મધરાતે સીએમ આવાસ પર આવ્યો ફોન, વારાણસી જ્ઞાનવાપી કોર્ટને ઉડાડી દેવાની ધમકી
નવી દિલ્હી,તા. 1 ઓક્ટોબર 2022, શનિવાર
ઉત્તર પ્રદેશમાં બે ધમકીભર્યા ફોન કોલ આવવાથી લખનૌથી વારાણસી સુધી હલચલ મચી ગઇ છે. એક ધમકીભર્યો કોલ લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવ્યો હતો, જ્યારે બીજો કોલ વારાણસીના એસપી ગ્રામીણને આવ્યો હતો. આ બંને ફોન કોલ્સમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી ચાલી રહી છે તે કોર્ટ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા કોલના કારણે પોલીસ વિભાગ પણ દોડતી થઇ ગઇ હતી.
શુક્રવારની મધ્યરાત્રિએ લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક ફોન આવ્યો હતો, જેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વારાણસીના ફુલવરિયાથી CM આવાસ પર કોલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતાં તે શાકભાજી વિક્રેતાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક શાકભાજી વેચનારને કસ્ટડીમાં લીધો હતો.
જોકે, આ આખી ઘટનામાં જેના નંબરથી કોલ આવ્યો હતો તે શાકભાજી વિક્રેતાનું કહેવું છે કે, તેમનો ફોન ચોરાઈ ગયો હતો. કોઈએ તેના ફોન સાથે મસ્તી કરી છે. સીએમ નિવાસે વારાણસી કમિશનરે આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ફોન કરનાર આરોપી હજુ પકડની બહાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, એસપી ગ્રામ્યના ફોન પર મુખ્યમંત્રીને લઈને ધમકી આપવામાં આવી હતી.