India

પ. બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું - 'મંદિર-મસ્જિદ' થી વોટ નથી મળતાં...'

By GS TEAM
2 Jan 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં 'જૂના વિરુદ્ધ નવા' નેતાઓ વચ્ચેનો આંતરિક સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના બીજા જ દિવસે, રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પોતાની જ પાર્ટીની રણનીતિઓ અને તાજેતરમાં પક્ષમાં જોડાયેલા નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. દિલીપ ઘોષે ગુરુવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે માત્ર ધાર્મિક મુદ્દાઓના આધારે ચૂંટણી જીતવી શક્ય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ. બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું - 'મંદિર-મસ્જિદ' થી વોટ નથી મળતાં...'

West Bengal BJP : પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં 'જૂના વિરુદ્ધ નવા' નેતાઓ વચ્ચેનો આંતરિક સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના બીજા જ દિવસે, રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પોતાની જ પાર્ટીની રણનીતિઓ અને તાજેતરમાં પક્ષમાં જોડાયેલા નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. દિલીપ ઘોષે ગુરુવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે માત્ર ધાર્મિક મુદ્દાઓના આધારે ચૂંટણી જીતવી શક્ય નથી.

અયોધ્યાનું ઉદાહરણ આપ્યું 

તેમણે 2024ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું, "અયોધ્યામાં રામ મંદિર બનવા છતાં ભાજપ ફૈઝાબાદ બેઠક હારી ગયું. આનાથી સ્પષ્ટ થાય છે કે મંદિર-મસ્જિદના મુદ્દાઓ ચૂંટણી પરિણામોને પ્રભાવિત નથી કરતા." તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પણ કટાક્ષ કરતા કહ્યું કે જો તે વિચારે છે કે મંદિરો બનાવીને 2026ની ચૂંટણી જીતી લેશે, તો તે તેમની ગેરસમજ છે.

નવા નેતાઓ પર આકરા પ્રહાર

દિલીપ ઘોષે નામ લીધા વિના એવા નેતાઓ પર નિશાન સાધ્યું જેઓ 2021ની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું, "ભાજપમાં દરેક વ્યક્તિ એક કાર્યકર છે. જે લોકો તાજેતરમાં પાર્ટીમાં આવ્યા છે, તેમણે પોતાની ઓળખ અને ઉપયોગીતા સાબિત કરવી પડશે." ઘોષના આ નિવેદનને શુભેન્દુ અધિકારી જેવા નેતાઓ વિરુદ્ધ સીધા હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

પાર્ટીમાં સાઈડલાઈન થયાનું દર્દ

દિલીપ ઘોષે પહેલીવાર ખુલીને સ્વીકાર્યું કે તેમને પાર્ટીની અંદર અલગ-થલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "મારી વિરુદ્ધ પાયાવિહોણી અને એજન્ડા આધારિત થિયરીઓ ફેલાવવામાં આવી અને મને અલગ-થલગ કરી દેવામાં આવ્યો. મેં કેન્દ્રીય નેતૃત્વને મારી ચિંતાઓથી વાકેફ કરી દીધા છે. હું ખોવાઈ જવાથી ડરતો નથી, મને હાઈકમાન્ડ પર પૂરો વિશ્વાસ છે."

કેન્દ્રીય નેતૃત્વની દખલગીરી અને ઘોષની તૈયારી

દિલીપ ઘોષે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 2026ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જૂની અને ઘરેલુ બેઠક (ખડગપુર સદર) પરથી ચૂંટણી લડવા માંગે છે. આ માટે તેમણે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર પાસેથી શનિવારથી ખડગપુરમાં ત્રણ દિવસના અભિયાનની મંજૂરી પણ માંગી છે.

નડ્ડા અને પીએમ મોદી કરશે બંગાળનો પ્રવાસ 

પાર્ટીની અંદરની આ આંતરિક ખેંચતાણ વચ્ચે, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ હવે બંગાળમાં પોતાની સક્રિયતા વધારવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ટૂંક સમયમાં કોલકાતાનો પ્રવાસ કરશે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર બંગાળમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી શકે છે. જાન્યુઆરીના અંત સુધીમાં અમિત શાહ ફરી એકવાર કોલકાતા આવશે, જ્યાં તેઓ સંગઠનાત્મક બેઠકો દ્વારા આ મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરશે.