India

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટમાં 21 મજૂરોના મોત. ટેકનિકલ ખામી છતાં ઉત્પાદન વધારવાની લાલચમાં દુર્ઘટના ઘટી હોવાનો ખુલાસો. અનિલ અગ્રવાલ સામે FIR.

Summarized by AI; it may make mistakes. Check important info

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ

Vedanta Power Plant Blast Chhattisgarh: છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ગંભીર બેદરકારી બદલ વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પ્લાન્ટ મેનેજર દેવેન્દ્ર પટેલ સહિતના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

કેવી રીતે સર્જાયો ભયાનક અકસ્માત?

14 એપ્રિલ 2026ના રોજ બપોરે 2:33 વાગ્યે જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે બોઈલર-1માં જોરદાર વિસ્ફોટ થયો હતો. બોઈલર મુખ્ય નિરીક્ષકના રિપોર્ટ અનુસાર બોઈલર ફર્નેસની અંદર જરૂર કરતા વધુ ઈંધણ જમા થઈ ગયું હતું. જેના કારણે અચાનક અસામાન્ય દબાણ ઉભું થયું અને વિસ્ફોટ થયો. આ દબાણ એટલું પ્રચંડ હતું કે બોઈલરની નીચેની પાઈપલાઈન પોતાની જગ્યાએથી ખસી ગઈ અને લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

ચેતવણીઓને કેમ નજરઅંદાજ કરાઈ?

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દુર્ઘટનાના કલાકો પહેલા જ પ્લાન્ટના સેફ્ટી સિસ્ટમમાં રેડ એલર્ટ આવી રહ્યા હતા. સવારથી જ પ્રાઈમરી એર (PA) ફેન વારંવાર ફેઈલ થઈ રહ્યો હતો. કંટ્રોલ રૂમની લોગબુક મુજબ સવારે 10:30 વાગ્યે ખામી નોંધાઈ હોવા છતાં પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો નહોતો.

ઉત્પાદન વધારવાની લાલચ ભારે પડી?

સૌથી ગંભીર બાબત એ છે કે ટેકનિકલ ખામી હોવા છતાં, બપોરે 1:03 થી 2:09 ની વચ્ચે બોઈલરનો લોડ 350 મેગાવોટથી વધારીને 590 મેગાવોટ કરી દેવામાં આવ્યો હતો. માત્ર એક કલાકમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની આ ઉતાવળે જ મજૂરો માટે મોતનો છટકું તૈયાર કર્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?

પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરના નિર્દેશ પર ડભરા પોલીસ સ્ટેશનમાં અનિલ અગ્રવાલ, દેવેન્દ્ર પટેલ અને NGSL કંપનીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1), 289 અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. એડિશનલ એસપી પંકજ પટેલના નેતૃત્વમાં SIT આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.