India

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ

By GS TEAM
15 Aug 20252 mins read
TukuTouch Logo
ઉત્તરકાશીના ધરાલીમાં આભ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો ત્યાં જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે આભ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ

Kishtwar Cloud Burst : ઉત્તરકાશીના ધરાલીમાં આભ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો ત્યાં જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે આભ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા. 



જાણો કેવી છે સ્થિતિ... 

લોકોના મકાનો, લંગરના સ્થળો, વાહનો જાણે રમકડાં બની ગયા હતા અને ભયાનક પૂરમાં તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે જ્યારે લગભગ 120 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ચિંતાની વાત એ છે કે 200 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો, લંગર કામદારો અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. 



167 ને બચાવાયા, રાત્રે રેસ્ક્યૂમાં તકલીફ પડી 

અહેવાલ અનુસાર કાટમાળ નીચેથી 167 લોકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન, સેના અને સુરક્ષા દળોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. યાત્રા માર્ગ પર અંધારાને કારણે રાત્રે કામગીરી બંધ કરવી પડી હતી.



ધાર્મિક યાત્રા સ્થગિત 

શુક્રવારે સવારે ફરી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારી મચૈલ યાત્રા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. જોકે આ યાત્રા માટે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ આવે છે, પરંતુ પ્રાથમિક તપાસમાં, મોટાભાગના મૃતકો અને ઘાયલો જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ છે.



ગામનો અડધો ભાગ ભયંકર પૂરની ઝપેટમાં

કિશ્તવાડ જિલ્લો જમ્મુથી લગભગ 115 કિમી દૂર છે અને મચૈલ ગામ તેનાથી 95 કિમી દૂર છે. મચૈલ યાત્રા 25 જુલાઈએ શરૂ થઈ હતી, જે 43 દિવસ સુધી ચાલુ રહેવાની હતી. યાત્રા સતત ચાલી રહી હતી અને વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી પણ જારી કરી હતી. ગુરુવારે બપોરે લગભગ 12:30 વાગ્યે વરસાદ વચ્ચે મચૈલ માતાના મંદિરથી લગભગ આઠ કિલોમીટર પહેલા, ચિશોતી વિસ્તારના ઉપરના પર્વતો પર અચાનક વાદળ ફાટ્યું. તેના કારણે ચિશોતી નાળામાં ભારે પૂર આવ્યું, જે કાદવ અને કાટમાળ સાથે લઈને ધસી આવ્યું. જેના કારણે અડધું ચિશોતી ગામ પાણીમાં ડૂબી ગયું.