સુધી: આ વાયરસ ચામાચીડિયા અથવા ડુક્કરના મળ, મૂત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે.
મનુષ્યોમાંથી મનુષ્યોમાં: સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.
આ પણ વાંચો: 10મું પાસ લોકો માટે RBIમાં બમ્પર ભરતી, 572 જગ્યા ખાલી, જાણો પગાર-વયમર્યાદા વિશે
લક્ષણ
દિવસ: વાયરસ શરીરમાં પ્રવેશ કરતાં 4થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે.
શરુઆતના લક્ષણો: તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.
ગંભીર લક્ષણ: શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).


