કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Union Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા 3,900 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે.
2,230 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે
વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત 'મિની/માઇક્રો LED' ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'
ઉલ્લેખનીય છે કે, 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) હેઠળ અત્યાર સુધીમાં કુલ 12 પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કુલ રોકાણનો આંકડો રૂપિયા 1.64 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને મંજૂરી
આ ઉપરાંત ગુજરાતના વાડીનાર ખાતે એક અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાલ પૉર્ટ ઑથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે રૂપિયા 1,570 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સુવિધા કાર્યરત થવાથી હવે ભારતમાં જ મોટા જહાજોનું ઉચ્ચ મૂલ્ય ધરાવતું સમારકામ શક્ય બનશે, જેના પરિણામે વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે અને દેશના કિંમતી વિદેશી હૂંડિયામણને બચાવવામાં મોટી મદદ મળશે.









