India Iran Trade: મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર માત્ર તે વિસ્તાર પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. આ કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડરના મોતના સમાચાર બાદ સ્થિતિ કાબૂ બહાર છે. આ સંકટમાં ભારત માટે એ સમજવું જરૂરી છે કે તે ઈરાન પાસેથી શું આયાત કરે છે અને યુદ્ધ જો લાંબુ ખેંચાય તો કઈ વસ્તુઓના ભાવ વધી શકે છે.
ભારત માટે ઈરાન કેમ મહત્વનું છે?
ભારત અને ઈરાનના સંબંધો વર્ષો જૂના છે. 1950માં બંને દેશોએ ઔપચારિક રાજદ્વારી સંબંધોની શરૂઆત કરી હતી. 1970ના દાયકા પછી વેપારી સંબંધો વધુ મજબૂત બન્યા. અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં, બંને દેશોએ ઘણી વખત વૈકલ્પિક ચુકવણી પદ્ધતિઓ અપનાવી છે, જેમાં 'રૂપિયો-રિયાલ' તંત્ર પણ સામેલ રહ્યું છે.
ચાબહાર બંદરમાં ભારતનું રોકાણ
ઈરાન ભારત માટે ઉર્જા, દરિયાઈ વેપાર માર્ગ અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આ કારણોસર જ ભારતે ઈરાનના ચાબહાર બંદરમાં રોકાણ કર્યું છે, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી માલ પહોંચાડવા માટેનો એક રણનૈતિક રસ્તો છે.
ભારત ઈરાન પાસેથી શું આયાત કરે છે?
1. કાચું તેલ
ઈરાન એક સમયે ભારત માટે મુખ્ય તેલ સપ્લાયર હતું. અમેરિકી પ્રતિબંધો બાદ આયાતમાં ઘટાડો થયો છે, પરંતુ વૈશ્વિક બજારમાં ઈરાન તરફથી સપ્લાય ખોરવાઈ જાય તો આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો વધી શકે છે. તેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડે છે.
2. પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉત્પાદનો
ભારત ઈરાન પાસેથી ખાસ પેટ્રોકેમિકલ્સ અને ઔદ્યોગિક કેમિકલ્સ પણ મંગાવે છે. જેનો ઉપયોગ પ્લાસ્ટિક, ખાતર, દવા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થાય છે. સપ્લાય અટકવાથી ઉત્પાદન ખર્ચ વધવાના સંકેત છે.
3. સૂકા મેવા અને ફળો
ઈરાનથી પિસ્તા, ખજૂર, કેસર અને અન્ય સૂકા મેવા ભારત આવે છે. આ ઉપરાંત સફરજન અને કીવી જેવા ફળોની પણ આયાત થાય છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાથી આ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે છે.
4. કાચ અને અન્ય ઔદ્યોગિક સામાન
કેટલાક ખાસ ગ્લાસવેર અને ઔદ્યોગિક ઉત્પાદનો પણ ઈરાનથી ભારત આવે છે. તેની અસર ભલે મર્યાદિત હોય, પરંતુ કિંમતોમાં વધારો નાના નાના ઉદ્યોગોને પ્રભાવિત કરી શકે છે.
તેલ સપ્લાય અને હોર્મુઝ સ્ટ્રેટનો ખતરો
ભારતની ઉર્જા સુરક્ષાનો મોટો હિસ્સો ખાડી દેશો સાથે જોડાયેલો છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક છે. ભારતની કુલ કાચા તેલની આયાતનો મોટો હિસ્સો આ રસ્તેથી આવે છે. નિષ્ણાતોના મતે, જો આ દરિયાઈ માર્ગમાં અડચણ ઉભી થાય તો ભારતની કુલ માસિક આયાતના લગભગ 50% જેટલી અસર થઈ શકે છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થશે અને ભારતનું આયાત બિલ એટલે કે ખર્ચ વધશે.
શિપિંગ અને વીમા ખર્ચમાં વધારો
મધ્ય પૂર્વમાં તણાવ વધવાથી રેડ સી કોરિડોર અને તેની આસપાસના દરિયાઈ માર્ગો પર જોખમ વધી જાય છે. જહાજોનો વીમો મોંઘો થાય છે અને નૂર (માલ ઢૂલાઇ)ખર્ચ વધે છે. તેની અસર માત્ર તેલ પર જ નહીં પણ અન્ય આયાત-નિકાસ પર પણ પડે છે. લોજિસ્ટિક્સ ખર્ચ વધવાથી ભારતની નિકાસ મોંઘી થઈ શકે છે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતની હરીફાઈ પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો: VIDEO: 5 સેકન્ડમાં 2 આખા બિલ્ડિંગ નષ્ટ... ઈઝરાયલનો તેહરાન પર વધુ એક હુમલો, જુઓ દ્રશ્યો
સામાન્ય લોકો પર શું પડશે અસર?
જો તણાવ લાંબો ખેંચાય તો તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવ, રસોઈ ગેસ, હવાઈ યાત્રાનું ભાડું, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ખાદ્ય તેલ, પેકેટ સામાન, ડ્રાય ફ્રૂટ, ફળ પર જોવા મળી શકે છે. જો ઈંધણ મોંઘું થશે તો તેની અસર દરેક ક્ષેત્ર પર જોવા મળશે, ખાસ કરીને મોંઘવારી વધશે.


