ઉ.પ્રદેશ ભાજપમાં અસંતોષના અહેવાલો વચ્ચે યોગી પીએમ મોદીને મળશે
વડાપ્રધાન મોદી સાથે તંગદિલી વચ્ચે યોગી અમિત શાહને મળ્યા
યોગી જેપી નડ્ડાને મળે તેવી સંભાવના : કોંગ્રેસી જિતિન પ્રસાદના ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે યોગીની મુલાકાત મહત્વપૂર્ણ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૦
ઉત્તર પ્રદેશ ભાજપમાં સ્થાનિક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે અસંતોષ વચ્ચે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તંગદિલી સર્જાઈ હોવાના અહેવાલો છે. આવા સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણિતા બ્રાહ્મણ પરિવારના કોંગ્રેસી નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયાના બીજા દિવસે યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાતે દિલ્હી આવી પહોંચ્યા છે. યોગી આદિત્યનાથે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને બપોરે પક્ષપ્રમુખ જેપી નડ્ડાને મળશે તેવી સંભાવનાઓ છે.
ઉત્તર પ્રદેશ ભાજપમાં અનેક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અસંતોષ હોવાના સમાચારો આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીનો સામનો કરવામાં યોગી આદિત્યનાથે યોગ્ય કામગીરી નહીં કરી હોવાની આ નેતાઓની ફરિયાદ છે. વધુમાં મોદીની નજીકના ગુજરાત કેડરના ભૂતપૂર્વ અધિકારી એકે શર્માના ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશથી રાજ્યમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ વધશે તેવા અહેવાલો વચ્ચે યોગી આદિત્યનાથની અમિત શાહ સાથેની મુલાકાત ઘણી જ મહત્વની છે.
યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. રાજ્યમાં બ્રાહ્મણોનું એક જૂથ યોગી સરકારને ઠાકુર તરફી માને છે. એવામાં ભાજપ બ્રાહ્મણ ચહેરા પર ભાર મૂકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
વડાપ્રધાન મોદીના નજીકના માનવામાં આવતા ભૂતપૂર્વ અમલદાર એ. કે. શર્મા ઉત્તર પ્રદેશ આવ્યા હતા. એકે શર્માના ભાજપ પ્રવેશ અને તેમને ઉત્તર પ્રદેશ મોકલાયાના લગભગ છ મહિના થવા છતાં તેમને રાજ્યમાં કોઈ મોટી ભૂમિકા સોંપાઈ ન હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે તંગદિલીના અહેવાલોને બળ મળ્યું છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહી ગયો હોવાથી ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં બ્રાહ્મણો યોગી સરકારથી નારાજ હોવાના અહેવાલો છે એવામાં રાજ્યના રાજકારણમાં બે બ્રાહ્મણ ચહેરાઓનું પ્રભુત્વ વધી રહ્યું હોવાથી ઠાકુરો તરફી મનાતા યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સામે બાથ ભીડી હોવાનું કહેવાય છે. થોડાક સમય પહેલાં પક્ષમાં નેતૃત્વ પરીવર્તનની પણ ચર્ચા શરૂ થઈ હતી. જોકે, ભાજપે આ અટકળોને નકારી કાઢી હતી. કોરોના મહામારીની બીજી લહેરની લોકો પર વ્યાપક અસર થઈ હોવાથી ઉત્તર પ્રદેશ ભાજપ કટોકટીને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં કોરોનાના સંચાલન મુદ્દે અનેક સાંસદો અને ધારાસભ્યોએ જાહેરમાં યોગી સરકારની ટીકા કરી હતી. સાંસદો, ધારાસભ્યો તથા લોકોની નારાજગી દૂર કરી ફરીથી સત્તા હાંસલ કરવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગી ગયો છે.