Ujjain Mahakal Bhakt Dies: 'માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર છે, દિલ તો મહાકાલનું છે, આપણે તો ભાડૂત છીએ...' મહાકાલના એક ભક્તે દિવાળીના દિવસે વહેલી સવારે આ સ્ટેટસ મૂક્યું અને મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત થયું. વાત એમ છે કે, સૌરભ સોની ભસ્મ આરતી માટે મહાકાલ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું.
ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત
ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં સોમવારે વહેલી સવારે બાબાના એક ભક્તે અંતિમ શ્વાસ લીધા. તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈને મહાકાલ મંદિરના પરિસરમાં જ ઢળી પડ્યા. જાણકારી અનુસાર, ઉજ્જૈનના જ રહેવાસી સૌરભ રાજ સોની દર સોમવારે નિયમિતપણે મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થતા હતા. દિવાળીના દિવસે વહેલી સવારે પણ તેઓ ભસ્મ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા. તે જ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી ગયો.
હોસ્પિટલ પહોંચાડ્યા, પણ ત્યાં સુધીમાં પ્રાણ નીકળી ગયા
મીડિયા અહેવાલ અનુસાર સૌરભ રાજ સોની (ઉંમર 47 વર્ષ)ને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા, ત્યારે આસપાસ હાજર તેમના મિત્રો અને પરિચિતોએ તાત્કાલિક તેમને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનો જીવ નીકળી ચૂક્યો હતો.
'માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર...' તેમનું છેલ્લું સ્ટેટસ
સૌરભ સોનીના મિત્રોએ જણાવ્યું કે, જો તેમનું છેલ્લું વૉટ્સએપ સ્ટેટસ જોવામાં આવે તો એવું લાગે છે કે જાણે તેમને દુનિયામાંથી વિદાય લેવાનો અહેસાસ થઈ ગયો હતો. તેમણે મૃત્યુના થોડા સમય પહેલા જ અપડેટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, 'માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર છે, દિલ તો મહાકાલનું છે, આપણે તો ભાડૂત છીએ...' આ સ્ટેટસ સૌરભનું છેલ્લું સ્ટેટસ સાબિત થયું.
દર સોમવારે ભસ્મ આરતી કરતા હતા
બાબાના ભક્ત સૌરભના મિત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, સૌરભ બાબાના અનન્ય ભક્ત હતા અને દર સોમવારે તેઓ ભસ્મ આરતીમાં સામેલ થતા હતા. સોમવારે વહેલી સવારે પણ તેઓ ભસ્મ આરતી માટે જ મંદિરે પહોંચ્યા હતા, પરંતુ આરતી શરૂ થાય તે પહેલાં જ મંદિર પરિસરમાં તેમણે પ્રાણ ત્યાગી દીધા.


