Photos : સામે આવી અયોધ્યા રામલલ્લાની મંદિરની નવી તસવીરો, જુઓ કેટલું તૈયાર થયું તીર્થ ક્ષેત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અયોધ્યા, તા.20 નવેમ્બર-2023, સોમવાર
ઉત્તર પ્રદેશની રામ નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ઝડપી કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાત-પ્રતિષ્ઠા કરવાના છે. જ્યારે શ્રદ્ધાલુઓ પણ અયોધ્યા રામ મંદિરના દર્શન માટે થનગની રહ્યા છે. ત્યારે આજે નિર્માણ પામી રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના ક્રેન દ્રશ્યોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર સામે આવી છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ ટ્વિટ કરી છે.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સમય થયો નક્કી
આ અગાઉ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સમય નક્કી થયો છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં સમારોહના એજન્ડાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તેના માટે નાની-નાની સમિતિઓ બનાવાશે. જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોનું જૂથ બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે.
કારસેવકોને પણ મોકો મળશે
મંદિર આંદોલનના કારસેવકોને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ટીમ 250 સ્થળોએ સભાઓ યોજશે અને વધુને વધુ લોકોને સમારોહમાં સામેલ થવા અપીલ કરશે. બીજો તબક્કો 1 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ઘર-ઘર સંપર્ક યોજના હેઠળ 10 કરોડ પરિવારોમાં પૂજાતી અક્ષત, રામલલ્લાના વિગ્રહનું એક ચિત્ર અને એક પત્રિકા આપવામાં આવશે.
દીપોત્સવ મનાવાશે
જેના દ્વારા લોકોને વિધિના દિવસે દીપોત્સવ મનાવવા અપીલ કરવામાં આવશે. ત્રીજા તબક્કાની શરૂઆત 22 જાન્યુઆરીએ થશે. તે દિવસે એવું વાતાવરણ ઊભું કરાશે કે આખા દેશમાં ઉજવણી થાય અને દરેક ઘરમાં ધાર્મિક વિધિઓ થાય. ચોથા તબક્કામાં દેશભરના ભક્તોને રામલલ્લાના દર્શન કરાવવાની યોજના છે. આ તબક્કો ગણતંત્ર દિવસથી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. 31મી જાન્યુઆરી અને 01મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કામદારોને દર્શન આપવાની યોજના છે.




