Get The App

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો 1 - image

Bailey Bridge Collapse Viral Video: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-5 (NH-5) પર ઉરની ડાક નજીક આવેલો 190 ફૂટ લાંબો બેલી બ્રિજ મંગળવારે અચાનક તૂટી પડ્યો. ઘટના સમયે રેતીથી ભરેલું 10 ટાયરવાળું ડમ્પર પુલ પરથી પસાર થઈ રહ્યું હતું, જે બ્રિજ પડી જતાં ઝપેટમાં આવી ગયું. રાહતની વાત એ છે કે ડમ્પર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ ઘટનાના વાઈરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ડમ્પરની પાછળ જ કિનારે એક કાર ઉભી હતી પણ ચાલકની સતર્કતાના કારણે કોઈ નુકસાન થયું નથી.જુઓ વાઈરલ વીડિયો

નેશનલ હાઈવે ઓથોરિટીએ શું કહ્યું?

નેશનલ હાઈવે ઓથોરિટી ડિવિઝન રામપુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે-'પુલની નિયમિત દેખરેખ અને જાળવણી કરવામાં આવી રહી હતી. 5 જૂનના રોજ જ તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. બેલી બ્રિજની નિર્ધારિત વજન ક્ષમતા 28 ટન હતી, જ્યારે અકસ્માત સમયે પુલ પરથી પસાર થઈ રહેલું 10 ટાયરવાળું ડમ્પર ક્ષમતા કરતા વધુ વજન લઈને જઈ રહ્યું હોઈ શકે છે. પુલ તૂટવાનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પોલીસ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ તારણ કાઢવામાં આવશે.'

નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી

મહત્વનું છે કે આ ઘટના છતાં નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી. જૂના રસ્તાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે. કિન્નોર, શિમલા અને ભારત-તિબેટ સરહદી વિસ્તારને જોડતા આ જરૂરી માર્ગ પર પરિવહન પ્રભાવિત થયું નથી.

આ પણ વાંચો: કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ

બેલી બ્રિજ વૈકલ્પિક માર્ગ હતો

જોખમને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં સતલજ નદી પર આશરે 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવીને વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે મૂળ નેશનલ હાઈવેનો ભાગ સતત કાટમાળ પડવાને કારણે ખોરવાયેલો રહેતો હતો.વર્તમાન સમયમાં આ ભૂસ્ખલન પ્રભાવિત હિસ્સાને કાયમી ધોરણે સુરક્ષિત બનાવવા માટે સુરંગ (ટનલ) નિર્માણનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વાહનવ્યવહાર પર કુદરતી આફતોની અસર ઓછી કરી શકાય.