India

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું

By GS TEAM
10 Mar 20262 mins read
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું

- સીઇસી જ્ઞાનેશ કુમારની રાજકીય પક્ષો-અધિકારીઓ સાથે બેઠક 

- મુખ્ય ચૂંટણી કમિશ્નરે બંગાળ સરકારના અધિકારીઓને ધાક-ધમકી આપી, જરા પણ સાંખી નહીં લઇએ : મમતાનો આરોપ

કોલકાત્તા : બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તાકીદ કરી હતી કે બંગાળની ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જે કોઈ જોખમમાં મૂકશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક કરીને મુખ્ય ચૂંટણી કમિશ્નરે આવનારી ચૂંટણી અંગે જાણકારી મેળવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે રાજ્યના ચૂંટણી પંચ સાથે, રાજ્યના અધિકારીઓ સાથે ચૂંટણીને લગતી સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, એમાં રાજ્યના નાર્કોટિક્સ એડવાઈઝરી સમિતિની ગેરહાજરી અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યના પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમણે કહ્યું હતું કે ચૂંટણી વખતે કાયદો-વ્યવસ્થાનું યોગ્ય પાલન થવું જરૂરી છે. કાયદો-વ્યવસ્થાનો ભંગ થશે તો આકરા પગલાં ભરાશે. અરાજકતા ન સર્જાય તે માટે તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. રાજ્યની તમામ એજન્સીઓને તેમણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઝીરો ટોલરન્સની પૉલિસી અપનાવવાની ભલામણ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે સત્તાધારી પાર્ટી ટીએમસી, મુખ્ય વિપક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરી સહિતના પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ એસઆઈઆરના મુદ્દે બેઠક કરી હતી. ટીએમસીએ એસઆઈઆર મુદ્દે લોકોને પરેશાન કરાતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ ભાજપે તેને સમયસરની અને જરૂરી કાર્યવાહી ગણીને સમર્થન આપ્યું હતું.

બીજી તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર પર આરોપ લગાવતા કહ્યું હતું કે બંગાળમાં આવીને દેશના મુખ્ય ચૂંટણી કમિશ્રર રાજ્યના અધિકારીઓને ડરાવી-ધમકાવી રહ્યા છે. એસઆઈઆર મુદ્દે મમતા બેનર્જીએ ફરીથી કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશન પર સવાલો ઉઠાવ્યા હતા. મમતા બેનર્જી એસઆઈઆર મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. તેમણે ધરણાના સ્થળેથી જ ચૂંટણી કમિશ્નર સામે બંગાળના અધિકારીઓને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કટાક્ષ કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર બહાદુરી બતાવી રહ્યા છે, એ સારી બાબત છે. પરંતુ ખોટી બહાદુરીનો કોઈ અર્થ નથી. મારો તો એક જ મુદ્દો છે કે મતદાન એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે. હું એ અધિકાર અપાવવા માટે લડી રહી છું.