વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Washington Post lay off News : દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંના એક ગણાતા 'વોશિંગ્ટન પોસ્ટ'માં આવેલા મોટા આર્થિક અને માળખાગત ફેરફારોને કારણે પત્રકારત્વ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અખબારે તેના કુલ સ્ટાફના લગભગ ત્રીજા ભાગના એટલે કે 300થી વધુ કર્મચારીઓની એકસાથે છટણી કરી દીધી છે, જેમાં ભારતીય સાંસદ શશી થરૂરના પુત્ર અને વરિષ્ઠ સ્તંભકાર ઈશાન થરૂરનો પણ સમાવેશ થાય છે.

ઈશાન થરૂરની ભાવુક પ્રતિક્રિયા
ઈશાન થરૂર, જેઓ વોશિંગ્ટન પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત સ્તંભકાર તરીકે કાર્યરત હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખાલી ન્યૂઝરૂમની તસવીર શેર કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, "આજે આંતરરાષ્ટ્રીય સ્ટાફના મોટાભાગના સાથીઓ સાથે મને પણ લે-ઓફ કરી દેવામાં આવ્યો છે. પાંચ લાખ સબસ્ક્રાઇબર્સ જેમણે વર્ષો સુધી મારા રિપોર્ટિંગને વાંચ્યું અને પ્રોત્સાહન આપ્યું, તેમનો હું આભારી છું." ઈશાનના મતે આ કટૌતી વૈશ્વિક પત્રકારત્વના સ્તરને નુકસાન પહોંચાડશે.
સંસ્થાની પ્રતિષ્ઠા સામે સવાલ
વોશિંગ્ટન પોસ્ટના આ આક્રમક વલણની પૂર્વ એડિટરોએ આકરી ટીકા કરી છે. ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર માર્ટિન બેરોને આ પગલાને "બ્રાન્ડનું જ અસ્તિત્વ ખતમ કરવા સમાન" ગણાવ્યું છે. ખાસ કરીને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરનાર પત્રકારોને કાઢી મૂકવાના નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યચકિત છે. યુક્રેન જેવા ખતરનાક વિસ્તારોમાંથી રિપોર્ટિંગ કરનાર લિઝી જોન્સનને પણ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
બદલાતી ટેકનોલોજી અને નવું માળખું
અખબારના વર્તમાન મેનેજમેન્ટનું કહેવું છે કે બદલાતી ટેકનોલોજી અને વાચકોની આદતો મુજબ અખબારને ફરીથી બેઠું કરવા માટે આ પુનર્ગઠન અનિવાર્ય હતું. મેટ મરેએ સ્પષ્ટ કર્યું કે સંસ્થા હવે 'દરેક માટે બધું' બની શકતી નથી અને આર્થિક બોજ ઘટાડવા માટે આ પ્રકારના કડક નિર્ણયો લેવા પડ્યા છે. 150 વર્ષથી અમેરિકન લોકશાહીના સ્તંભ સમાન ગણાતા આ અખબારની વર્તમાન દિશાને લઈને પત્રકારત્વના નિષ્ણાતો ચિંતિત છે.








