UP Assembly Election: ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિખવાદ શરૂ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, 2024ની લોકસભા ચૂંટણી સાથે લડનાર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં પણ સાથે દેખાઈ શકે છે. આ દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નિવેદનને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ મેદાને આવી અખિલેશ યાદવને ચેલેન્જ કરી છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા કોંગ્રેસની તૈયારીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં ઇમરાન મસૂદે કહ્યું કે, 'જો કોંગ્રેસ નબળી હોય તો એકલા ચૂંટણી લડી જુઓ!' ઇમરાન મસૂદે વળતો જવાબ આપ્યો હતો કે, 'જો અખિલેશ યાદવને લાગે છે કે કોંગ્રેસ નબળી છે, તો તેમણે એકલા ચૂંટણી લડવાનો પ્રયાસ કરવો જોઈએ.'
મુસ્લિમો પરના અત્યાચારના મુદ્દાઓ પર અખિલેશ મૌન: ઇમરાન મસૂદ
ઇમરાન મસૂદે આરોપ લગાવ્યો કે, 'દેશમાં મુસ્લિમો પરના અત્યાચાર અને મસ્જિદો પરના હુમલા જેવા મુદ્દાઓ પર અખિલેશ યાદવ મૌન છે. સપા નેતૃત્વ આ મુદ્દાઓ પર કોઈ સ્પષ્ટ અવાજ ઉઠાવી રહ્યું નથી.'
કોંગ્રેસ કોઈપણ સાથી પક્ષ વિના પણ ચૂંટણી લડવા તૈયાર: ઇમરાન મસૂદ
યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું કે, 'પાર્ટીએ તમામ 403 વિધાનસભા બેઠકો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ કોઈપણ સાથી પક્ષ વિના પણ ચૂંટણી લડવા તૈયાર છે.'
પશ્ચિમ બંગાળના રાજકારણનો ઉલ્લેખ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે, 'અખિલેશ યાદવે ત્યાંના રાજકીય વિકાસમાંથી પાઠ શીખવો જોઈએ.' જો કે, તેમણે INDIA ગઠબંધનના ભવિષ્ય અંગે સકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવતા કહ્યું કે 'ગઠબંધનના તમામ પક્ષો સાથે છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.'
અખિલેશ યાદવે શું કહ્યું?
તાજેતરમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ 403 બેઠકો માટે તૈયારી કરી રહી છે અને સમાજવાદી પાર્ટી પણ તૈયારી કરી રહી છે. બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે, પરંતુ જરૂરી તૈયારીનું સ્તર હજુ દેખાતું નથી.'


