- વિશાખાપટ્ટનમમાં માર્ચમાં યોજાનારી ''ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ''ની પૂર્વ તૈયારી માટે ગયેલા મુખ્ય મંત્રીએ કહ્યું : ''મારી ઓફિસ ત્યાં રહેશે''
વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશનું નવું પાટનગર, વિશાખાપટ્ટનમ્ બનશે. વિશાખાપટ્ટનમમાં માર્ચ મહિનામાં યોજાનારી ''ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ''ની પૂર્વ-તૈયારીઓ માટે ગયેલા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં તેઓ તેમની ઓફિસ પણ ત્યાં જ ફેરવશે.
''ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ'' પૂર્વે અહીં આપેલા કેટલાક રોકાણકારોને જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે હું તમોને વિશાખાપટ્ટનમમાં આવવા આમંત્રણ આપું છે. આ શહેર થોડા સમયમાં આંધ્ર પ્રદેશનું પાટનગર બનશે. હું પોતે પણ મારી ઓફિસ થોડા મહિનામાં અહીં જ ફેરવવાનો છું.
ઉલ્લેખનીય તો તે છે કે ૨૦૧૫ માં તે સમયના રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અમરાવતીને આંધ્રપ્રદેશનું પાટનગર બનાવવા ખેડૂતો પાસેથી ૩૩૦૦૦ એકર જમીન પણ પ્રાપ્ત કરી હતી. પરંતુ ૨૦૧૯ માં જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમને ''એક્ઝીક્યુટિવ કેપિટલ'' બનાવવા નિર્ણય લીધો. જ્યારે અમરાવતીને લેજિસ્લેટિવ કેપિટલ રાખવા નક્કી કર્યું અને કર્નૂલને ન્યાયિક-પાટનગર રાખવામાં આવશે.
આ અંગે રેડ્ડી સરકારે ગત વર્ષના નવેમ્બરમાં એક વિધેયક પણ પસાર ફરી કર્યું. જેમાં આ ત્રણ પાટનગર અંગેનું જૂનું વિધેયક દૂર કરી, તેમાં રહેલી ઉણપો દૂર કરવા સાથે નવું વિધેયક પસાર કરાયું છે.


