UGC Controversy : યુજીસીના નવા નોટિફિકેશન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે હવે આ વિવાદમાં કેન્દ્ર સરકારે એન્ટ્રી કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા આપતાં તમામ ઉમેદવારોને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.
UGC વિવાદ અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં, પછી તે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે. હું આશ્વાસન આપું છું કે, જે પણ વ્યવસ્થા કરાઈ છે તે બંધારણના દાયરામાં જ હશે. આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે, તેથી કોઈની પણ સાથે ભેદભાવ કે અત્યાચાર કરવામાં આવશે નહીં તેવી હું અપીલ અને ખાતરી કરું છું.'
શું છે વિવાદનું મુખ્ય કારણ?
યુજીસી દ્વારા ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા કેટલક નિયમો (Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026) નક્કી કરાયા છે, જે અંતર્ગત મુખ્ય ચાર આદેશ અપાયા છે.
(1) દરેક યુનિવર્સિટી અને કૉલેજમાં ઈક્વિટી કમિટી અને ઈક્વિટી સ્ક્વોડ્સની રચના કરવામાં આવશે.
(2) તમામ સંસ્થાઓમાં ચોવીસ કલાક હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ સિસ્ટમ ઊભી કરવામાં આવશે.
(3) SC અને ST વર્ગના ઉમેદવારોને સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
(4) જે સંસ્થાઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની માન્યતા રદ કરવામાં આવશે અથવા તેમના ફંડ પર રોક લગાવી દેવામાં આવશે.
આ પણ વાંચો : અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ
સુપ્રીમ કોર્ટમાં પિટિશન
નોટિફિકેશનના નિયમ 3(C) હેઠળ યુજીસી પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ નિયમથી બિનઅનામત ઉમેદવારો અને શિક્ષકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, યુજીસીની નવી વ્યાખ્યામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ માત્ર એસસી, એસટી અને ઓબીસી કેટેગરી સાથે જ થાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે વાસ્તવમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પણ જ્ઞાતિના આધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


