ECI News : બિહારની જેમ હવે સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. આ દેશવ્યાપી પ્રક્રિયાને શરૂ કરતા પહેલા ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવા માટેની પ્રક્રિયામાં બિહારમાં હાથ ધરાયેલા વેરિફિકેશનનો અનુભવ ઉપયોગમાં લેવાશે. એવા અહેવાલો છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ સાથેની બેઠકમાં દેશવ્યાપી પ્રક્રિયા માટે સંમતિ બની છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા જ દેશવ્યાપી એસઆઇઆર (મતદાર વેરિફિકેશન)ની જાહેરાત કરવામા ંઆવી શકે છે. જોકે આ પ્રક્રિયા ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે કોઇ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. અંતિમ તારીખ ત્યારે જ નક્કી થઇ શકે જ્યારે તમામ રાજ્યોના સીઇઓ પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપશે. ચૂંટણી પંચનો એવો દાવો છે કે આ સમગ્ર પ્રક્રિયાથી મતદારોની યાદી અપડેટ થઇ જશે સાથે જ પારદર્શિતા અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું તેમાં 65 લાખ જેટલા મતદારોનો નવા ડ્રાફ્ટમાં સમાવેશ નથી થયો, જોકે તેમને પોતાનો જવાબ રજુ કરવાની તક આપવામાં આવી છે. જોકે બિહારની પ્રક્રિયામાં આધાર કાર્ડનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, જેને પગલે હવે ચૂંટણી પંચે આધાર કાર્ડને ૧૨માં દસ્તાવેજ તરીકે સ્વીકારવા રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો હતો. સાથે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે નાગરિકતાનો નહીં. સુપ્રીમ કોર્ટે પણ પોતાના આદેશમાં આ સ્પષ્ટતા કરી હતી.
બીજી તરફ સમગ્ર દેશમાં બિહારની જેમ મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેને લઇને કોઇ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ એવા અહેવાલો છે કે આ પ્રક્રિયા ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવી શકે છે. એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે તમામ રાજ્યોના સીઇઓને કહ્યું છે કે તેઓ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તમામ દસ્તાવેજી કાર્યવાહી અને અન્ય તૈયારીઓ પૂર્ણ કરી લે. મોટાભાગના રાજ્યોએ પણ આ અંગે સંમતિ દર્શાવી હોવાના અહેવાલો છે.


