India

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત

By GS TEAM
15 Oct 20252 mins read
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત

- બસમાં લગભગ 50 જેટલા લોકો હતા, મૃત્યુઆંક વધી શકે

- જૈસલમેરથી જોધપુર જતી બસમાં અચાનક જ આગ લાગી અને મુસાફરો કંઇ સમજે તે પહેલા કાળનો કોળિયો બન્યાં

જૈસલમેર : રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ  વાગે થઈયાત ગામની જોડે બસના પાછલા ભાગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવરે બસને રસ્તાના કિનારે લઈ જઈ રોકવાનો પ્રયત્ન કર્યો. 

આમ છતાં પળભરમાં આગે આખા વાહનને ઝપેટમાં લઈ લીધું. બસ ગણતરીની ક્ષણોમાં આગના ગોળામાં રૂપાંતર પામી. 

આ કરુણાંતિકા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક જાણકારી મુજબ આ દુર્ઘટનામાં કેટલાય મુસાફરો દાઝીને મૃત્યુ પામ્યા છે. 

જૈસલમેરના જિલ્લા કલેક્ટર પ્રતાપસિંહે આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંલગ્ન અધિકારીઓને તત્કાળ રાહત તેમજ તબીબી સહાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે દાઝેલાઓને જવાહર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોધપુર જઈ રહેલી બસમાં લગભગ પચાસેક મુસાફરો સવાર હતા. આ જોતાં મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. આ બનાવના પગલે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા ખાસ વિમાનથી જૈસલમેર પહોંચ્યા હતા. 

તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જૈસલમેરમાં બસમાં લાગેલી આગની ઘટના હૃદયવિદારક છે. આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા મૃતકોના કુટુંબીજનો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તોને દરેક પ્રકાસની સહાય પૂરી પાડવાની સૂચના આપી દેવાઈ છે. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે.