‘નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા?’ મતદાતા અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
Voter Adhikar Yatra : વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું પટણામાં સમાપન થયું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી, આ દરમિયાન બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ અને ચૂંટણી પંચ મળીને 'વૉટ ચોરી' કરી રહ્યા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગાર પર સીધો હુમલો છે.
‘વૉટ ચોરી એટલે અધિકારની ચોરી’
રાહુલ ગાંધીએ કહ્યું કે, વૉટ ચોરી માત્ર ચૂંટણીમાં ગેરરીતિ નથી, પરંતુ તે દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. વૉટ ચોરી એટલે તમારા અધિકારો, આરક્ષણ, રોજગાર અને શિક્ષણના અવસરોની ચોરી. જો આ ચાલુ રહેશે, તો તમારું રાશન કાર્ડ અને તમારી જમીન પણ છીનવીને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે.
‘નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા?’
તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના પાસેથી ચૂંટણી છિનવી લેવાઈ. લોકસભા ચૂંટણી બાદ લગભગ એક કરોડ નવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે. અમારા ગઠબંધનને લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લગભગ બરાબરના મત મળ્યા હતા, તો પછી આ નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા? આ બાબત દર્શાવે છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટની ચોરી કરી રહ્યા છે.’ૉ
મતદાતા અધિકાર યાત્રાને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું : રાહુલ ગાંધી
કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જે શક્તિઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ શક્તિઓ આજે સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે આવું નહીં કરવા દઈએ. મતદાતા અધિકાર યાત્રાને સમગ્ર બિહાર અને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું છે.’
લોકશાહીને નબળી પાડવાનું ભાજપનું ષડયંત્ર : તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવ (Tejashwi Yadav) અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ આ સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, ભાજપ (BJP) લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે, પરંતુ બિહારની જનતા-2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં તેનો જડબાતોડ જવાબ આપશે. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન