Image Source: Twitter
S Jaishankar On Aam Aadmi Party: દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 'મને વિદેશમાં એ સ્વીકારતા શરમ આવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.' આમ આદમી પાર્ટી પર સ્વચ્છ પાણી, વીજળી, આરોગ્ય સેવા, આવાસ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, શહેરને ખૂબ પાછળ છોડી દેવામાં આવ્યું છે.
હું વિદેશ જાઉં છું ત્યારે એક વાત છુપાવું છું
કેન્દ્રીય મંત્રીએ નાગરિકોને આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા વિનંતી કરી છે. દિલ્હીમાં દક્ષિણ ભારતીય સમુદાય સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'જ્યારે પણ હું વિદેશ જાઉં છું, ત્યારે હું દુનિયાથી એક વાત છુપાવું છું. મને વિદેશમાં જઈને એ કહેતા શરમ આવે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા લોકોને ઘર નથી મળતા, સિલિન્ડર નથી મળતા, તેમને જળ જીવન મિશન હેઠળ પાઈપ દ્વારા પાણી નથી મળતું અને તેમને આયુષ્માન ભારતના લાભ નથી મળતા.'
છેલ્લા 10 વર્ષમાં દિલ્હીને પાછળ છોડી દીધુ
એસ.જયશંકરે આગળ કહ્યું કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીને પાછળ છોડી દેવામાં આવ્યું. દિલ્હીના લોકોને પાણી, વીજળી, ગેસ સિલિન્ડર અને આરોગ્ય સેવાના તેમના અધિકારો આપવામાં ન આવ્યા. જો અહીંની સરકાર તમને તમારા અધિકારો ન આપે તો 5 ફેબ્રુઆરીએ તમારે આ સરકાર બદલવા અંગે પણ વિચારવું જોઈએ.'
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં AAP, BJP અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જામશે. ભાજપ વર્તમાન સરકાર પર આરોપ લગાવી રહી છે કે, તે એક દાયકાથી સત્તામાં હોવા છતાં શહેરની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં ફેલ રહી છે.
જયશંકરે વધુમાં આરોપ લગાવ્યો કે, 'રાજધાની તરીકે, દિલ્હી દેશનું શ્રેષ્ઠ વિકાસ મોડેલ હોવું જોઈએ પરંતુ તે છેલ્લા 10 વર્ષથી પાછળ રહી ગયું છે.'


