ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ

| ફાઈલ તસવીર |
Shivraj Singh Chouhan Security Threat: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં એકાએક વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગને મળેલા ઈનપુટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશ DGPને પત્ર લખીને જાણ કરાઇ છે કે શિવરાજસિંહ ચૌહાણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિશાના પર છે. ISI શિવરાજસિંહ અંગે માહિતી એકઠી કરી રહી છે.
સજ્જડબંધ પોલીસ પહેરો ગોઠવાયો
ગૃહ વિભાગની સૂચના બાદ મધ્યપ્રદેશ પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને શિવરાજસિંહના ભોપાલમાં આવેલા બંગલા નંબર 74/B8 આસપાસ વધારાના બેરિકેડ ઊભા કરી સજ્જડબંધ પોલીસ પહેરો ગોઠવી દીધો છે. મહત્ત્વનું છે કે શિવરાજસિંહ પાસે પહેલાથી જ Z+ સુરક્ષા હતી, પરંતુ આ સુરક્ષા વધારવામાં આવી છે.
ગૃહ વિભાગે કડક આદેશ આપ્યા
ગૃહ મંત્રાલયે સંબંધિત એજન્સીઓ અને મધ્યપ્રદેશના DGPને સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્ય સચિવને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે . દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) ને પણ જાણ કરી દેવાઈ છે.
શિવરાજસિંહ કેમ ISIના ટાર્ગેટ પર?
સુરક્ષા વધારવા અંગે ગૃહ વિભાગના પત્ર અનુસાર, ISIએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિશે માહિતી મેળવી છે જેથી તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી
શિવરાજ સિંહ પહેલાથી જ Z+ શ્રેણીના સુરક્ષા ઘેરામાં
શિવરાજ સિંહ ચૌહાણ હાલ Z+ શ્રેણીની સુરક્ષા ઘેરામાં છે, જે દેશમાં સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે. તેમની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓની સંખ્યા અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે, Z+ સુરક્ષામાં સામાન્ય રીતે NSG કમાન્ડો સહિત આશરે 55 જેટલા સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

