મધ્યપ્રદેશમાં ઓરીના કારણે બે બાળકોના મોત, 17 લોકો સંક્રમિત, WHOએ આપ્યું એલર્ટ
અધિકારીઓએ આ વધતા ચેપને લઈને દરેકને સતર્ક રહેવા કહ્યું છે
Measles Outbreak In Madhya Pradesh: ઓરી (Measles)એક ચેપી રોગ છે, જે પેરામિક્સોવિરિડે નામના વિષાણુથી ફેલાય છે. રસીકરણ અને અન્ય અસરકારક પગલાંની મદદથી ભારતમાં ઓરીના બનાવોમાં છેલ્લા એક-બે દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જો કે કેટલાક કેસ સમયાંતરે નોંધાતા રહે છે. ત્યારે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. મૈહર જિલ્લામાં ઓરીના કારણે બે બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય 17 લોકો સંક્રમિત થયાના અહેવાલ છે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ આ વધતા ચેપને લઈને દરેકને સતર્ક રહેવાની સલાહ આપી છે.
આ ચેપી રોગથી સાવચેત રહેવું જરૂરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2022 માં, ભારતમાં અંદાજિત 11 લાખ બાળકોને ઓરીની રસીનો પ્રથમ ડોઝ મળ્યો નથી. જેના કારણે ભારત એવા દસ દેશોમાંનું એક બની ગયું. કોરોના દરમિયાન આરોગ્યની અસુવિધાઓમાં વધારો થવાને કારણે રસીકરણમાં મોટો તફાવત સર્જાયો છે, જેના કારણે બાળકોમાં ઓરીના ચેપનું જોખમ ફરી એકવાર વધી ગયું છે. ઓરી એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાવાનો ભય હોવાથી નિષ્ણાતોએ તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
દેશમાં ઓરીનું જોખમ વધ્યું
નવેમ્બર 2023માં સામે આવેલા એક રિપોર્ટમાં WHOએ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં બાળકોમાં ઓરીના જોખમ વિશે ચેતવણી આપી હતી. નોંધનીય છે કે રસીકરણ અને નિવારણના પગલાંને વેગ આપવાથી ભારતમાં આ ચેપી રોગના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓગસ્ટ 2023ના રિપોર્ટ અનુસાર, ભારતમાં 2017 અને 2021ની વચ્ચે ઓરીના કેસોમાં 62% ઘટાડો થયો છે, એટલે કે પ્રતિ મિલિયન વસ્તીએ આ કેસ 10.4થી ઘટીને 4 થઈ ગયા છે. જો કે, રસીકરણના દરમાં ઘટાડો થવાથી તેના જોખમો ફરી એકવાર વધી ગયા છે.
ઓરીના લક્ષણો
ઓરી એક ચેપી રોગ છે જે બાળકોમાં થાય છે અને તે નાના બાળકોમાં જીવલેણ પણ હોઈ શકે છે. ઓરીના ચેપથી ચામડી પર લાલ ફોલ્લીઓ થાય છે. તેની અસર ચહેરા પર અને કાનની પાછળ વધુ જોવા મળે છે, શરીરના અન્ય ભાગોમાં પણ તેનો ફેલાવો થવાનું જોખમ રહેલું છે. ઓરીના કારણે તાવ, સૂકી ઉધરસ, વહેતું નાક, ગળામાં દુ:ખાવો અને કેટલાક બાળકોમાં કન્જેક્ટિવાઇટિસ જેવી સમસ્યાઓ પણ જોવા મળી છે.