| પ્રતિકાત્મક તસવીર |
Ganesh Uike Encounter Odisha : હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદી નેતા ગણેશ ઉઈકે સહિત 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓડિશાના કંધમાલના જંગલોમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માઓવાદી સેન્ટ્રલ કમિટીના સદસ્ય ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓનો ખાતમો કરી દેવામાં આવ્યો છે. આરોપી ગણેશ પર રૂ. 1 કરોડનું ઈનામ હતું.
ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓનું એન્કાઉન્ટર
ગણેશ ઉઈકે સહિતના આતંકીના એન્કાઉન્ટર મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ X પર પોસ્ટમાં આ સફળતાને નક્સલમુક્ત ભારતની દિશામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'ઓડિસામાં નક્સલવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે, આ મોટી સફળતા સાથે ઓડિશા નક્સલવાદના સંપૂર્ણ નાબૂદીના આરે છે. અમે 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ.. '
આ દરમિયાન, ઓડિશામાં નક્સલ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલ ટીમ અને સીપીઆઈ (માઓવાદી) સેન્ટ્રલ કમિટીના સભ્ય ઉઈકે વચ્ચે ચાકપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં એન્કાઉન્ટર થયું હતું. ઓડિશામાં પ્રતિબંધિત સંગઠનના વડા તરીકે કાર્યરત ગણેશ ઉઈકે પર રૂ.1.1 કરોડનું ઈનામ હતું. 69 વર્ષીય ગણેશ ઉઈકેના અનેક ઉપનામો હતા.
ગણેશ ઉઈકે પક્કા હનુમંતુ, રાજેશ તિવારી, ચમરૂ અને રૂપાના નામથી ઓળખવામાં આવતો હતો. તે તેલંગાણાના નલગોંડા જિલ્લાના ચેંદૂર મંડલના પુલ્લેમાલા ગામનો રહેવાસી હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓ પણ મોત થયા છે. આ અહેવાલ લખતી વખતે અન્ય નક્સલીઓની ઓળખ જાણી શકાઈ ન હતી. દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવા માટે અથાક મહેનત કરી રહેલા સુરક્ષા દળો માટે આ એક મોટી અને અભૂતપૂર્વ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.


