PHOTO : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttarakhand Cloudburst : ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ભયંકર તબાહી મચી છે. રાજધાની દેહરાદૂન સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સોમવાર રાતથી બુધવાર સુધી પડેલા ભારે વરસાદથી નદીઓ અને નાળાં છલકાયા છે, જેના કારણે ઘણા ઘરો, રસ્તાઓ અને પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

કુદરતી આફતમાં 17 લોકોના મોત
આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 16 લોકો હજુ પણ લાપતા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (USDMA) અનુસાર સૌથી વધુ નુકસાન દેહરાદૂન જિલ્લામાં થયું છે, જ્યાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત નૈનીતાલ અને પિથૌરાગઢમાં પણ એક-એકનું મોત થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
અહીંના વિકાસનગર વિસ્તારમાં ટૉન્સ નદીના વધેલા જળસ્તરને કારણે એક ટ્રેક્ટર-ટ્રોલી પાણીમાં પલટી જતાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદના છ લોકોના મોત થયા છે અને ચાર લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ કહ્યું કે, મૃતકોના પીડિત પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર વળતર આપશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની અને મૃતદેહોના સન્માનજનક ગામ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

900થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 900થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. દેહરાદૂન, ટિહરી અને નૈનીતાલ જિલ્લાઓમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 25-30 સ્થળોએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. દેહરાદૂન સહિત આસપાસના જિલ્લાઓમાં તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

21 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ
હવામાન વિભાગે 21 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર (18 સપ્ટેમ્બર)થી શનિવાર (20 સપ્ટેમ્બર) સુધી પણ હવામાનનું મિજાજ બદલાતું રહેશે. ગુરુવારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા 69 ટકા છે. શુક્રવારે (19 સપ્ટેમ્બર) બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા 51 ટકા છે. શનિવારે (20 સપ્ટેમ્બર) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા ઘટીને 24 ટકા થવાની સંભાવના છે.









