'રશિયા પાસેથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ', અમેરિકાની ધમકી પર જયશંકરનો જવાબ, જાણો શું કહ્યું
Image: IANS |
S Jaishankar Responds on US Tariff Threat: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાની ચાર દિવસની યાત્રા પર છે. જ્યાં તેમણે ભારતની એનર્જી સિક્યોરિટી પર પોતાની ચિંતાઓને એ અમેરિકન સિનેટર સાથે શેર કરી હતી, જેમણે રશિયા સાથે વેપાર કરનારા દેશો પર 500 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂકવાના બિલનું સમર્થન કર્યું હતું. જયશંકરે કહ્યું કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનાર ભારત આ બિલના સંભવિત પ્રભાવો વિશે જાણે છે.
વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે આ વાત પર ભાર મૂકયો હતો કે, અમેરિકન કોંગ્રેસમાં ભારતના હિત અથવા તેના પર પ્રભાવિત કરનાર ઘટનાક્રમો પર હંમેશા ઝીણવટથી નજર રાખવામાં આવે છે. અમે ઉર્જા સુરક્ષામાં અમારી ચિંતા અને અમારા હિતોથી તેમને માહિતગાર કર્યા છે.'
આ પણ વાંચોઃ બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર મંત્રણા અંતિમ તબક્કામાં
ભારતને લઈને અમેરિકન મિનિસ્ટરે શું કહ્યું?
ક્વોડ શિખર સંમેલનમાં ભાગ લેનારા મંત્રીએ કહ્યું કે, 'ભારતીય દૂતાવાસ અને અધિકારી રિપબ્લિકન સિનેટર લિંડસે ગ્રાહમના સંપર્કમાં છે, જેણે બિલને સ્પૉન્સર કર્યું છે. બિલ રજૂ કરતી વખતે ગ્રાહમે વિશેષ રૂપે ભારત અને ચીનનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે, આ દેશ પુતિનના ક્રૂડ ઓઇલનો 70 ટકા ભાગ ખરીદે છે.'
ભારત માટે કેમ ગંભીર છે આ મુદ્દો?
ભારત માટે વાત ગંભીર છે કારણ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા પ્રતિબંધ બિલનું સમર્થન કર્યું છે, જેમાં ભારત અને ચીન સહિત રશિયા સાથે વેપાર કરનારા દેશોથી આયાત પર 500 ટકા ભારે ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે. આ બિલને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુક્રેન યુદ્ધ પર રશિયા સાથે વાતચીત કરવાના પ્રયાસના રૂપે પણ જોવામાં આવી રહ્યું છે. જો આ બિલ પસાર થઈ જાય છે તો અમેરિકામાં ભારતીય આયાત પર 500 ટકા ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. જોકે, ભારત અમેરિકા સાથે વેપાર કરાર પર હસ્તાક્ષરની નજીક છે. એપ્રિલમાં ટ્રમ્પ તરફથી જાહેરાત કરવામાં આવી કે, 26 ટકા રેસિપ્રોકલ ટેક્સથી બચવાનો ભારત પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ચીન બનાવી રહ્યું છે પેન્ટાગોન કરતાં પણ 10 ગણું મોટું મિલિટરી શહેર, અમેરિકા સુધી ફફડાટ
વેપાર કરારથી શું લાભ થશે?
વેપાર કરારથી ભારતને અમેરિકન ટેકસમાં ઘણો ઘટાડો થવાની આશા છે. જોકે, આ મામલે કેન્દ્રમાં રશિયાથી ભારતનું ક્રૂડ ઓઇલની વધતી આયાત છે, જે ભારતની ઉર્જા જરૂરિયાતને 40-45 ટકા પૂરી પાડે છે. મે મહિનામાં ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ (બીપીડી) સાથે 10 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. આ સંખ્યા એટલી મોટી છે કે, ભારત તેલની આયાત પશ્ચિમ એશિયાઈ સપ્લાયર્સ કરતાં રશિયા પાસેથી વધુ કરે છે. આ ફેરફાર 2022 પછી થયો, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લાદવાનું શરુ કર્યું. પ્રતિબંધો વચ્ચે રશિયાએ મિડલ ઈસ્ટના દેશોની તુલનામાં સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ વેચવાનું શરુ કરી દીધું. ભારત અને ચીન જેવા દેશોએ આ તકનો લાભ લીધો અને ભારતીય રિફાઇનર કંપનીઓએ સસ્તા દરે ક્રૂડ ઓઇલની આયાત કરવાનું શરુ કરી દીધું.